Saturday, May 14, 2011

૪/૦૫/૧૧ ઓસામા બિન લાદેનનું મોત અમેરિકાનું વધુ એક જૂઠાણું છે?


ઈન્ટરનેટ ઉપર એવી 'કોન્સ્પિરસી થિયરી'' વહેતી થઈ છે કે ઓસામા બિન લાદેનનું મૃત્યુ વર્ષો અગાઉ થઈ ગયું હતું અથવા તે હજી જીવિત છે
અમેરિકા દ્વારા ઓસામા બિન લાદેનને હણી નાંખવાની જાહેરાત કરવામાં આવી તેના ગણતરીના કલાકોમાં ઈન્ટરનેટની હજારો વેબ્સાઈટ ઉપર એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ આ જાહેરાત કરીને દુનિયાભરની પ્રજા સાથે એક મોટી ઠગાઈ કરી છે. આ પ્રચાર કરનારાઓ કહે છે કે ઓસામા બિન લાદેન કદાચ વર્ષો અગાઉ મૃત્યુ પામ્યો હતો અને કદાચ હજી પણ દુનિયાના કોઈ અજ્ઞાાત ખૂણામાં જીવી રહ્યો છે. તેમના આક્ષેપ મુજબ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ તેમની ઘટી રહેલી લોકપ્રિયતાને ટકાવી રાખવા અને અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું લશ્કર પાછું ખેંચી લેવા પાકિસ્તાનના અબોટાબાદમાં ઓસામાની હત્યાનું નાટક ભજવ્યું છે. ઓસામાનું મોત નકલી હતું એવું સૂચવતું એક જૂથ પણ ફેસબુક ઉપર ‘‘Osama bin Laden NOT DEAD'' ના નામે શરૃ થયું છે.
ઓસામા બિન લાદેનના મૃત્યુની જાહેરાત સાથે જ ઓસામાના લોહી નીતરતા ચહેરા સાથેની એક તસવીર કેટલીક વેબ્સાઇટો ઉપર તરતી મૂકવામાં આવી હતી. આ તસવીર ઓસામાના મૃતદેહની છે, એવું માનીને કેટલાક અખબારોએ તેને પહેલે પાને પ્રગટ કરી હતી. હવે એવું બહાર આવ્યું છે કે આ તસવીર નકલી હતી અને તેને અમેરિકાના સત્તાવાળાઓ દ્વારા પ્રગટ જ કરવામાં નહોતી આવી. ફેસબુક ઉપર એક સભ્યે સવાલ કર્યો હતો કે ''જો ઓસામા મરી ગયો હોય તો મને તેનો મૃતદેહ બતાડો અથવા તેની તસવીર બતાવો. જો અમેરિકનો એવો દાવો કરતા હોય કે તેમણે ઓસામાને મારી નાંખ્યો છે તો તેમને મૃત ઓસામાની તસવીર બતાવીને લાભ જ થવો જોઈએ.''
ફેસબુક ઉપર એલેક્સ નામનો અમેરિકન રેડિયો જોકી કહે છે કે ''ઓસામા વર્ષો અગાઉ મરી ગયો હતો પણ અમેરિકા ત્રાસવાદ સામેની લડાઈને વાજબી ઠરાવવા તેના બનાવટી વિડીયો બહાર પાડયા કરતું હતું. હવે તેણે ઓસામા મરી ગયો હોવાની ખોટી જાહેરાત કરીને આ જૂઠાણાં ઉપર પડદો પાડયો છે.'' માઈકલ વોકર નામના અમેરિકન બ્લોગરે જણાવ્યું છે કે ''જો ઓસામા ખરેખર મરાયો હોય તો અમેરિકાની સરકારે તેનો મૃતદેહ મેનહટનમાં ગ્રાઉન્ડ ઝીરો પાસે જાહેર પ્રદર્શન માટે મૂકવો જોઈએ.'' ઓસામાના મૃતદેહની એકપણ તસ્વીર બહાર પાડયા વિના તેને જમીન ઉપર દફનાવવાને બદલે દરિયામાં પધરાવી દેવામાં આવ્યો તેને કારણે પણ શંકા બળવત્તર બની છે.
અમેરિકાના કેટલાક નાગરિકો એવું પણ માને છે કે પ્રમુખ ઓબામાએ હજી બે દિવસ પહેલાં જ ઈ.સ. ૨૦૧૨માં આવનારી પ્રમુખપદની ચૂંટણીની ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. આ ઝુંબેશને સફળ બનાવવા અને બીજી મુદ્દત માટે પ્રમુખ બનવા ઓબામાએ આ જૂઠાણું વહેતું મૂક્યું છે. અમેરિકાની સીન્ડી શીહાન નામની મહિલાનો પુત્ર ઈરાકના યુદ્ધમાં માર્યો ગયો હતો. સીન્ડીએ ફેસબુક ઉપર લખ્યું છે, ''આઈ એમ સોરી! જો તમે માનતા હો કે ઓસામા બિન લાદેન માર્યો ગયો છે, તો તમે મૂર્ખ છો. જ્યારે અમેરિકાએ સદ્દામના દીકરાઓને મારી નાંખ્યા ત્યારે તેમણે તેમના મૃતદેહોની પરેડ કરાવી હતી. તો શા માટે લાદેનના મૃતદેહને તેમણે દરિયામાં પધરાવી દીધો?''
ઓસામાના મૃત્યુ પછી વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃત ઓસામાની તસવીર પ્રગટ કરવી કે નહીં એ બાબતમાં તેમણે હજી સુધી કોઈ નિર્ણય કર્યો નથી. તેને કારણે મુસ્લિમ જગતમાં વિક્ષોભ પેદા થઈ શકે છે. ઓસામાના મૃતદેહનું દરિયામાં દફન કરવા બાબતમાં સત્તાવાળાઓ કહે છે કે તેમણે તેનું ઈસ્લામિક વિધિ મુજબ દફન કર્યું છે. મુસ્લિમ મૌલવીઓ કહે છે કે ઈસ્લામમાં મૃતદેહનું દરિયામાં દફન કરવાની વિધિ ક્યાંય જણાવવામાં આવી નથી. વ્હાઈટ હાઉસ કહે છે કે ઓસામાની કબર ભવિષ્યમાં ત્રાસવાદીઓ માટે સ્મારક ન બની જાય તે માટે તેના મૃતદેહને દરિયામાં દફનાવી દેવામાં આવ્યો છે. વ્હાઈટ હાઉસના સત્તાવાળાઓ કહે છે કે ઓસામા બિન લાદેનના મૃતદેહની ઓળખ કરવા માટે તેના ઉપર ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અમેરિકાના દાવા મુજબ ઓસામાની બહેન થોડા સમય અગાઉ બોસ્ટનની મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં મૃત્યુ પામી હતી. તેનું ડીએનએ સાચવી રાખવામાં આવ્યું હતું અને ઓસામાના ડીએનએ સાથે તેની સરખામણી કરવામાં આવી હતી. ન્યુયોર્ક ટાઈમ્સ અખબારે આ હોસ્પિટલના સત્તાવાળાઓનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે આ હેવાલને સમર્થન આપવાનો ઈનકાર કરી દીધો હતો.
અમેરિકાના હુમલામાં ઓસામા બિન લાદેન માર્યો ગયો નથી એવું માનનારાઓ તેનાં પાંચ કારણ રજૂ કરે છે, જે આ મુજબ છે.
(૧) જે શખ્સ માર્યો ગયો તે ઓસામા બિન લાદેન નહોતો. તેઓ કહે છે કે તેમણે ડીએનએ ટેસ્ટ કર્યો છે, પણ તમે કે હું ક્યાં જોવા ગયા છીએ? કદાચ ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનમાં ક્યાંક માર્યો ગયો હતો અથવા અમેરિકાએ માની લીધું હતું કે તે માર્યો ગયો છે. તેમણે ઓસામાના મૃતદેહને દરિયામાં પધરાવી દેવાનો દાવો કર્યો તેને કારણે જ આ શંકા વધુ ને વધુ મજબૂત બનતી રહેવાની છે.
(૨) અમેરિકાના સત્તાવાળાઓ કહે છે કે તેમણે આઠ મહિના પહેલા ઓસામાને શોધી કાઢ્યો હતો. તો પછી તેમને ઓસામાને ખતમ કરવામાં આઠ મહિનાનો વિલંબ કેમ થયો? સંભવ છે કે તેમણે થોડાક મહિના પહેલા ઓસામાને મારી નાંખ્યો હોય અને તેની જાહેરાત રાજકીય પરિસ્થિતિની સાનુકૂળતા જોઈને કરી હોય.
(૩) ઓસામા બિન લાદેન શરણે આવવા તૈયાર હોય, પરંતુ અમેરિકાના સત્તાવાળાઓને ભય હતો કે તેની ઉપર જો ખટલો માંડવામાં આવશે તો તે અમેરિકાનાં ઘણાં રહસ્યો બહાર પાડી દે તેમ હોય. વળી ખટલો લાંબો ચાલે અને ઉશ્કેરણીનું કારણ બને. આ બધાનો રસ્તો કાઢવા અમેરિકાના પ્રમુખે ઓસામાને જીવતો પકડવાને બદલે તેને મારી નાંખવાનો આદેશ આપ્યો હોય. વળી જો અમેરિકાએ ઓસામા સાથે અથડામણનું સ્ટન્ટ જ કર્યું હોય તો તેને જીવતો પકડવાથી અથવા તેનો મૃતદેહ સાચવી રાખવાથી ભાંડો ફૂટી જાય. આ કારણે ઓસામાને હણી નાંખવાની જાહેરાત કરવા સાથે અમેરિકાએ તેના મૃતદેહનું સમુદ્રમાં દફન કરવાની જાહેરાત પણ કરી દીધી હતી.
(૪) અબોટાબાદમાં ઓસામાને જ્યાં રાખવામાં આવ્યો હતો તે મકાનથી પાકિસ્તાનની મિલિટરી એકેડેમીનું થાણું માત્ર એક જ કિલોમીટરના અંતરે હતું. ઓસામા આટલો નજીક હોય અને પાકિસ્તાનની સરકારને તેની જાણ ન હોય તે સંભવિત નથી. આ ઉપરથી કહી શકાય કે પાકિસ્તાનના સત્તાવાળાઓને અંધારામાં રાખીને જ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અથવા એમ પણ કહી શકાય કે ઓસામા પાકિસ્તાનમાં હતો જ નહીં પણ પાકિસ્તાનના અણુ શસ્ત્રો ઉપર કબજો મેળવવા માટે પાકિસ્તાનને વાંકમાં લાવવા ઓસામા પાકિસ્તાનમાં મરાયો હોવાના હેવાલો અમેરિકા દ્વારા વહેતા મૂકવામાં આવ્યા હતા.
(૫) ઓસામાને પાકિસ્તાનમાં ઠાર મારીને અથવા તેવી જાહેરાત કરીને અમેરિકાએ પાકિસ્તાનનું નાક કાપ્યું છે. જો ઓસામા ખરેખર પાકિસ્તાનમાં હોય અને તેની જાણ પાકના સત્તાવાળાઓને ન હોય તો તેમના માટે એ નામોશી કહેવાય. જો ઓસામા પાકિસ્તાનમાં હોય તેની પાકના સત્તાવાળાઓને જાણ હોય અને તેમણે અમેરિકાના સત્તાવાળાઓને જાણ ન કરી હોય તો તે અમેરિકાનો દ્રોહ કહેવાય. પાકિસ્તાને જો ઓસામાને પકડવાના મિશનમાં સાથ આપ્યો હોય તો પાકિસ્તાનની સરકાર આતંકવાદીઓના ખોફનો ભોગ બની શકે છે. જો અમેરિકાએ પાકિસ્તાનની જાણ વિના તેની ભૂમિ ઉપર લશ્કર ઉતાર્યું હોય તો તે પાકિસ્તાનના સાર્વભૌમનો ભંગ કહેવાય. ઓસામા પાકિસ્તાનમાં મરાયો જ ન હોય અને અમેરિકાએ તેવી જાહેરાત કરી હોય તો તે પાકિસ્તાનની નાહકની બદનક્ષી ગણાય. આ રીતે ઓસામાના તથાકથિક એન્કાઉન્ટરનાં પગલે અમેરિકાના પાકિસ્તાન સાથેના સંબંધો કથળશે તે નક્કી છે.
અમેરિકાના ઘણા લોકો આજે પણ એવું માને છે કે ૯/૧૧ના ટ્વીન ટાવરના હુમલાની યોજના ઓસામા બિન લાદેને નહીં પણ ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે અમેરિકન ગુપ્તચર સંસ્થા સીઆઈએ સાથે મળીને ઘડી કાઢી હતી. ટ્વીન ટાવર સાથે હાઈજેક કરવામાં આવેલાં વિમાનો ટકરાયા ત્યારે અંદરથી પણ અગાઉના પ્લાન મુજબ વિસ્ફોટો થયા હતા, જેને કારણે ટ્વીન ટાવરની લોખંડની ફ્રેમ પિગળી ગઈ હતી અને ટાવરો જમીનદોસ્ત થઈ ગયા હતા. આ કાવતરાંની ગંધ ન આવે તે માટે ટ્વીન ટાવર જમીનદોસ્ત થયા તેના ગણતરીના કલાકોમાં ગ્રાઉન્ડ ઝીરોની જમીન સાફ કરી દેવામાં આવી હતી અને તેના અંશો ફોરેન્સિક ટેસ્ટ માટે પણ મોકલવામાં નહોતા આવ્યા. અમેરિકાના ત્યારના પ્રમુખ જ્યોર્જ બુશ ઓસામાના પરિવાર સાથે ધંધાદારી સંબંધો ધરાવતા હતા.
અમેરિકામાં આ કાવતરું કોન્સ્પિરસી થિયરી તરીકે વિખ્યાત છે. આ થિયરી મુજબ ૯/૧૧ની ઘટના વખતે ઓસામાનો પરિવાર અમેરિકામાં જ હતો. તત્કાલીન પ્રમુખ બુશે તેમને છટકી જવા માટે પ્રાઈવેટ જેટ વિમાનની વ્યવસ્થા કરી આપી હતી. અમેરિકાના તત્કાલીન પ્રમુખ જ્યોર્જ બુશે ૯/૧૧ની ઘટનાને બહાનું બનાવીને ત્રાસવાદ સામેના યુદ્ધના નામે અફઘાનિસ્તાન સામે યુદ્ધ છેડી દીધું હતું અને પછી ઈરાક ઉપર પણ કબજો જમાવ્યો હતો.
જો ઓસામા બિન લાદેન જીવતો પકડાય તો તે આ બધી વાતોનો દુનિયાની સામે ઢંઢેરો પિટયા વિના રહે નહીં. આ કારણે તેને મારીને તેના મૃતદેહનું દરિયામાં વિસર્જન કરી નાંખવામાં આવ્યું હતું. ઓસામાના મૃત્યુ સાથે કોન્સ્પિરસી થિયરીના પ્રચારકો જાતજાતની થિયરીઓ ઈન્ટરનેટ ઉપર મૂકી રહ્યા છે. આ બધામાંથી સત્ય તારવવું અત્યંત ઔમુશ્કેલ છે.

No comments:

Post a Comment