Saturday, May 14, 2011

૭/૦૫/૧૧ કનિમોઝીએ પોતાના હાથ કોલસાની દલાલીમાં કાળા કર્યા છે



તિહાર જેલમાં કનિમોઝીના સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે ઃ કનિમોઝી ક્યાં સુધી સીબીઆઇની કસ્ટડી ટાળ્યા કરશે ?
તામિલનાડુના મુખ્યપ્રધાન કરૃણાનિધિની લાડકી દીકરી કનિમોઝીની જામીન અરજીની સુનાવણી અધૂરી રહી છે. કનિમોઝી માટે કસ્ટડીનો અનુભવ કદાચ એક દિવસ પાછો ઠેલાયો છે. કોઈ માણસ કોલસાનો ધંધો કરે અને તેના હાથ કાળા ન થાય તે સંભવિત નથી. તમિલનાડુના મુખ્યપ્રધાન કરૃણાનિધિની ત્રીજી પત્નીની પુત્રી કનિમોઝી કવયિત્રી હતી, પત્રકાર હતી અને સમાજસેવક પણ હતી. પરંતુ તેણે રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો ત્યારથી જ તેના પતનનો પ્રારંભ થયો હતો. કનિમોઝી પર આરોપે છે કે તેણે ૨-જી કૌભાંડમાં ૨૧૪ કરોડ રૃપિયાની લાંચ લીધી છે. ભારતના ઘણા રાજકારણીઓ આના કરતા પણ વધુ મોટા કૌભાંડો આચરીને આરામથી છટકી જતા હોય છે. કનિમોઝીની હાલત છીંડે ચડી ગયેલા ચોર જેવી છે.
ભારતના રાજકારણમાં વંશપરંપરાગત શાસનની કોઈ નવાઈ નથી. કેન્દ્રના અને રાજ્યના રાજકારણમાં અનેક પરિવારો એવા છે કે જેમના નબીરાઓને સત્તા વારસામાં મળી છે. કનિમોઝી પણ કરૃણાનિધિના અનેક રાજકીય વારસદારોમાંની એક ગણાતી હતી. કનિમોઝીનું દુર્ભાગ્ય એ છે કે તેને પોતાના પિતાની સત્તા વારસામાં મળે તે પહેલાં પિતાના પાપોની સજા ભોગવવી પડશે. કનિમોઝીએ 'રાજકારણમાં સ્વચ્છતા' બાબતમાં પુસ્તક લખ્યું ત્યારે તેણે કદાચ કલ્પના નહીં કરી હોય કે તેને પણ રાજકારણમાં આવવાની ફરજ પડશે. કનિમોઝી રાજકારણમાં આવી તેની પાછળ કરૃણાનિધિ પરિવાર અને મારન પરિવાર વચ્ચેનો સંઘર્ષ કારણભૂત હતો. કરૃણાનિધિના ભત્રીજા મુરાસોલી મારન ડી.એમ.કે.ના ક્વોટામાંથી કેન્દ્રના ઉદ્યોગ પ્રધાન બન્યા હતા. તેમના મૃત્યુ પછી તેમનું સ્થાન તેમના પુત્ર દયાનિધિ મારનને આપવામાં આવ્યું હતું. ઇ.સ. ૨૦૦૪ની સાલમાં દયાનિધિ મારન કેન્દ્રના ટેલિકોમ ખાતાના પ્રધાન બન્યા હતા.
ઇ.સ. ૨૦૦૭ના મે મહિનામાં 'દિનકરન' નામના તમિલ અખબારમાં સર્વે છપાયો હતો કે તામિલનાડુની ૭૦ ટકા પ્રજા દયાનિધિને કરૃણાનિધિના વારસ તરીકે જુએ છે, જ્યારે માત્ર બે ટકા પ્રજા કરૃણાનિધિના પુત્ર અઝાગિરીને વારસ તરીકે જૂએ છે. આ 'દિનકરન' દૈનિકની માલિકી દયાનિધિના ભાઈ કલાનિધિ મારનની છે. આ સમાચારથી અકળાયેલા અઝાગિરીના સમર્થકોએ તોફાન મચાવ્યું. તેમણે 'દિનકરન'ની ઓફિસને આગ ચાંપી હતી, જેમાં ત્રણ કર્મચારીઓ બળી મર્યા હતા. આ ઘટના પછી કરૃણાનિધિના પરિવાર અને મારનના પરિવાર વચ્ચે ઊંડી ખાઈ પડી ગઈ હતી. દયાનિધિના ભાઈ કલાનિધિ મારન તામિલનાડુના સૌથી મોટા ખાનગી ટીવી સન ટીવી નેટવર્કના પણ માલિક હતા. કરૃણાનિધિના પરિવારે દયાનિધિના પરિવારને મહાત કરવા પોતાનું ટીવી નેટવર્ક ઉભું કરવાનો નિર્ણય કર્યો હતો. દયાનિધિ મારનને રાજકીય જંગમાં શિકસ્ત આપવાની જવાબદારી કનિમોઝીએ પોતાના શિરે લઈ લીધી હતી. આ કારણ તેને ડીએમકેના ક્વોટામાંથી રાજ્યસભામાં ચૂંટીને દિલ્હી મોકલવામાં આવી હતી અને ક્લાઇગ્નર ટીવીની જવાબદારી પણ તેણે સંભાળી હતી.
૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં કનિમોઝીની સામેલગીરીની હકીકત નીરા રાડિયાની ટેપથી પ્રકાશમાં આવી હતી. નીરા રાડિયાની કનિમોઝી અને અન્ય વીઆઇપીઓ સાથેની વાતચીત ઉપરથી ખ્યાલ આવતો હતો કે કનિમોઝીને એ. રાજા પ્રત્યે વધુ પડતી સહાનુભૂતિ હતી અન તેની જીદ્દને કારણે જ રાજાને ટેલિકોમ ખાતાના પ્રધાન બનાવવાની બાબતમાં કરૃણાનિધિએ સંમતિ આપી હતી. સીબઆઇએ ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં બીજી ફેબુ્રઆરીએ રાજાની ધરપકડ કરી ત્યારથી કનિમોઝી ફરતો ગાળિયો મજબૂત બનતો ગયો હતો.
કનિમોઝીને સન ટીવી નેટવર્ક સામે ક્લાઇગ્નર ટીવીને મજબૂત બનાવવા ભંડોળની સખત જરૃર હતી. તેમણે સન ટીવીના શ્રેષ્ઠ કર્મચારીઓને વધુ ઉંચા પગારની ઓફર આપીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં એ. રાજાએ જે કમણી કરી હતી તેમાં કરૃણાનિધિ પોતાનો ભાગ માંગે એ સ્વાભાવિક હતું. આ ભાગ ક્લાઇગ્નર ટીવીને ૨૧૪ કરોડ રૃપિયાની લાંચના રૃપમાં ચેકથી આપવામાં આવ્યો હતો. ક્લાઇગ્નર ટીવીમાં કરૃણાનિધિની બીજી પત્ની દયાલુ અમ્માનો ૬૦ ટકા હિસ્સો છે પણ કનિમોઝીનો હિસ્સો માત્ર ૨૦ ટકા છે તેમ છતાં સીબીઆઇએ દયાલુ અમ્માને છોડીને કનિમોઝીને આરોપી બનાવી છે.
સીબીઆઇએ ક્લાઇગ્નર ટીવીમાં ૬૦ ટકા હિસ્સો ધરાવતા દયાલુ અમ્માને ૨-જી કૌભાંડમાં આરોપી નથી બનાવી તેનું કારણ છે. સીબીઆઇ કહે છે કે ક્લાઇગ્નર ટીવીના બધા દસ્તાવેજો અંગ્રેજીમાં છે અને દયાલુઅમ્મા તામિલ સિવાય કોઈ ભાષા જાણતી નથી. વળી ક્લાઇગ્નર ટીવીને શાહીદ બાલવાની કંપની દ્વારા જે રૃા. ૨૧૪ કરોડ રૃપિયાની લાંચ આપવામાં આવી તેને લગતા કોઈ દસ્તાવેજોમાં દયાલુ અમ્માની સહી નથી આ કારણે સીબીઆઇ એવું માને છે કે દયાલુ અમ્મા આ કૌભાંડમાં સામેલ નથી. નવાઈની વાત એ છ કે સીબીઆઇએ દયાલુ અમ્માને ૨-જી કૌભાંડમાં આરોપી બનાવવાને બદલે સાક્ષી બનાવી છે એટલ તેઓ કનિમોઝી સામે સાક્ષી તરીકે તેની સાવકી માતાનો ઉપયોગ કરવા માગે છે દયાલુ અમ્મા અને કનિમોઝી વચ્ચે કથળેલા સંબંધો જોતાં સીબીઆઇએ આબાદ તીર તાક્યું છે.
ક્લાઇગ્નર ટી.વી.એ ડી.બી. ગુ્રપના મેનેજીંગ ડાયરેક્ટર શાહીદ બલવાની કંપની પાસેથી કેવી રીતે ૨૧૪ કરોડ રૃપિયાની લાંચ ચેકથી લીધી તેનો ચક્રવ્યૂહ પણ જાણવા જેવો છે. સીબીઆઈએ જ્યારે ક્લાઇગ્નર ટી.વી.ની ઓફિસ ઉપર દરોડાઓ પાડીને તેની બેલેન્સશીટ ચેક કરી ત્યારે તેને જોવા મળ્યું હતું કે ૨૧૪ કરોડ રૃપિયાનીલોન કોઈ પણ જાતની સિક્યોરિટી વિના મળી હતી. કોઈ કંપની બીજી કંપનીને જામીનગીરી વગર આટલી મોટી રકમની લોન આપી શકે નહી. ક્લાઇગ્નર ટીવીને આ લોન સિનેયુગ મિડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની તરફથી આપવામાં આવી હગતી. આ કંપનીની માલિકી મોરાની બ્રધર્સની છે, પણ શાહીદ બલવાનો પરિવાર તેમાં ભાગીદાર છે. આ રીતે ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં ફિલ્મ નિર્માતા મોરાની બ્રધર્સ પણ સંડોવાઈ ગયા હતા.
સીબીઆઇના અધિકારીઓ દ્વારા જ્યારે સિનેયુગ મિડિયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બેલેન્સશીટ તપાસવામાં આવી ત્યારે તેમાં તને કુસેગાંવ ફ્રૂટસ એન્ડ વેજીટેબલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની તરફથી ૨૧૨ કરોડ રૃપિયાની લોન કોઈ પણ જાતની જામીનગીરી વગર મળી હોવાનું ખ્યાલમાં આવ્યું હતું. આ કંપનીમાં આસિફ બાલવા અને રાજીવ અગ્રવાલ ભાગીદાર છે. કુસેગાંવ ફ્રુટસ એન્ડ વેજીટેબલ્સ કંપનીને આ લોન શાહીદ બલવાની કંપની ડી.બી. રિયાલ્ટી દ્વારા આપવામાં આવી હતી, જેની સ્વાન ટેલિકોમ કંપનીએ એ. રાજાએ પાણીના ભાવે ૨-જી સ્પેક્ટ્રમની ફાળવણી કરી હતી. આ રીતે સ્વાન ટેલિકોમે ૨૧૪ કરોડ રૃપિયાની લાંચ ચાર કંપનીઓના માધ્યમથી કરૃણાનિધિના પરિવાર સુધી પહોંચાડી હતી. ફેબુ્રઆરી મહિનામાં રાજાની ધરપકડ કરવામાં આવી ત્યારે ક્લાઇગ્નર ટીવીએ પોતાના હાથ ચોખ્ખા દેખાડવા માટે આ લોન સિનેયુગ કંપનીને પાછી આપી દીધી હતી. પરંતુ ભ્રષ્ટાચાર વિરોધી કાયદા મુજબ લીધેલી લાંચ પાછી આપી દેવાથી કાયદાની ચુંગાલમાંથી બચી શકાતું નથી.
કનિમોઝી ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં અન્ય એક રીતે સંડોવાયેલી છે. કનિમોઝીએ તામિલ સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે 'તામિલ મૈય્યમ' નામની એક સેવાભાવી સંસ્થાની પણ સ્થાપના કરી છે. આ સંસ્થાનો ઉપયોગ તેણે ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડની લાંચના નાણાં સ્વીકારવા માટે કર્યો હતો. ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં જેટલી કંપનીઓને લાભ થયો હતો તેમાંની અનેક કંપનીઓ દ્વારા આ સંસ્થાને માતબર દાન આ સંસ્થાને આપ્યું હતું. એમટીએસ કંપનીએ ૧૦ લાખ રૃપિયાનું અને રિલાયન્સ કેપિટલ કંપનીએ ૨૫ લાખ રૃપિયાનું દાન આ સંસ્થાને આપ્યું હતું. આ બધી કંપનીઓને ઇ.સ. ૨૦૦૮ની ૧૦મી જાન્યુઆરીએ ૨-જી સ્પેક્ટ્રમના લાઇસન્સ આપવામાં આવ્યા તેના પાંચ જ દિવસ અગાઉ આ દાન આપવામાં આવયા હતા. મુંબઈમાં ઓફિસો ધાવતી આ કંપનીઓને તામિલ સાહિત્યના વિકાસમાં કેમ આટલો રસ પેદા થયો એ સમજી શકાય તેવી વાત છે.
કનિમોઝી શુક્રવારે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં હાજર થઈ તે પહેલાં તેણે એવું નિવેદન કર્યું હતું કે તે જામીન નહિ માગે અને કાયદાની પ્રક્રિયાનો સામનો કરશે. આ ઉપરાંત તેણે એમ પણ કહ્યું કે, તે મહિલા તરીકે અદાલતની સહાનુભૂતિ નહી માગે અખબારોમાં મહિલાઓના ગૌરવ બાબતમાં લેખો લખવા એક બાબત છે અને વાસ્તવિક જીવનમાં મહિલા હોવાનો લાભ લેવો એ બીજી બાબત છે. કનિમોઝીના વકીલ રામ જેઠમલાણીની સલાહથી તેણે અદાલતમાં જામીન માટેની અરજી કરી અને મહિલા કાર્ડનો ઉપયોગ પણ કર્યો શુક્રવારે જામીન અરજીની સુનાવણી મોકૂફ રહી છે. જે શનિવારે આગળ ચાલશે. આ બાજુ તિહાર જેલમાં કનીમોઝીનું સ્વાગત કરવાની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. કનિમોઝી ક્યાં સુધી સીબીઆઇની કસ્ટડી ટાળ્યા કરશે ?

No comments:

Post a Comment