Tuesday, May 17, 2011

૧૬/૦૫/૧૧ જયલલિતા જયરામ રાખમાંથી બેઠાં થવાની ક્ષમતા ધરાવે છે



તામિલનાડુની વિધાનસભાની ચૂંટણીઓમાં ત્રણ ચતુર્થાંશ બહુમતી હાંસલ કરીને જયલલિતાએ કરૃણાનિધિની રાજકીય કારકિર્દી ખતમ કરી નાંખી છે
તામિલનાડુના રાજકારણમાં 'અમ્મા' તરીકે ઓળખાતાં જયલલિતા જયરામને ફરી વખત સાબિત કરી આપ્યું છે કે તેઓ પ્રજાની અમ્માની ભૂમિકા ભજવવા કાયમ તૈયાર હોય છે. છેલ્લે ઇ.સ. ૨૦૦૧ની સાલમાં જયલલિતા જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ જીત્યાં તે દિવસે મધર્સ ડે હતો અને જયલલિતાએ કહ્યું હતું કે, ''હું પ્રજાની માતાની ભૂમિકા ભજવવા તૈયાર છું.'' ઈ.સ. ૨૦૦૬ની વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રજાએ અમ્માને જાકારો આપ્યો અને કરૃણાનિધિના હાથમાં સત્તા સોંપી તો પણ જયલલિતા જરા પણ હતાશ થયાં નહોતાં. જયલલિતાએ સાબિત કરી આપ્યું છે કે તેઓ ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી પણ બેઠાં થઈ શકે છે. જયલલિતા તેમની જિંદગીમાં અનેક રાજકીય કટોકટીઓમાંથી પસાર થયાં છે અને હેમખેમ બહાર આવ્યાં છે. તેમના પ્રેરણાસ્રોત એમ.જી. રામચંદ્રનના અવસાન પછી તેમના રાજકીય વારસદાર બનવા માટે એમ.જી.આર.ની વિધવા જાનકી રામચંદ્રન અને જયલલિતા વચ્ચે ભારે સંઘર્ષ ફાટી નીકળ્યો હતો. આ સંઘર્ષમાં જયલલિતા જીતી ગયા હતાં. કારણ કે તામિલનાડુની પ્રજા તેમને એમ.જી.આર.ના ખાલી પડેલા સિંહાસન ઉપર બેસાડવા આતુર હતી. તામિલનાડુના રાજકારણમાં જયલલિતાનો પ્રવેશ ધમાકેદાર રીતે થયો હતો. ઈ.સ. ૧૯૯૧માં જયલલિતા પહેલી વખત તામિલનાડુનાં મુખ્ય પ્રધાનની ગાદી ઉપર બિરાજમાન થયાં ત્યારે કોઈ દેવી સ્વર્ગમાંથી ઉતરી આવી હોય તેમ તામિલનાડુની પ્રજા તેમની પૂજા કરવા લાગી હતી. ચેન્નાઈમાં ઠેરઠેર જયલલિતાના જાયન્ટ કટ આઉટ જોવા મળતા હતા, જેને ગરીબ લોકો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હતા. જયલલિતા પણ સત્તાના મદમાં ડૂબી ગયાં હતાં. તેમણે ભેગી કરેલી ભેટસોગાદોની વાતો દંતકથાઓની જેમ પ્રચલિત થવા લાગી હતી. ઈ.સ. ૧૯૯૬માં વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ જયલલિતાના દત્તક પુત્રના લગ્નમાં કરોડો રૃપિયાનું આંધણ કરવામાં આવ્યું તેને કારણે તેઓ લોકોની નજરે ચડી ગયાં હતાં. આ વૈભવશાળી લગ્નનાં દ્રશ્યો વારંવાર દર્શાવીને સન ટીવીએ બળતામાં ઘી હોમ્યું હતું. આ કારણે ઈ.સ. ૧૯૯૬ની ચૂંટણીઓમાં જયલલિતની હાર થઈ હતી. આ પરાજય અત્યંત કારમો હતો. જયલલિતાની કેબિનેટના બધા પ્રધાનો ચૂંટણી હારી ગયા હતા. છ પ્રધાનોની તો ડિપોઝીટ ગઈ હતી.
તામિલનાડુમાં છેલ્લાં ૨૦ વર્ષથી સંગીત ખુરશીની જેમ દર પાંચ વર્ષે સત્તાપરિવર્તન જોવા મળે છે. પાંચ વર્ષ જયલલિતા રાજ કરે છે અને પાંચ વર્ષ કરૃણાનિધિ રાજ કરે છે. તામિલનાડુની પ્રજા આ બંને નેતાઓને પાંચ વર્ષ પ્રેમ કરે છે અને પાંચ વર્ષ તેમને ધિક્કારે છે. ઈ.સ. ૧૯૯૧ થી ૧૯૯૬નાં પાંચ વર્ષ જયલલિતાએ રાજ કર્યું તે પછી ૧૯૯૬માં કરૃણાનિધિનું રાજ આવ્યું હતું. ઈ.સ. ૨૦૦૧ની ચૂંટણીઓમાં ફરીથી જયલલિતા ચૂંટાઈ આવ્યાં અને પાંચ વર્ષ સત્તામાં રહ્યાં હતાં. ફરીથી ઈ.સ. ૨૦૦૬ની ચૂંટણીઓમાં કરૃણાનિધિ ચૂંટાી આવ્યા. હવે ૨૦૧૧માં ફરીથી જયલલિતાનું રાજ આવ્યું છે. તેઓ ઈ.સ. ૨૦૧૬ સુધી સત્તા ઉપર રહેશે. ઈ.સ. ૨૦૧૬માં તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ થશે ત્યારે કરૃણાનિધિ રાજકીય સંન્યાસમાં ધકેલાઈ ગયા હોવાથી રાજ્યનું રાજકારણ કોઈ નવો જ વળાંક લેશે. ઈ.સ. ૧૯૯૬ની વિધાનસભાની ચૂંટણીઓમાં જયલલિતાની હાર થઈ તે પછી તેમની હાલત બૂરી થઈ હતી. તેઓ લોકોની નજરમાંથી ઉતરી ગયાં હતાં. તે ઉપરાંત કરૃણાનિધિએ તેમની ઉપર વેર વાળવા તેમની ઉપર ભ્રષ્ટાચારના અનેક કેસો ઠોકી દીધા હતા. બેંગલોરમાં તેમની સામે વેલ્થ ટેક્સના કાયદા હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. તેમાનાં 'તાનસી' કેસમાં તો ટ્રાયલ કોર્ટે જયલલિતાને તકસીરવાર ઠરાવીને પાંચ વર્ષની જેલની સજા પણ કરી હતી. આ દરમિયાન ઈ.સ. ૨૦૦૧ની વિધાનસભાની ચૂંટણીઓ આવી હતી, જેમાં જયલલિતાને પ્રજાની સહાનુભૂતિનો લાભ મળ્યો અને તેમનો પક્ષ બહુમતીથી ચૂંટણીઓ જીતી ગયો હતો. સુપ્રિમ કોર્ટે જયલલિતાને ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તો પણ તેઓ તામિલનાડુનાં મુખ્યપ્રધાન બની ગયાં હતાં. ેછેવટે ઇ.સ. ૨૦૦૩ની સાલમાં સુપ્રિમ કોર્ટે તેમના ભ્રષ્ટાચારના કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યાં તે પછી તેઓ વિધાનસભાની પેટા ચૂંટણી જીતીને કાયદેસરનાં મુખ્ય પ્રધાન બન્યાં હતાં. આ પ્રકરણમાં જયલલિતાની ફાઈટીંગ સ્પિરીટ પ્રગટ થઈ હતી.
જયલલિતા સત્તાના બીજા દોરમાં પીઢ અને શાણાં બન્યાં હતાં અને અગાઉની ભૂલોનું પુનરાવર્તન નહીં કરવાનો તેમણે નિર્ધાર કર્યો કર્યો હતો. ઈ.સ. ૨૦૦૧થી ૨૦૦૬ દરમિયાનના શાસનમાં તેમણે પ્રજોપયોગી અનેક કાર્યો કર્યાં હતાં. ચંદનચોર વીરપ્પનની હત્યા માટે કર્ણાટક અને કેરળની પોલીસ સાથે જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને અંતે વીરપ્પનને ખતમ કરીને તેમણે રાક્ષસનો સંહાર કરનાર મહાકાલિ માતા જેવી ઈમેજ ઊભી કરી હતી. સુનામી વખતે રાહત કાર્યો સક્ષમતાથી હાથ ધરીને તેમણે પોતાની વહીવટી કુશળતા દર્શાવી આપી હતી. પોતાના રાજકીય પ્રતિદ્વંદ્ધી કરૃણાનિધિની મધરાતે ધરપકડ કરાવીને તેમણે પોતાના લોખંડી મનોબળનો પરચો આપી દીધો હતો. કાંચીના શંકરાચાર્યની હત્યાના કેસમાં ધરપકડ કરાવીને તેણે હિન્દુઓનો રોષ વહોરી લીધો હતો તો ધર્માંતરવિરોધી કાયદો પસાર કરાવીને તેણે ખ્રિસ્તીઓનો રોષ વહોરી લીધો હતો. સરકારી કર્મચારીઓએ હડતાળ પાડી તો તેમણે લાખેક કર્મચારીઓની હકાલપટ્ટી કરી નાંખી હતી. આ બધાં પગલાંઓ બૂમરેંગ થયાં હતાં અને ઈ.સ. ૨૦૦૬ની ચૂંટણીઓમાં તેમણે સત્તા ગુમાવી હતી. ઈ.સ. ૨૦૦૬માં જયલલિતાનો પક્ષ પરાજીત થયો તે પછી તેમણે વિપક્ષના નેતાનું સ્થાન પોતાના વિશ્વાસન ઓ.પાનીરસેલવમને અપાવ્યું હતું અને પોતે વિધાનસભામાં જવાનું લગભગ બંધ કરી દીધું હતું. થોડા સમય પછી તમિલનાડુની વિધાનસભાના સ્પીકરે અન્ના ડીએમકે પક્ષના તમામ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવ્યા પછી જયલલિતા પોતે વિપક્ષના નેતા બન્યાં હતાં અને વિધાનસભામાં હાજરી પણ આપતાં હતાં. ઈ.સ. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીઓમાં પણ જયલલિતાના પક્ષે કરૃણાનિધિના પક્ષ કરતાં ઓછી બેઠકો મેળવી ત્યારે લોકો કહેવા લાગ્યા હતા કે તમિલનાડુમાં હવે જયલલિતાના દિવસો પૂરા થયા છે, પણ જયલલિતા સહેલાઇથી હાર માને તેમ નહોતાં. તેમણે કરૃણાનિધિનો વિરોધ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. આ પ્રયાસોમાં તેમના માટે ૨-જી કૌભાંડ છૂપા આશીર્વાદ જેવું પુરવાર થયું.
તામિલનાડુના રાજકારણમાં ડીએમકેને બદનામ કરવા માટે જયલલિતાએ ૨-જી સ્પેકટ્રમ કોભાંડનો પૂરેપૂરો લાભ લીધો હતો. ભારતના રાજકારણમાં ૨-જીનું કૌભાંડ નહીં ગાજ્યું હોય તેટલું તામિલનાડુના રાજકારણમાં ગાજ્યું હતું. આ કૌભાંડનો પ્રચાર કરવા ડીએમકેની છાપ પ્રજામાં ભ્રષ્ટાચારીઓના પક્ષ તરીકે ઉપસાવવામાં જયલલિતાને સફળતા મળી હતી. કરૃણાનિધિના પરિવારમાં ચાલી રહેલા વારસાયુદ્દનો અને કરૃણાનિધિના પુત્ર અઝાગિરિની ગુંડા જેવી છાપનો જયલલિતાએ ચિક્કાર લાભ લીધો હતો. જયલલિતાને ચૂંટણીમાં છક્કડ ખવરાવવા કરૃણાનિધિ મરણિયા બન્યા હતા. તેમણે ચૂંટણીના પ્રચાર માટે સરકારી યંત્રણાનો ગેરલાભ લીધો હતો. મહિલાઓના મત મેળવવા માટે તેમણે મહિલાઓને ફ્રીમાં મિક્સર-ગ્રાઇન્ડર આપવાનું વચન આપ્યું હતું. તામિલનાડુના મતદારોએ આ પ્રલોભનોને વશ થયા વિના જયલલિતાના પક્ષને ખોબા ભરીને મતો આપ્યા હતા. જયલલિતાએ ત્રણ ચતુર્થાંશ બહુમતી મેળવીને નવો ઈતિહાસ રચ્યો છે. જયલલિતાના આ સપાટાને કારણે કરૃણાનિધિની રાજકીય કારકિર્દીનો લગભગ અંત આવી ગયો છે.
આ ચૂંટણીઓમાં જો કરૃણાનિધિના પક્ષનો વિજય થયો હોત તો તેઓ ૮૭ વર્ષની ઉંમરે ભારતના સૌથી વયોવૃદ્ધ મુખ્યપ્રધાન બનવાનો રેકોર્ડ પ્રસ્થાપિત કરી શક્યા હોત. હવે ઈ.સ. ૨૦૧૬ની ચૂંટણી વખતે તેઓ ૯૨ વર્ષની ઉંમરે ફરીથી મુખ્યપ્રધાન બને તેવી શક્યતા બહુ પાંખી છે. હકીકતમાં આજથી બે વર્ષ પહેલાં કરૃણાનિધિ મુખ્યપ્રધાનની ગાદી છોડીને પોતાના પુત્ર સ્ટાલિનને ગાદી ઉપર બેસાડવાના હતા. તેમાં સ્ટાલિન અને બીજા પુત્ર અઝાગિરિ વચ્ચેની હરિફાઇ વચ્ચે આવી હતી. સ્ટાલિનને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યો હતો પણ તે લગભગ મુખ્યપ્રધાનની જેમ જ સત્તા ભોગવતો હતો. હવે વિરોધ પક્ષના નેતા તરીકે સ્ટાલિન કેવો દેખાવ કરે છે અને પ્રજામાં કેવી લોકપ્રિયતા હાંસલ કરે છે તેના ઉપર ડીએમકેના રાજકીય ભાવિનો પણ આધાર રહે છે.
તામિલનાડુની વિધાનસભાની ૨૩૪ પૈકી ૧૯૯ બેઠકો ઉપર કબજો જમાવ્યા પછી જયલલિતાએ નિર્ગેશ આપ્યો છે કે સત્તા ઉપર આવતાવેંત જ તેઓ કરૃણાનિધિ અને તેમના પરિવાર સામે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ બદલ કેસો કરશે. કરૃણાનિધિનો પક્ષ અને પરિવાર હજી ૨-જી સ્પેકટ્રમ કૌભાંડના કેસોના ચક્કરમાંથી બહાર નથી આવ્યો. તેના નેતા એ.રાજા જેલમાં છે અને કરૃણાનિધિની પુત્રી કનિમોઝીનું નામ આ કેસમાં આરોપી તરીકે છે. આ સંયોગોમાં જયલલિતા જો કરૃણાનિધિ અને તેમના પરિવાર સામે ભ્રષ્ટાચાર બાબતના ફોજદારી કેસો કરે તો તેમના પગ તળેથી જમીન સરકી જાય તેમ છે. જયલલિતાએ કેન્દ્રની યુપીએ સરકારને ડીએમકેના બદલામાં ટેકો આપવાનું ગાજર નજીકના ભૂતકાળમાં બતાવી જ દીધું છે. કેન્દ્રમાં જો જયલલિતાનો પક્ષ યુપીએ સરકાર સાથે યુતિ કરે તો કરૃણાનિધિનો ઘડો લાડવો થઇ જાય તેમ છે. જયલલિતાની આગલી ચાલની અસર માત્ર તામિલનાડુના જ નહીં પણ દેશના રાજકારણમાં પણ જોવા મળશે.

No comments:

Post a Comment