Saturday, May 14, 2011

૧૩/૦૫/૧૧ ન્યાયની પ્રક્રિયામાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છે



આપણું બંધારણ બ્રિટીશ પદ્ધતિએ ઘડાયેલું છે અને આપણી અદાલતો બંધારણની મર્યાદામાં જ કામ કરે છે
આપણા દેશની અદાલતો માટે કાયદો મહત્વનો છે કે ન્યાય ? કોઈ મહત્વના કેસમાં કાયદો એક વાત કહેતો હોય અને ન્યાય બીજી વાતમાં હોય તો દેશની અદાલત કઈ ચીજને વધુ મહત્વ આપશે ? આ સવાલનો સ્પષ્ટ જવાબ દેશની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં અયોધ્યા અને ભોપાલ બાબતના ચુકાદાઓમાં આપી દીધો છે. ભારતની તમામ અદાલતો બ્રિટીશ પદ્ધતિની અદાલતો છે. આ અદાલતોનો ધર્મ ન્યાય કરવાનો નથી પણ કાયદાઓનું અર્થઘટન કરવાનો છે. દેશના કાયદાઓ જો અન્યાય કરનારા હોય તો પણ અદાલતે તેને જ અનુસરવું પડે, એવો સ્પષ્ટ સંદેશ દેશ માટે અતિમહત્વના આ બે ચુકાદાઓમાંથી મળે છે.
પહેલી વાત આપણે ભોપાલના કેસમાં સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાની કરીએ. ભોપાળની દુર્ઘટના ઈ.સ. ૧૯૮૪માં થઈ હતી. તેમાં આશરે ૧૫,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં. તેને માટે જવાબદાર યુનિયન કાર્બાઈડ કંપનીના અધિકારીઓ સામેનો ખટલો ભોપાલની ટ્રાયલ કોર્ટમાં ચાલતો હતો. આ કેસમાં આરોપીઓ સામે ઇન્ડિયન પિનલ કોડની ૩૦૪ (૨)મી કલમ બેઠળ સીબીઆઈએ કેસ કર્યો હતો. આ કલમ સદોષ મનુષ્યવધને લગતી છે અને તે મુજબ આરોપીઓ કસૂરવાર ઠરે તો તેને જન્મટીપની સજા થાય તેમ હતું. યુનિયન કાર્બાઈડના તત્કાલીન અધ્યક્ષ કેશુબ મહિન્દ્રાએ તેની સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી અને તેમની સામે ઇન્ડિયન પિનલ કોડની ૩૦૪ (એ) કલમ મુજબ જ કામ ચલાવવાની માંગણી કરી હતી. આ કલમ બેદરકારીથી અકસ્માત કરવાને લગતી છે અને તેમાં વધુમાં વધુ બે વર્ષની સજાની જોગવાઈ છે. સુપ્રિમ કોર્ટે ઈ.સ. ૧૯૯૬માં આપેલા ચુકાદામાં કેશુબ મહિન્દ્રાને અને યુનિયન કાર્બાઈડના અન્ય અધિકારીઓની માંગણી માન્ય રાખી હતી અને તેમની સામે કલમ ૩૦૪ (એ) હેઠળ જ ખટલો ચલાવવાનો આદેશ સીબીઆઈને કર્યો હતો. સીબીઆઈએ પણ આ ચુકાદો માન્ય રાખ્યો હતો અને આ મુજબ જ ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલતો હતો.
ટ્રાયલ કોર્ટમાં આ કેસનો ચુકાદો ઇ.સ. ૨૦૧૦ની સાતમી જૂને આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે યુનિયન કાર્બાઈડના અધિકારીઓને બે વર્ષની જેલની સજા કરી હતી. ૧૫,૦૦૦ લોકોનાં મોત નિપજાવનારા આરોપીઓ માત્ર બે વર્ષની સજાથી છટકી ગયા તેની સામે દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો અને અખબારોમાં અનેક લેખો છપાયા હતા. લોકોના આ પ્રત્યાઘાતોને પગલે સીબીઆઈએ સુપ્રિમ કોર્ટમાં ક્યોરેટીવ પિટીશન ફાઈલ કરી હતી. સીબીઆઈની માગણી આરોપીઓ સામે ૩૦૪ (૨) કલમ હેઠળ કામ ચલાવવા માટે હતી. આ કલમ મુજબ ખટલો માંડવામાં આવે તો આરોપીઓને જન્મટીપની સજા થઈ શકે તેમ હતું. આ પિટીશન ડિસમિસ કરી નાંખતા સુપ્રિમ કોર્ટે એવી ટિપ્પણ કરી હતી કે દેશના કાયદાઓ મુજબ ૧૪ વર્ષે ક્યોરેટિવ પિટીશન કરવા માટે યોગ્ય કારણો છે નહીં. આ ચુકાદાના કારણે યુનિયન કાર્બાઈડના અધિકારીઓ ખુશખુશાલ છે પણ ભોપાલ ગેસના અસરગ્રસ્તો ગમગીન છે. આ મુજબનો ચુકાદો આપવામાં સર્વોચ્ચ અદાલતે અભૂતપૂર્વ નૈતિક હિંમતનું પ્રદર્શન કર્યું છે. સુપ્રિમ કોર્ટે પુરવાર કર્યું છે કે આપણી અદાલતો કાયદાની અદાલતો છે અને તેને પબ્લિક ઓપિનિયન સાથે કોઈ નિસ્બત નથી. કોર્ટનું કામ માત્ર કાયદાઓનું અર્થઘટન કરવાનું છે, એવું સુપ્રિમ કોર્ટે સોય ઝાટકીને કહ્યું છે.
ભોપાલના કેસમાં સુપ્રિમ કોર્ટે કાયદાનું જે અર્થઘટન કર્યું છે તે ક્ષતિરહિત છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે સીબીઆઈ પાસે જો ખટલા દરમિયાન એવા કોઈ પુરાવાઓ હાથમાં આવ્યા હોય કે જેને કારણે આરોપીઓ ઉપરના આરોપોને વધુ ગંભીર બનાવી શકાય તેમ હોય તો જ તેમની ક્યોરેટીવ પિટીશન માન્ય રાખી શકાય. આ કેસમાં સીબીઆઈએ કોઈ નવા પુરાવાઓ રજૂ કર્યા નથી, માટે તેમની ક્યોરેટિવ પિટીશન ડિસમિસ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે એમ પણ જણાવ્યું હતું કે સીબીઆઈએ એમ પણ સાબિત કર્યું હોય કે ટ્રાયલ કોર્ટે સર્વોચ્ચ અદાલતના ઇ.સ. ૧૯૯૬ના ચુકાદાનું ભૂલભર્યું અર્થઘટન કર્યું છે તો પણ તેમની ક્યોરેટિવ પિટીશન માન્ય રાખવામાં આવી હોત. સીબીઆઈ આ સાબિત કરવામાં પણ નિષ્ફળ ગઈ છે. આ રીતે પોતાના કેસની કાયદાની યોગ્ય ભૂમિકાએ માંડણી કરવામાં સીબીઆઈ નિષ્ફળ ગઈ તેનો ટેકનિકલ લાભ લઈને ભોપાલ કેસના આરોપીઓ ઓછી સજામાં છટકી ગયા છે. ભોપાલના કેસમાં જેવું બન્યું એવા જ પ્રકારનું કાંઈક અયોધ્યાના કેસમાં બન્યું છે. અલ્હાબાદની હાઈકોર્ટમાં ચાલી રહેલો અયોધ્યાનો કેસ આશરે ૫૦ વર્ષ જૂનો હતો. આ કેસનો ચુકાદો ઇ.સ. ૨૦૧૦ની ૩૦મી સપ્ટેમ્બરે આવ્યો હતા. આ ચુકાદામાં રામજન્મભૂમિની વિવાદાસ્પદ જમીનના ત્રણ ભાગ કરવાનો આદેશ આવ્યો હતો. આ ચુકાદાનો આશય ઝઘડો કરનારા ત્રણેય પક્ષે સમાધાન કરાવવાનો હતો પણ તે ભારતના પ્રવર્તમાન કાયદાઓ મુજબ નહોતો. મૂળભૂત રીતે આ કેસ ટાઈટલ સૂટ હતો, જેમાં ત્રણ પક્ષોએ વિવાદાસ્પદ જમીનની માલિકી પોતાની હોવાનો દાવો કર્યો હતો.
ન્યાયની વાત કરીએ તો આ જમીન જે તેનો સાચો માલિક હોય તેને મળવી જોઈએ. ત્રણ પક્ષો જમીન માટે ઝઘડતા હોય ત્યારે કોનો દાવો ન્યાયી છે તેની સમીક્ષા કર્યા વિના જમીન ત્રણેયને સરખા ભાગે વહેંચી દેવામાં ન્યાય નથી. વળી ત્રણ પૈકી કોઈ પણ પક્ષે જમીનના ભાગલા કરવાની માંગણી કરી નહોતી.
અલ્હાબાદની હાઈકોર્ટે દેશના કાયદાઓ મુજબ ચુકાદો નહોતો આપ્યો પણ ગામનું પંચ જે રીતે સમાધાનકારી ચુકાદો આપે તેવો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો જો ઝઘડતા ત્રણેય પક્ષો દ્વારા સ્વીકારી લેવામાં આવ્યો હોત તો વાત કંઈક અલગ હતી.
ત્રણે પક્ષોએ આ ચુકાદો સ્વીકારવાને બદલે તેને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રિમ કોર્ટે પણ આ ચુકાદો ભારતના પ્રવર્તમાન કાયદાઓ સાથે અસંગત લાગ્યો હતો માટે તેને રદ્દ કર્યો હતો. અહીં સવાલ એ થાય કે ધારોકે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને ત્રણેય પક્ષો દ્વારા સ્વીકારાઈ લેવામાં આવ્યો હોત અને તેને કારણે આ વિવાદ હલ થઈ ગયો હોત તો પણ સુપ્રિમ કોર્ટે આ ચુકાદો રદ્દ કરત ? સુપ્રિમ કોર્ટે ભોપાળના કેસમાં જે વલણ અખત્યાર કર્યું તે જોતાં તો પણ અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો સર્વોચ્ચ અદાલતે રદ્દ જ કર્યો હોત; કારણ કે ભારતની અદાલતોમાં માત્ર કાયદાઓ જ જોવામાં આવે છે.
સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાને કારણે હાઈકોર્ટની ૫૦ વર્ષની મહેનત પાણીમાં ગઈ છે. હવે આ કેસની નવેસરથી સુનાવણી કરવામાં આવશે અને કાયદા મુજબ તેનો ચુકાદો આપવામાં આવશે. આ પ્રક્રિયામાં બીજા ૫૦ વર્ષ નીકળી જાય તો તેમાં સુપ્રિમ કોર્ટને કોઈ વાંધો નહીં હોય; કારણ કે ચુકાદો અમુક સમયમર્યાદામાં આપવો એવો કોઈ કાયદો દેશમાં નથી.
આપણા દેશનું બંધારણ અંગ્રેજો ઘડીને ગયા હતા. ઇ.સ. ૧૯૫૦માં સ્વતંત્ર ભારતનું જે બંધારણ ઘડવામાં આવ્યું તે પણ ઇ.સ. ૧૯૩૫માં અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા 'ઇન્ડિયા એક્ટ'ના આધારે ઘડવામાં આવ્યું હતું.
ભારતની બંધારણ સભાએ જે નવું બંધારણ ઘડયું તેમાં નવા શીશામાં જૂનો દારૃ હતો. આ નવા બંધારણમાં જૂનો ઢાંકો જ ચાલુ રાખવામાં આવ્યો હતો. આ કારણે જ ભારતનું નવું બંધારણ અમલમાં આવ્યું તે પછી પણ જુના કાયદાઓ અને તે કાયદાઓ મુજબ ચાલતી અદાલતો પણ ચાલુ રહી હતી. આ અદાલતોમાં જૂના કાયદાઓ મુજબ જે કેસો કરવામાં આવ્યા હતા તે પણ ચાલુ જ રહ્યા હતા. ટૂંકમાં કહીએ તો ભારતનું નવું બંધારણ અંગ્રેજો દ્વારા ગુલામ ભારતને ગુલામ રાખવા માટે ઘડવામાં આવેલાં બંધારણના પ્રતિબિંબ જેવું જ હતું.
અંગ્રેજો દ્વારા ભારતમાં જે કાયદાની અદાલતોની સ્થાપના કરવામાં આવી તેમાં અને પ્રાચીન ભારતમાં પ્રવર્તમાન ન્યાય પદ્ધતિ વચ્ચે મૂળભૂત અંતર એ હતું કે ભારતની પ્રણાલિમાં ઝડપી ન્યાય આપવામાં આવતો હતો અને મફતમાં ન્યાય આપવામાં આવતો હતો. ગામની પંચાયત સમક્ષ કોઈ ફરિયાદ લાવવામાં આવે ત્યારે ગામની પંચાયત તરત જ મળતી હતી અને બંને પક્ષોને સાંભળીને તરત જ ચુકાદો આપી દેવામાં આવતો હતો. બ્રિટીશરોની ન્યાય પદ્ધતિ અત્યંત જટિલ અને ખર્ચાળ છે. તેમાં કોઈ પણ ફરિયાદ દાખલ થયા પછી સાક્ષીઓ, પુરાવાઓ વગેરે લેખિત રજૂ કરવા પડે છે.
આ માટે કાયદાનું જ્ઞાાન હોવું જોઈએ. સામાન્ય માણસને કાયદાનું જ્ઞાાન ન હોય માટે બંને પક્ષે વકીલો રોકવા પડે છે. વકીલોનો ધંધો જ દલીલો કરવાનો હોવાથી બંને પક્ષોની લાંબી લાંબી દલીલો પણ અદાલતોને સાંભળવી પડે છે. આ દલીલો મહિનાઓ સુધી અને ક્યારેક વર્ષો સુધી ચાલે છે. દલીલો ચાલતી હોય તે દરમિયાન ન્યાયાધીશ બદલાઈ જાય તો બંને પક્ષોના વકીલોએ બધી દલીલો નવેસરથી કરવી પડે છે. આ રીતે કેસનો ચુકાદો આવતાં વર્ષો વીતી જાય છે. જૂના કેસનો ચુકાદો આવ્યો ન હોય ત્યાં નવા કેસો આવે એટલે અદાલતમાં કરાડો કેસોનો ભરાવો થઈ જાય છે. આ કારણે વર્ષો સુધી ચુકાદાઓ આવતા નથી.
તાજેતરમાં ખાપ પંચાયત દ્વારા આપવામાં આવતા ચુકાદાઓની ભારે ટીકા થઈ રહી છે. સુપ્રિમ કોર્ટે તો ભારતભરમાં ચાલતી ખાપ પંચાયતો ઉપર પ્રતિબંધ મૂકવાની પણ હિમાતય કરી છે.
આ ખાપ પંચાયતો દ્વારા કરવામાં આવતા કેટલાક તઘલખી ચુકાદાઓ સાથે ભલે આપણે સંમત ન થઈએ પણ ખાપ પંચાયતમાં જે ઝડપી અને મફત ન્યાય આપવામાં આવે છે તેમાંથી ભારતની કાયદાની અદાલતોએ પણ કાંઈક બોધપાઠ લેવાની જરૃર છે. 'જસ્ટિસ ડિલેઈડ ઇઝ જસ્ટિસ ડિનાઈજ' (મોડો ન્યાય એ અન્યાય છે) એ ઉક્તિમાં તો બ્રિટીશ ન્યાયપદ્ધતિના પુરસ્કર્તાઓ પણ માને છે. ભોપાળ અને અયોધ્યા કેસના ચુકાદાઓમાં જેમને કાંઈક ખોટું થયું હોવાનું લાગી રહ્યું છે તેમણે ભારતની ન્યાયપદ્ધતિને બદલવાની ઝૂંબેશ શરૃ કરવી જોઈએ.

No comments:

Post a Comment