Saturday, May 14, 2011

૫/૦૫/૧૧ કનિમોઝીની ધરપકડ સમયે કરુણાનિધિના પુત્રીપ્રેમની કસોટી થઈ જશે



કરુણાનિધિની અંદર રહેલો રાજકારણી તેમને ટેકો ચાલુ રાખવાની સલાહ આપી રહ્યો છે તો બાપનું દિલ કોંગ્રેસ સાથે છેડો ફાડવા ઉશ્કેરી રહ્યું છે
જે દીકરીની લગ્ન કરવાની ઉંમર હોય તેને પરણાવીને સાસરે વળાવવાને બદલે જેલમાં વળાવવાની નોબત આવે ત્યારે એક પિતાના હૃદયમાં શું થતું હશે ? તમિલનાડુના મુખ્યપ્રધાન કરુણાનિધિ પોતાની જતી જિંદગીએ લાગણીઓના જબરદસ્ત વાવાઝોડા વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. કરુણાનિધિની પુત્રી કનિમોઝીની કંપની ક્લાઇગ્નર ટીવીએ ૨-જી સ્પેક્ટ્રમ કેસમાં શાહીદ બાલવાની કંપની ડી. બી. રિયાલ્ટી પાસેથી ૨૦૦ કરોડ રૃપિયાની લાંચ લીધી હતી, એવો ગંભીર આરોપ તેના ઉપર છે. સીબીઆઇની બીજી ચાર્જશીટમાં આરોપી તરીકે કનિમોઝીનું નામ છે. સીબીઆઇની સ્પેશિયલ કોર્ટ સમક્ષ કનિમોઝીને છઠ્ઠી મેના રોજ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. તમામ સંભાવનાઓ એવી છે કે આ દિવસે સીબીઆઇ કનિમોઝીની ધરપકડ કરીને તેને કસ્ટડીમાં મોકલી આપશે. આ દિવસે કનિમોઝીને વળાવવા કરૃણાનિધિ ખુદ સીબીઆઇની અદાલતમાં હાજર રહેશે એવું કહેવાય છે. જો કે તેમને એ વાતનો અફસોસ હશે કે તેઓ કનિમોઝી સાથે જેલમાં જઈ શકશે નહીં. એક રાજકારણી અને એક પિતા વચ્ચેનો તુમુલ સંઘર્ષ આ પ્રસંગે આપણને જોવા મળશે.
કહેવાય છે કે પ્રેમમાં અને લડાઈમાં બધું ચાલે છે હવે તેમાં રાજકારણનું નામ ઉમેરવું પડશે. તમિલનાડુના રાજકારણના ભીષ્મપિતામહ ગણાતા કરૃણાનિધિની હાલત મહાભારતના યુદ્ધમાં બાણશૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહ જેવી છે. કેન્દ્રની યુપીએ સરકારમાં કરુણાનિધિનો પક્ષ ડીએમકે ભાગીદાર છે. કોંગ્રેસને સત્તા ટકાવી રાખવા ડીએમકેના ટેકા વિના ચાલે તેમ નથી એ હકીકતનો જેટલો લેવાય તેટલો લાભ કરૃણાનિધિએ લીધો છે. ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજા ડીએમકેના પ્રતિનિધિ હતા અને કરુણાનિધિના ચાર હાથ તેમના ઉપર હતા કોંગ્રેસના ગઠબંધન ધર્મની લાચારીનો લાભ લઈને એ. રાજા અને કરૃણાનિધિના પરિવારે દેશની તિજોરીના અબજો રૃપિયા ઉપર બાદશાહી લૂંટ ચલાવી હતી. સુપ્રીમ કોર્ટના દબાણને કારણે યુપીએ સરકારને આ કૌભાંડની તળિયાઝાટક તપાસ સીબીઆઇ પાસે કરાવવી પડી હતી, જેમાં ડીએમકેના નેતાઓ પણ ભીંસમાં આવી ગયા છે.
આ વર્ષના ફેબુ્રઆરી મહિનામાં સીબીઆઇએ કરૃણાનિધિના પ્રીતિપાત્ર એ. રાજાની ધરપકડ કરી ત્યારે કરુણાનિધિ કેન્દ્રની યુપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની ગંભીર વિચારણા કરી હતી. તે વખતે તેમને સલાહકારોએ કહ્યું હતું કે કેન્દ્રમાં જેમ કોંગ્રેસને ડીએમકેની જરૃર છે તેમ ડીએમકેને તમિલનાડુમાં જયલલિતા સામે લડવા માટે કોંગ્રેસના ટેકાની જરૃર છે. આ કારણે કરૃણાનિધિ કડવો ઘૂંટડો ગળી ગયા હતા. જ્યારે સીબીઆઇએ ચાર્જશીટમાં કનીમોઝીનું નામ દાખલ કર્યું ત્યારે કરૃણાનિધિનું પથ્થર જેવું દિલ પીગળી ગયું હતું. આ તબક્કે જ્યારે એક મહિલા પત્રકારે કરૃણાનિધિને પૂછ્યું કે, ''શું તમે કોંગ્રેસ સાથેે છેડો ફાડી કાઢશો ?''ત્યારે કરૃણાનિધિ લાગણીના આવેશમાં જવાબ આપ્યો હતો કે, ''એક મહિલા તરીકે તમારે આવો દયાહીન સવાલ પૂછવો ન જોઈએ.'' રાજકારણીઓ પણ આખરે માનવ હોય છે અને તેમને પણ માનવસહજ સંવેદનાઓ થતી હોય છે, તેનો જવાબ કરૃણાનિધિના જવાબ પરથી આવતો હતો.
કરૃણાનિધિના પક્ષે યુપીએ-૧ અને યુપીએ-૨ સરકારને ટેકો આપીને તેને બ્લેકમેઇલ કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. કેન્દ્ર સરકારમાં જ્યારે પ્રધાન મંડળની રચના થવાની હોય અને ખાતાઓની વહેંચણી થવાની હોય ત્યારે કરૃણાનિધિ ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપીને પોતાનું ધાર્યું કરાવી જતા. આજેે જ્યારે કરુણાનિધિની સગી પુત્રી જેલના સળિયા પાછળ ધકેલાઈ જવાની છે ત્યારે જ કરૃણાનિધિ કેન્દ્ર સરકારને બ્લેક મેઇલ કરવાની સ્થિતિમાં નથી. કનિમોઝીના મુદ્દે કોંગ્રેસ સાથે છેડો ન ફાડી નાખવાની સલાહ કરૃણાનિધિને ડીએમકેના ટોચના નેતાઓ આપી રહ્યા છે, જેમાં કરૃણાનિધિના પુત્રો સ્ટાલિન અને અઝાગિરિનો પણ સમાવેશ થાય છે. તેમનું માનવું છે કે જો કનિમોઝીના મુદ્દે કરૃણાનિધિ યુપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેશે તો તેમને કોઈ ફાયદો નથી પણ નુકસાન જ નુકસાન છે. આ સલાહ સ્વીકારીને કરૃણાનિધિ પોતાના દિલ ઉપર પથ્થર મૂકીને કનિમોઝીની ધરપકડ માટે મનોમન તૈયારી કરી લીધી છે. અત્યારે તો એવું દેખાઈ રહ્યું છે કે કરુણાનિધિની અંદર રહેલા રાજકારણીની જીત થઈ છે અને પિતાની હાર થઈ છે.
૪૩ વર્ષની ઉંમર સુધી કાચીકુંવારી રહેલી કનિમોઝી કરૃણાનિધિની પુત્રી હોવા ઉપરાંત તેમના રાજકીય વારસદારોમાંની એક છે. કનિમોઝી ઇ.સ. ૨૦૦૭ની સાલમાં રાજકારણમાં આવી તે પહેલાં તે કવિતાઓ અને નિબંધો લખતી હતી. કરૃણાનિધિએ એક વખત કનિમોઝીને પોતાની સાહિત્યિક વારસદાર ગણાવી હતી. ઇ.સ. ૨૦૦૭માં કનિમોઝીના લેખોનો એક સંગ્રહ પ્રસિદ્ધ થયો હતો, જેમાં સ્વચ્છ રાજકારણ કેવું હોવું જોઈએ તેની ચર્ચા કરવામાં આવી હતી. હજી બે વર્ષ અગાઉ કનિમોઝીનો કાવ્ય સંગ્રહ બહાર પડયો હતો. આજે કનિમોઝી પોતે રાજકારણની ગંદકીનો શિકાર બની ગઈ છે.
કનિમોઝીનો રાજકારણમાં અને જાહેર જીવનમાં પ્રવેશ ડીએમકેમાં નિર્માણ પામેલી તાકીદની પરિસ્થિતિના જવાબના રૃપમાં થયો હતો. કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન દયાનિધિ મારનના પિતાશ્રી મુરાસોલી મારન કરૃણાનિધિના ભત્રીજા હતા. દયાનિધિ કેન્દ્રમાં ડીએમકેના ક્વોટામાંથી પ્રધાન બન્યા હતા. દયાનિધિ મારન તમિલનાડુમાં નંબર વન ગણાતું સન ટીવી નેટવર્ક ચલાવે છે. ઇ.સ. ૨૦૦૭ની સાલમાં દયનાધિ મારન અને કરૃણાનિધિના પરિવાર વચ્ચે વિખવાદ થતા દયાનિધિ મારનને કેન્દ્રના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. કનિમોઝી પહેલેથી જ એ. રાજા પ્રત્યે કૂણી લાગણી ધરાવતી હતી. કનિમોઝીની જીદના કારણે એ. રાજાને કેન્દ્રમાં ટેલિકોમ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તે સાથે કનિમોઝી રાજ્યસભાની ટિકિટ આપીને સંસદમાં મોકલવામાં આવી હતી.
દયાનિધિ મારનની વિદાયથી દિલ્હીમાં પડેલો રાજકીય શૂન્યવાકાશ પુરવા ઉપરાંત કનિમોઝીએ દયાનિધિના સન ટી.વી. નેટવર્કને પડકારવા માટે કલાઇગ્નર ટી.વી.ની સ્થાપના કરી હતી અને તેનું સંચાલન પોતાના હાથમાં લીધું હતું. સન ટી.વી.ના ટોચના કર્મચારીઓને ઊંચા પગારની ઓફરો આપીને ક્લાઇગ્નર ટીવીમાં ખેંચી લાવવામાં આવ્યા હતા. કલાઇગ્નર ટી.વી.માં કરૃણાનિધિની બીજી પત્ની દયાલુ અમ્માનો ૬૦ ટકા હિસ્સો છે તો કનિમોઝીનો ૨૦ ટકા હિસ્સો છે. ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં એ. રાજાએ ડી.બી. ગુ્રપની સ્વાન ટેલિકોમની તરફેણ કરી તેના બદલામાં ડી.બી. ગુ્રપે અન્ય કંપની મારફતે ૨૦૦ કરોડ રૃપિયા લાંચના રૃપમાં ક્લાઇગ્નર ટી.વી.ના ખાતામાં જમા કરાવ્યા હતા. એ. રાજાની ધરપકડ થઈ ત્યારે ક્લાઇગ્નર ટી.વી.એ આ રકમ વ્યાજ સાથે પરત કરી દીધી હતી. તો પણ કનિમોઝી સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કેસ થયો છે અને ચાર્જશીટમાં તેનું નામ ૧૭મા નંબરના આરોપી તરીકે લખવામાં આવ્યું છે. કનિમોઝીનું ચાર્જશીટમાં નામ આવ્યું તેનો સૌથી વધુ આનંદ દયાનિધિ મારનને થયો હશેેે. તેમણ કલાઇગ્નર ટીવીને પ્રતિબંધિત કરવાની માગણીને ટેકો આપ્યો છે.
તમિલનાડુના મુખ્યપ્રધાન કરૃણાનિધિનો પરિવાર એક સરકસ જેવો છે. કરૃણાનિધિએ ત્રણ વખત લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્ની પદ્માવતી સ્વર્ગવાસીછે. તેનો પુત્ર એમ. કે. મુથુ રાજકારણમાં થી. પદ્માવતીના મૃત્યુ પછી કરૃણાનિધિએ દયાલુઅમ્મા સાથે લગ્ન કર્યા હતા. દયાલુ અમ્માને ચાર સંતાનો થયા, જેમાં ત્રણ પુત્રો અને એક પુત્રી હતી તે પૈકી સ્ટાલિન આજે તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન છે અને અઝાગિરિ કેન્દ્રમાં પ્રધાન છે. દયાલુઅમ્માની પુત્રી સેલ્વી છે. કરઋણાનિધિએ તેમની બીજી પત્ની દયાલુઅમ્માની હયાતીમાં ત્રીજી પત્ની રજથીઅમ્માલ સાથે લગ્ન કર્યા તેને કારણે તેમના કુટુંબીજનો પણ તેમની વિરૃદ્ધમાં થઈ ગયા હતા. કનિમોઝી આ ત્રીજી પત્ની રજથીઅમ્માલની એકમાત્ર પુત્રી છે અને કરૃણાનિધિના છ સંતાનોમાં સૌથી નાની છે. કારણે કરૃણાનિધિને કનિમોઝી પ્રત્યે વિશેષ સ્નેહ હોય તે સ્વાભાવિક છે. આ સ્નેહની કસોટી હવે આવનારા દિવસોમાં થવાની છે. કનિમોઝીની ધરપકડને પગલે કરૃણાનિધિની કેન્દ્રની યુ.પી.એ. સરકાર સાથે છેડો નહિ જ ફાડી નાંખે એવું હજી સુધી ડીએમકેના કોઈ નેતા છાતી ઠોકીને કહી શકે તેમ નથી. તમિલનાડુમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીઓ થઈ છે. તેનું પરિણામ ૧૩મી મેના રોજ જાહેર થવાનું છે. આ ચૂંટણીમાં જો જયલલિતાનો પક્ષ જીતી જશે તો કરૃણાનિધિ ઉપર તેઓ રાજકીય વેર વાળ્યા વગર રહેશે નહીં. આ સંયોગોમાં કરૃણાનિધિને કેન્દ્રની ઢાલની જરૃર રહેશે. જો તમિલનાડુમાં ડીએમકેને સૌથી વધુ બેઠકો મળે તો પણ કરૃણાનિધિને સરકાર રચવા કોંગ્રેસના ટેકાની જરૃર પડશે. આ સંયોગોમાં કોંગ્રેસ સાથે છેડો ફાડવાનો નિર્ણય કરૃણાનિધિ માટે રાજકીય આપઘાત જેવો પુરવાર થશે. કરૃણાનિધિના પુત્રો સ્ટાલિન અને અઝાગિરિએ તો સલાહ આપી જ દીધી છે કે કનિમોઝીના મુદ્દે યુપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની જરૃર નથી. કરૃણાનિધિમાં રહેલો રાજકારણી તેમને કોંગ્રેસનો સાથ નિભાવવાની સલાહ આપે છે તો તેમની અંદર બેઠેલો બાપ તેમને કોંગ્રેસ સાથ છેડો ફાડી નાંખવા માટે ઉશ્કેરી રહ્યો છે. કરૃણાનિધિ કયા અવાજને મહત્ત્વ આપે છે તે જોવાનું રહે છે.

No comments:

Post a Comment