Tuesday, May 17, 2011

૧૭/૦૫/૧૧ કતલખાનાંઓ સામેનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે



ઉત્તર પ્રદેશના બાગપતમાં કતલખાનાંઓ સામે અનશન કરી રહેલા જૈન મુનિની ધરપકડ કરીને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
રાષ્ટ્રપિતા ગાંધીજીએ કહ્યું હતું કે ભારતને સ્વતંત્રતા મળશે તે સાથે દેશભરમાં ગોવંશહત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. આજે સ્વતંત્રતાનાં ૬૪ વર્ષ પછી પણ દેશમાં ગોવંશ સહિતના તમામ પશુઓની કતલ બંધ થવાને બદલે બેફામ વધી રહી છે. આઝાદી પહેલાં ભારતમાં માત્ર ૪૫૦ કતલખાનાંઓ હતાં. આઝાદી પછી કતલખાનાંઓની સંખ્યા વધીને ૩૬,૦૦૦ ઉપર પહોંચી ગઈ છે. આ કતલખાનાંઓનું સંચાલન ખાનગી કંપનીઓ નથી કરતી પણ આપણા ટેક્સના પૈસામાંથી સરકાર પોતે કરે છે અને તેમાં પણ કરોડો રૃપિયાની ખોટ કરે છે. આટલાં કતલખાનાંઓ ઓછાં હોય તેમ સરકાર નવાં કતલખાનાંઓ ખોલીને ભારતના પશુધનને ખતમ કરીને ભારતને પાયમાલ કરવાના આંતરરાષ્ટ્રીય કાવતરાંમાં હિસ્સેદાર બની રહી છે. ઉત્તર પ્રદેશની સરકારે આઠ નવાં અદ્યતન કતલખાનાંઓ ખોલવાની પરવાનગી આપી તેની સામે જૈન મુનિએ આમરણ અનશનનું શસ્ત્ર ઉગામ્યું છે. માયાવતીની સરકારે આ જૈન મુનિની અને જીવદયાપ્રેમીઓની ધરપકડ કરી તેને પગલે ભારતભરના અહિંસા પ્રેમીઓનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો છે. આ રોષનું પ્રગટીકરણ ગયા રવિવારે દેશનાં અનેક શહેરોમાં વિરાટ અહિંસા રેલીઓ કાઢીને કરવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશની માયાવતી સરકાર યમુના એક્સપ્રેસ વેના મુદ્દે ખેડૂતોના હિંસક આંદોલનનો સામનો કરી રહી છે. હવે તેણે આઠ નવાં કતલખાનાંઓના મુદ્દે જીવદયાપ્રેમીઓના અહિંસક આંદોલનનો પણ સામનો કરવો પડશે. ઉત્તર પ્રદેશમાં આઠ નવાં કતલખાનાંઓને લાઈસન્સ આપવામાં આવ્યું તેની સામે જૈન મુનિશ્રી મૈત્રીપ્રભુસાગરજી મહારાજ ૨૬મી એપ્રિલથી બાગપત જિલ્લાના બરૌત ગામમાં આમરણ અનશન ઉપર બેઠા છે. જૈન મુનિ જ્યાં અનશન આંદોલન કરી રહ્યા છે તે દિગંબર જૈન ઇન્ટર કોલેજમાં હજારો જીવદયાપ્રેમીઓ ધરણા ઉપર બેઠા છે. જૈન મુનિને તેમનું ઉપવાસ આંદોલન સમેટી લેવા સમજાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા તે પછી બાગપત જિલ્લાની પોલીસે દિગંબર જૈન ઇન્ટર કોલેજને ઘેરી લીધી હતી અને તેનાં લાઈટ તેમજ પાણીનાં કનેક્શન પણ કાપી નાંખ્યાં હતાં. અહિંસક આંદોલનને કચડી નાંખવા માટે કોલેજની બહાર રેપિડ એક્શન ફોર્સની ટુકડીઓ પણ ગોઠવી દેવામાં આવી હતી. જીવદયાપ્રેમીઓ દ્વારા ૧૦મી મેના રોજ મેરઠ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ બંધ એટલો જડબેસલાક હતો કે પાનની દુકાનો પણ બંધ રહી હતી. જીવદયાપ્રેમીઓના બંધને જવલંત સફળતા મળતાં ૧૧મી મેની વહેલી સવારે પોલીસે જૈન મુનિ અને તેમના ૧૦૦ અનુયાયીઓની ધરપકડ કરીને બળજબરીથી તેમના ઉપવાસ તોડાવવાની કોશિષ કરી હતી.
જૈન મુનિશ્રી મૈત્રીપ્રભસાગરજીના ઉપવાસના ૧૬મા દિવસે તેમની તબિયત કથળતા પોલીસે તેમની ધરપકડ કરીને તેમને હોસ્પિટલ ભેગા કર્યા હતા અને તેમને બળજબરીથી ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવ્યા હતા. બીજે દિવસે સવારે જૈન મુનિની ધરપકડના સમાચાર ફેલાઈ જતાં તેમના અનુયાયીઓ રસ્તા ઉપર આવી ગયા હતા અને તેમણે દુકાનો બંધ કરાવી હતી. આંદોલનકારીઓએ સરકાર વિરોધી સૂત્રો પોકાર્યા હતા અને તેમણે મુખ્ય પ્રધાન માયાવતીની નનામીઓ પણ બાળી હતી. કેટલાક આંદોલનકારીઓ દિલ્હી-સરહાનપુર હાઈવે ઉપર આવી ગયા હતા અને તેમણે રસ્તા ઉપરનો ટ્રાફિક જામ કરી દીધો હતો. તોફાનીઓને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવા ઉપરાંત હવામાં ગોળીબાર પણ કરવો પડયો હતો. આ તોફાનમાં આઠ લોકો ઘાયલ થયા હતા.
બાગપત જિલ્લાના બરૌત ગામમાં ચાલી રહેલા કતલખાનાં વિરોધી આંદોલને ભારતના તમામ જીવદયાપ્રેમીઓને જાગૃત કરી દીધા છે. જૈન મુનિશ્રી મૈત્રીપ્રભસાગરજીની ધરપકડ કરવામાં આવી તે પછી તેમણે માયાવતીને પડકાર ફેંક્યો હતો કે ''તમે ધારો તો મને શૂટ કરી શકો છો, પરંતુ જ્યાં સુધી આઠ નવાં કતલખાનાંઓને આપવામાં આવેલાં લાઈસન્સો રદ્દ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારું અહિંસક આંદોલન પાછું ખેંચવાના નથી.'' જીવદયાપ્રેમીઓની માગણી સ્વીકારવાને બદલે ઉત્તર પ્રદેશની સરકારે બરૌતમાં ૧૪૪મી કલમ લાદીને સભા-સરઘસ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આંદોલનકારીઓના લાઉડ સ્પીકર પણ તેણે જપ્ત કર્યા છે. જૈન મુનિ ક્યારેય વાહનનો ઉપયોગ નથી કરતાં અને રાત્રે વિહાર પણ નથી કરતાં. તેમ છતાં ઉત્તર પ્રદેશની પોલીસે રાતના બે વાગે મુનિશ્રીની ધરપકડ કરી હતી અને તેમને જીપમાં બેસાડીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા આ આંદોલનને ભારતભરમાંથી જીવદયાપ્રેમીઓનો ટેકો મળી રહ્યો છે. રવિવારે આ આંદોલનના સમર્થનમાં મુંબઈના ઉપનગર મલાડ ખાતે વિરાટ અહિંસા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્ય પ્રદેશના ઇંદોર શહેરમાં પણ રવિવારે વિરાટ અહિંસા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ધર્મના ગુરુઓ પણ જોડાયા હતા. જૈન મુનિના આંદોલનને મુંબઈના અમૃત મઠે અને ઉત્તર પ્રદેશની ગોરક્ષા પરિષદે પણ ટેકો જાહેર કર્યો છે. ઉત્તર પ્રદેશના નાનકડાં ગામમાંથી શરૃ થયેલું આંદોલન હવે ભારતભરમાં પ્રસરી ગયું છે.
ભારતને આઝાદી મળી તે અગાઉ ગાંધીજીએ અનેક વખત ઘોષણા કરી હતી કે સ્વતંત્ર ભારતમાં કલમના એક ઝાટકે સંપૂર્ણ ગોહત્યાબંધીનો કાયદો લાવવામાં આવશે. ભારતની બંધારણ સભા મળી તેમાં ગાંધીજીની ઇચ્છા મુજબ ગોહત્યાબંધીનો કેન્દ્રીય કાયદો લાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ મુસ્લિમોની લાગણી દુભવવાના ડરે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. છેવટે ગોહત્યાબંધીનો કાયદો ઘડવાનું કામ રાજ્ય સરકારોની મુનસફી ઉપર છોડી દેવામાં આવ્યું હતું અને આ બાબતનો ઉલ્લેખ બંધારણની ૪૮મી કલમમાં કરવામાં આવ્યો હતો. આ કલમ માત્ર રાજ્ય સરકારને માર્ગદર્શન આપવા માટે છે પણ બંધનકર્તા નથી. આ કલમ મુજબ મોટાભાગનાં રાજ્યોમાં પશુ સંરક્ષણ ધારાઓ ઘડવામાં આવ્યા હતા પણ તેમાં છટકબારીઓ રાખવામાં આવી હતી, જેને કારણે ગોવંશની હત્યા ઘટવાને બદલે સતત વધી રહી છે.
ઈ.સ. ૧૯૬૦ના દાયકામાં ગોવંશની હત્યા ઉપર પ્રતિબંધ લાવવા માટે જગદ્ગુરુ શંકરાચાર્ય દ્વારા અનશન આંદોલન કરવામાં આવ્યું હતું અને હજારો સાધુસંતો દ્વારા ભારતની સંસદને ઘેરાવ કરવામાં આવ્યો હતો પણ સરકારે મચક આપી નહોતી. ઈ.સ. ૧૯૮૦ના દાયકામાં ભારતભરમાં ગોવંશની હત્યા બંધીનો કેન્દ્રીય કાનૂન લાવવા વિનોબા ભાવેના માર્ગદર્શન હેઠળ 'શાંતિસૈનિકો' દ્વારા મુંબઈનાં દેવનાર કતલખાનાંની બહાર અહિંસક સત્યાગ્રહ શરૃ કરવામાં આવ્યો હતો.
આ સત્યાગ્રહ ૩૦ વર્ષથી ચાલી રહ્યો છે. દેવનારનું કતલખાનું જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે જીવદયાપ્રેમીઓને એવું વચન આપવામાં આવ્યું હતું કે તેમાં નિકાસના હેતુથી પ્રાણીઓની કતલ કરવામાં નહીં આવે. આ વચનનો ભંગ કરીને આજે પણ દેવનારમાં નિકાસના હેતુથી પ્રાણીઓની કતલ કરવામાં આવે છે. આજથી ત્રણ વર્ષ અગાઉ જૈન સંત પંન્યાસશ્રી ચેન્દ્રશેખરવિજયજી મહારાજ દ્વારા દેવનારમાં થતી કતલ સામે આંદોલન શરૃ કરવામાં આવ્યું હતું. ત્યારે મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા સંભાળી રહેલી શિવસેનાના નેતાઓ દ્વારા નિકાસના હેતુથી કતલ બંધ કરવાનું વચન આપવામાં આવ્યું હતું અને મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં આ મતલબનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવનો આજદિન સુધી અમલ કરવામાં આવ્યો નથી. હવે મહાનગરપાલિકા ૧૦૦ કરોડ રૃપિયાના ખર્ચે આ કતલખાનાંને અદ્યતન બનાવી રહી છે.
ઉત્તર પ્રદેશની સરકારે જે આઠ નવાં કતલખાનાંઓને લાઈસન્સો આપ્યાં છે તેમાં દિલ્હી શહેર નજીક આવેલા ગાઝિયાબાદનાં કતલખાનાંનો પણ સમાવેશ થાય છે. આ કતલખાનાંમાં રોજના ૧૦,૦૦૦ પ્રાણીઓની કતલ કરવાની ક્ષમતા છે. આ કતલખાનાંમાં પેદા થનારા મોટા ભાગના માંસની નિકાસ થવાની છે. આ કતલખાનાંનું બજેટ આશરે ૧૦૦ કરોડ રૃપિયાનું છે. ઉત્તર પ્રદેશમાં જે નવાં આઠ કતલખાનાંઓ ઊભાં થવાનાં છે તેમાં રોજના આશરે એક લાખ અને વર્ષે ૩.૬૫ કરોડ પશુઓની કતલ થવાની છે. ભારતમાં એકબાજુ દૂધાળા પશુઓની અને કૃષિ માટે ઉપયોગી બળદોની તીવ્ર અછત છે અને બીજી બાજુ પશુધનની કતલ વધી રહી છે. આ કારણે પાયમાલ થતાં હજારો કિસાનોને આપઘાત કરવાની ફરજ પડે છે. ભારતમાં જો સંપૂર્ણ ગોવંશહત્યાબંધી કરવામાં આવે અને પશુઓના માંસની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે તો ખેડૂતોના આપઘાતને પણ અટકાવી શકાય તેમ છે.
ઉત્તર પ્રદેશનાં આઠ સંભવિત નવાં કતલખાનાંઓ સામે શરૃ થયેલું જીવદયાપ્રેમીઓનું આંદોલન હવે ભારતભરમાં પ્રસરી ગયું છે. જૈન મુનિશ્રી મૈત્રીપ્રભસાગરજીના સમર્થનમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, અમદાવાદ, સુરત, ભરૃચ, વડોદરા વગેરે શહેરોમાં પણ હસ્તાક્ષર આંદોલન શરૃ થયું છે.
આ રીતે લાખો સહીઓ એકઠી કરીને રાષ્ટ્રપતિને પહોંચાડવામાં આવી રહી છે. કતલખાનાંઓ વિરોધી આંદોલનના ટેકામાં ફેસબુક ઉપર પણ એક હોમપેજ બનાવવામાં આવ્યું છે. આ હોમપેજ ઉપર જીવદયાપ્રેમીઓ સંદેશાઓ લખી રહ્યા છે. ભારતભરના જીવદયાપ્રેમીઓ જો સંગઠિત થાય તો દેશમાં ધમધમતાં કતલખાનાંઓ બંધ થઈ શકે છે.

No comments:

Post a Comment