Saturday, May 14, 2011

૯/૦૫/૧૧ વ્યાજદર અને વિકાસદર વચ્ચે બિચારો આમઆદમી લૂંટાઇ રહ્યો છે



આપણી સરકાર જો ખરેખર આમઆદમીની સરકાર હોય તો સેવિંગ્સ બેંકમાં ૧૦ ટકા અને ફિક્સ્ડ ડિપોઝીટ ઉપર ૧૫ થી ૨૦ ટકા વ્યાજ મળવું જોઇએ
રિઝર્વ બેન્કે તાજેતરમાં રેપોરેટમાં અને સેવિંગ્સ બેન્કના વ્યાજદરમાં ૦.૫ ટકાનો વધારો કર્યો. રિઝર્વ બેન્ક દ્વારા જ્યારે પણ રેપો રેટમાં અથવા રિવર્સ રેપો રેટમાં વધઘટ કરવામાં આવે ત્યારે આમઆદમીને સમજણ નથી પડતી કે તેનાથી તેની જિંદગીમાં શું ફરક પડશે. તાજેતરમાં રિઝર્વ બેન્કે રેપો રેટ ૦.૫ ટકા વધારીને ૭.૨૫ ટકા કર્યો તેને કારણે અર્થતંત્રનો વિકાસદર ૯ ટકા પરથી ઘટીને ૮ ટકા થઇ જશે, એવું પણ રિઝર્વ બેન્કે જાહેર કર્યું છે. રેપો રેટ વધવાને કારણે વિકાસદરમાં શા કારણે ઘટાડો થાય તેની સમજણ આમઆદમીને નથી પડતી. આ વધઘટના ચક્કરમાં ઊંડા ઉતરીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારતની બેન્કો દ્વારા આમઆદમી સાથે ભારે છળ ચાલી રહ્યું છે. પહેલા આપણે વાત કરીએ સેવિંગ્ઝ બેન્કના વ્યાજમાં કરવામાં આવેલા વધારાની. ભારતની બહુમતી પ્રજા પોતાની બચત સેવિંગ્સ બેન્કમાં જમા કરાવે છે. આપણે જાણીએ છીએ કે ભારતની તમામ બેન્કો દ્વારા છેલ્લાં આઠ વર્ષથી સેવિંગ્સ ખાતાં દ્વારા વાર્ષિક ૩.૫ ટકાના દરે વ્યાજ આપવામાં આવતું હતું. એટલે કે જો આપણે આપણી પસીનાની કમાણીના એક લાખ રૃપિયા સેવિંગ્સ એકાઉન્ટમાં જમા કરાવ્યા હોય તો વર્ષના અંતે આપણને તેના ઉપર ફક્ત ૩,૫૦૦ રૃપિયા વ્યાજ પેટે મળે છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં ફુગાવાનો દર નવથી દસ ટકા જેટલો ભારે છે. અર્થાત એક વર્ષ અગાઉ આપણે એક લાખ રૃપિયામાં જેટલી વસ્તુ ખરીદતા હતા તેટલી વસ્તુ ખરીદવા આજની તારીખમાં ૧.૧૦ લાખ રૃપિયાની જરૃર પડે છે. બીજા શબ્દોમાં આપણે એક વર્ષ અગાઉ બેન્કમાં એક લાખ રૃપિયા મૂક્યા હોય તો તેની કિંમત લગભગ ૯૦ હજાર રૃપિયા જેટલી જ રહી જાય છે. તેમાં ૩,૫૦૦ રૃપિયાનું વ્યાજ ઉમેરીએ ત્યારે આપણા એક લાખ રૃપિયાની કિંમત ૯૩,૫૦૦ રૃપિયા થાય છે. એટલે કે આપણને સેવિંગ્સ બેન્કમાં એક લાખ રૃપિયા મૂકવાથી વર્ષે ૬,૫૦૦ રૃપિયાનું નુકસાન જાય છે. હકીકતમાં સેવિંગ્સ બેન્કમાં મિનિમમ વ્યાજદર દેશમાં પ્રવર્તમાન ફુગાવાના દર જેટલો હોવો જોઇએ.
સેવિંગ્સ બેન્કમાં વ્યાજનો દર ઓછો રાખવા દ્વારા કોને ફાયદો અને કોને નુકસાન થાય છે તે સમજવા જેવું છે. ભારતની બધી બેન્કોમાં રોકાણકારોના આશરે ૫૦ લાખ કરોડ રૃપિયા ડિપોઝીટના રૃપમાં પડેલા છે. આ પૈકી આશરે ૨૦ ટકા એટલે કે ૧૦ લાખ કરોડ રૃપિયા સેવિંગ્સ બેન્કમાં પડેલા છે. આ રકમ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગ પાસેથી આવે છે. ૩.૫ ટકાના વ્યાજ દર મુજબ આજની તારીખમાં બેન્કો સેવિંગ્સ બેન્કના ખાતાધારકોને ૩૫,૦૦૦ કરોડ રૃપિયાનું વ્યાજ ચૂકવે છે. હવે વ્યાજમાં ૦.૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાથી બેન્કોએ સેવિંગ્સ બેન્કના ખાતાધારકોને ૪૦,૦૦૦ કરોડ રૃપિયાનું વ્યાજ ચૂકવવું પડશે. હકીકતમાં બેન્કોએ સેવિંગ્સ બેન્કના ખાતાધારકોને ૧૦ ટકા વ્યાજ ચૂકવવું જોઇએ. બેન્કો જો ૧૦ ટકાના દરે વ્યાજ ચૂકવે તો વર્ષે આશરે એક લાખ કરોડ રૃપિયા સેવિંગ્સ બેન્કના ખાતાધારકોને વ્યાજ તરીકે ચૂકવવા જોઇએ. ફુગાવાના દર કરતાં વ્યાજનો દર વધુ હોવો જોઇએ એ અર્થશાસ્ત્રનો સર્વમાન્ય સિધ્ધાંત છે. આપણી બેન્કો આ નિયમનો ભંગ કરીને ગરીબોને હકીકતમાં લૂંટી રહી છે.
આપણે જોયું કે બેન્કો દ્વારા સેવિંગ્સ બેન્કના ખાતાધારકોને વર્ષે આશરે એક લાખ કરોડ રૃપિયાની ચૂકવણી થવી જોઇએ. તેને બદલે બેન્કો અત્યાર સુધી વર્ષે ૩૫,૦૦૦ કરોડ રૃપિયાની ચૂકવણી જ કરતી હતી. સામાન્ય માનવીને જે ૬૫,૦૦૦ કરોડ રૃપિયાનું નુકસાન થઇ રહ્યું છે તેનો લાભ કોને થઇ રહ્યો છે ? આ લાભ મોટા ભાગે શ્રીમંતોને અને ઉદ્યોગપતિઓને તથા અમુક અંશે બેન્કોને પણ થઇ રહ્યો છે. બેન્કો સેવિંગ્સ બેન્કના ખાતાધારકોને માત્ર ૩.૫ ટકાનું વ્યાજ આપે છે તેને કારણે તે શ્રીમંતોને મોટર કાર ખરીદવા માટે અને ઉદ્યોગપતિઓને ફેક્ટરી નાંખવા માટે નવથી દસ ટકાના વ્યાજે લોન આપી શકે છે. બીજા શબ્દોમાં ગરીબ અને મધ્યમ વર્ગની પસીનાની કમાણી બેન્કોની લીલા થકી શ્રીમંતો ઓછા વ્યાજમાં પડાવી લે છે અને વધુ શ્રીમંત બને છે. આ રીતે દેશમાં એક બાજુ ગરીબોના રૃપિયાથી ઉદ્યોગોનો વિકાસ થઇ રહ્યો છે અને બીજી બાજુ ગરીબોનું શોષણ થઇ રહ્યું છે. રિઝર્વ બેન્કની આર્થીક નીતિ જો ન્યાયના પાયા ઉપર હોય તો તેણે ગરીબોનેઓછામાં ઓછું ૧૦ ટકા વ્યાજ આપવું જોઇએ અને શ્રીમંતો પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવું જોઇએ. રિઝર્વ બેન્કના ગવર્નરે રેપોરેટમાં ૦.૫ ટકાનો વધારો જાહેર કર્યો ત્યારે તેમણે એવી જાહેરાત પણ કરી કે વ્યાજ દરમાં વધારાને કારણે ભારતના અર્થતંત્રના વિકાસનો દર નવ ટકાથી ઘટીને આઠ ટકા ઉપર આવી જશે. રિઝર્વ બેન્ક દ્વારા બેન્કોને વ્યાજના જે દરે લોન આપવામાં આવે છે તેને રેપોરેટ કહેવામાં આવે છે. આજની તારીખમાં આ રેપો રેટ ૬.૭૫ ટકા છે, જેને વધારીને ૭.૨૫ ટકા કરવામાં આવ્યો છે. આપણી બેન્કો લોકોને જે લોન આપે છે તે રેપો રેટમાં પોતાનો નફો ઉમેરીને આપતી હોય છે. ધારો કે કોઇ બેન્ક રેપો રેટ ઉપર ત્રણ ટકાનું માર્જીન ચડાવતી હોય તો તેનો લોનનો બેઝિક દર અત્યારે ૯.૭૫ ટકા છે, જે હવે વધીને ૧૦.૨૫ ટકા થઇ જશે. રેપો રેટમાં વધારો થવાથી ફુગાવાના દરમાં અને વિકાસના દરમાં કેવી રીતે ઘટાડો થાય એ પણ સમજવાની જરૃર છે.
રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે ત્યારે બેન્કો દ્વારા આપવામાં આવતાં ધિરાણના દરમાં પણ અનિવાર્ય રીતે વૃધ્ધિ થાય છે. રેપો રેટમાં ૦.૫ ટકાનો વધારો કરવામાં આવે ત્યારે બેન્કો દ્વારા આપવામાં આવતી લોનના દરમાં ૦.૫ થી ૧ ટકા જેટલી વૃધ્ધિ થતી હોય છે. વ્યાજના દરમાં એક ટકાની વૃધ્ધિ થવાથી શું ફરક પડે ? એવો સવાલ પણ કેટલાકને થતો હશે. આપણે અગાઉ જોયું કે ભારતની બેન્કો પાસે કુલ આશરે ૫૦ લાખ કરોડ રૃપિયાની ડિપોઝીટો છે, જેને શ્રીમંતોને અને ઉદ્યોગપતિઓને તેમના ધંધાના વિકાસ માટે અથવા મોજશોખ માટે વ્યાજે આપવામાં આવી છે. આ ડિપોઝીટ ઉપર ૧૦ ટકા વ્યાજ વસૂલ કરવામાં આવતું હોય તો વાર્ષિક વ્યાજ આશરે પાંચ લાખ કરોડ રૃપિયા જેટલું થાય છે. જો વ્યાજના દરમાં એક ટકાનો વધારો થાય તો ઉદ્યોગપતિઓને અને શ્રીમંતોને મૂડી વાપરવા માટે વર્ષે ૫૦,૦૦૦ કરોડ રૃપિયા વધુ ચૂકવવા પડે. ઇ.સ. ૨૦૧૦ના માર્ચ મહિનામાં રેપો રેટ પાંચ ટકાનો જ હતો. તેમાં છેલ્લા ૧૪ મહિનામાં આઠ વખત વધારો કરીને રેપો રેટ હવે ૭.૨૫ ટકા કરવામાં આવ્યો છે. આ કારણે બેન્કોમાંથી લોન લેનારા લોકો ઉપરના વ્યાજના બોજોમાં આશરે ૨.૨૫ લાખ કરોડ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વ્યાજનો દર વધે એટલે ઉદ્યોગપતિઓ સ્વાભાવિક રીતે જ બેન્કમાંથી લોન લઇને નવા ઉદ્યોગોનો વિકાસ કરવામાં ધીમા પડી જાય છે એટલે વિકાસના દરમાં પણ ઘટાડો થાય છે.
રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધઘટ કરવાની અસર આમઆદમી ઉપર અને શ્રીમંતો ઉપર કેવી થાય છે તે પણ સમજવા જેવું છે. રેપો રેટમાં વધારો થાય ત્યારે બેન્કોના ફિકસ્ડ ડિપોઝીટના દરોમાં તે પ્રમાણમાં વધારો કરવો અનિવાર્ય બની રહે છે. આજથી ૧૪ મહિના અગાઉ રેપો રેટ જ્યારે પાંચ ટકાનો હતો ત્યારે બેન્કોમાં ફિકસ્ડ ડિપોઝીટના વ્યાજનો દર આશરે છ ટકા આસપાસ હતો. હવે રેપો રેટ વધીને ૭.૨૫ ટકા ઉપર પહોંચી ગયો છે ત્યારે ફિકસ્ડ ડિપોઝીટના વ્યાજનો દર પણ વધીને નવથી દસ ટકા ઉપર પહોંચી ગયો છે. આ રીતે એક બાજુ શ્રીમંતો માટે લોન મોંઘી થઇ છે તો બીજી બાજુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેમની ડિપોઝીટ ઉપર વધુ વ્યાજ મળે છે. બેન્કોની ફિકસ્ડ ડિપોઝીટમાં રૃપિયા રોકનારા મોટા ભાગે નોકરિયાતો, પેન્શનરો અને વિધવાઓ હોય છે, જેમનું ઘર વ્યાજની આવક ઉપર ચાલતું હોય છે. આ લોકો દ્વારા આશરે ૪૦ લાખ કરોડ રૃપિયા બેન્કની ફિકસ્ડ ડિપોઝીટમાં મૂકવામાં આવ્યા છે. બેન્કો તેમને માત્ર નવથી દસ ટકાના દરે વ્યાજ આપે છે. દેશમાં એટલો ફુગાવાનો દર હોવાથી હકીકતમાં વ્યાજ ઝીરો ટકા થઇ જાય છે.
બેન્કોમાં જે લોકો પોતાની બચત ફિકસ્ડ ડિપોઝીટના રૃપમાં જમા કરાવે છે તેમના હિસાબે અને જોખમે શ્રીમંતોને કાર ખરીદવા માટે અને ઉદ્યોગપતિઓને નવાં કારખાનાંઓ નાંખવા માટે હળવા વ્યાજે લોન આપવામાં આવે છે, જેને કારણે એમ કહેવામાં આવે છે કે દેશનો ઝડપી વિકાસ થાય છે. આ રીતે જે વિકાસ થાય છે તેમાં આમઆદમીને ભારે નુકસાન જાય છે અને શ્રીમંતોને ચિક્કાર લાભ થાય છે. આ બધામાં કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક દલાલની ભૂમિકા ભજવે છે. બહુ સરળ ભાષામાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર, રિઝર્વ બેન્ક અને દેશની બેન્કો રેપો રેટના પ્રપંચ દ્વારા આમઆદમીની પસીનાની કમાણી સસ્તામાં પડાવી લે છે અને તેને ઉદ્યોગપતિઓને તેમના ધંધાના વિકાસ માટે મફતના ભાવે વાપરવા આપી દે છે.
આ મૂડીમાંથી શ્રીમંતો જે કમાણી કરે તેને દેશનો વિકાસ કહેવામાં આવે છે. વળી શ્રીમંતોને ઓછા વ્યાજે મૂડી વાપરવા મળતી હોવાથી તેઓ છૂટથી ખર્ચાઓ કરે છે, જેને કારણે ફુગાવો વધે છે, જેનો સૌથી વધુ માર આમઆદમીને લાગે છે. જ્યારે ફુગાવો કાબુ બહાર જતો રહે ત્યારે પ્રજાના રોષની આગને ઠારવા વ્યાજના દરમાં પા કે અડધા ટકાનો વધારો કરી આપવામાં આવે છે. આજે આપણને સેવિંગ્સ બેન્કમાં ચાર ટકા અને ફિકસ્ડ ડિપોઝીટ ઉપર જે નવથી દસ ટકા વ્યાજ મળે છે તે હળાહળ અન્યાય છે.

No comments:

Post a Comment