Saturday, May 14, 2011

૬/૦૫/૧૧ ઓસામાના મૃત્યુનું ઘેરું બનતું રહસ્યઃ તે સીઆઈએનો એજન્ટ હતો ?

એવો દાવો કરવામાં આવે છે કે ઓસામાનું મૃત્યુ ઈ.સ. ૨૦૦૧માં કિડની ફેઈલ થવાથી થયું હતું પણ અમેરિકાએ આ વાત છૂપાવી રાખી હતી
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનની હત્યા કર્યાની જાહેરાત કરી તેના પછી તરત જ અમેરિકાની થિયરીમાં રહેલા ગંભીર વિરોધાભાસો બહાર આવવા લાગ્યા છે. અમેરિકન કમાન્ડો દ્વારા ઓસામા બિન લાદેનને ઠાર મરાયો હોવાની જાહેરાત થઈ તે પછી ઈન્ટરનેટ ઉપર હજારોની સંખ્યામાં વેબ્સાઈટો ફૂટી નીકળી છે, જેમાં અમેરિકાના તથાકથિત જૂઠાણાંનો પર્દાફાશ કરવા માટેના તર્કો આપવામાં આવ્યા છે. ઓસામાની હત્યા પછી ઇન્ટરનેટ ઉપર મૃત ઓસામાની જે તસવીર ફરતી થઈ હતી તે નકલી સાબિત થઈ ચૂકી છે. હવે બરાક ઓબામા કહે છે કે અથડામણમાં ઠાર મરાયેલા ઓસામાની તસવીર એટલી હદે વિકૃત છે કે તેને પ્રદર્શિત કરી શકાય તેમ નથી. અમેરિકા જો ખરેખર ઓસામા બિન લાદેનને ઠાર માર્યો હોય તો તેના મૃતદેહને સાબિતી તરીકે રાખવો જોઈએ. અમેરિકાના દાવા મુજબ તેમણે મૃતદેહનું અરબી સમુદ્રમાં દફન કરી દીધું હોય તો કંઈ નહીં તો છેવટે તેની તસવીર બહાર પાડવી જોઈએ. તાજેતરમાં પ્રતિષ્ઠિત વોલ સ્ટ્રીટ જર્નલે ઓસામાના મૃત્યુ બાબતમાં પાંચ મહત્ત્વની શંકાઓ પ્રગટ કરી છે.
વોલ સ્ટ્રીટ જર્નલ અખબારે ઓસામા બિન લાદેન ખરેખર મર્યો છે કે નહીં તે જાણવા માટે અફઘાનિસ્તાનમાં તાલિબાનના એક કમાન્ડરનો સંપર્ક કર્યો. આ કમાન્ડરે અત્યંત સૂચક જવાબ આપતાં કહ્યું કે, ''અમે 'શેખ ઓસામા'ના મૃત્યુનું સમર્થન નથી કરતા અને ખંડન પણ નથી કરતા. જ્યારે અમેરિકાના દળોએ તાલિબાનના મુખ્ય લશ્કરી કમાન્ડર મુલ્લા દાદુલ્લાને ઠાર કર્યો ત્યારે તેમણે તેનું વિડીયો રેકોર્ડીંગ કર્યું હતું અને તેની ફિલ્મ દુનિયાભરમાં દર્શાવી હતી. શા માટે તેઓ ઓસામાની ફિલ્મ પણ બહાર નથી પાડતા ?''
વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકારે પાકિસ્તાનના અબોટાબાદની મુલાકાત લીધી અને ત્યાંના લોકો સાથે પણ વાતચીત કરી. અબોટાબાદના લોકોએ રવિવારની રાતે કોઈ અથડામણ અને ગોળીબાર થયા હોવાની વાત સ્વીકારી પણ તેમાંના બધાએ કહ્યું કે તેમણે ઓસામાના કે કોઈના મૃતદેહને મકાનની બહાર લઈ જવાતા જોયા નથી. અબોટાબાદના લોકોને તો લાગે છે કે આ પાકિસ્તાનને બદનામ કરવાનું અમેરિકી કાવતરું છે. અબોટાબાદનો હાજી લિયાકત નામનો દુકાનદાર કહે છે કે ''પાકિસ્તાન ઓસામાને સંરક્ષણ આપતું હતું એવું પુરવાર કરવા માટેનું આ માત્ર નાટક જ છે.'' અબોટાબાદમાં રહેતો વકીલ ઓવૈસ ખાન કહે છે કે ''આ બધી ઉપજાવી કાઢવામાં આવેલી વાતો છે. અમારા ગામમાં કોઇએ ઓસામાના મૃતદેહને જોયો નથી.'' જે ગામમાં અમેરિકાના કમાન્ડોએ ઓસામાને ઠાર મારવાનો દાવો કર્યો છે તે ગામના લોકો પણ અમેરિકાની વાત માનવા તૈયાર નથી થતા.
ઇજિપ્તના બેન્ક મેનેજર મોહમ્મદ અલીએ વોલ સ્ટ્રીટ જર્નલના પ્રતિનિધિને જણાવ્યું હતું કે, ''ઓસામાનું મોત પાંચ વર્ષ અગાઉ થઇ ચૂક્યું છે. અમેરિકા આ સમાચારને છૂપાવતું રહ્યું છે, જેથી તે આરબ દેશો પાસેથી ધન પડાવી શકે અને બધાને ભયભીત રાખી શકે.'' કેરોમાં રહેતા સુલેમાન નામના રહેવાસીએ વોલ સ્ટ્રીટ જર્નલના સંવાદદાતાને કહ્યું હતું કે ''ઓસામાના મોત બાબતમાં અનેક શંકાઓ છે. તેમણે ઓસામાને અત્યારે શા માટે માર્યો ?'' ઓસામા બિન લાદેનનો જ્યાં જન્મ થયો હતો તે સાઉદી અરેબિયાના ઘણા લોકો પણ ઓસામા પાકિસ્તાનમાં ઠાર મરાયો હતો એ વાત માનવા તૈયાર નથી. સાઉદીના પાટનગર રિયાધના એક બેન્કરે તો ત્યાં સુધી કહ્યું હતું કે ''મને તો અલ-કાયદા જેવા ત્રાસવાદી સંગઠનના અસ્તિત્વ બાબતમાં જ શંકા છે. તો તેના વડા ઓસામાની વાત જ ક્યાં આવે છે ?''
ઓસામા બિન લાદેનની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી ત્યારના સંયોગો બાબતમાં ખુદ અમેરિકાનાં નિવેદનો પણ બદલાતાં રહ્યાં છે. વ્હાઈટ હાઉસે પહેલા જણાવ્યું હતું કે સામસામા ગોળીબારમાં ઓસામાને ઠાર મારવામાં આવ્યો છે. હવે તેઓ કહે છે કે ઓસામાને જ્યારે ઠાર કરવામાં આવ્યો ત્યારે તેની પાસે કોઈ હથિયાર નહોતું. જો ઓસામા પાસે કોઇ શસ્ત્ર નહોતાં તો તેને જીવતો શા માટે પકડવામાં ન આવ્યો ? મૃત ઓસામાની તસવીર પ્રગટ કરવા બાબતમાં પણ વ્હાઈટ હાઉસ નિવેદનો બદલી રહ્યું છે. અગાઉ તેણે કહ્યું હતું કે લોકોની શંકાઓ દૂર કરવા આ તસવીર પ્રગટ કરવામાં આવશે. હવે પ્રમુખ ઓબામાએ તેનો સાફ ઇનકાર કર્યો છે. તેને કારણે શંકા વધુ ઘેરી બને છે.
અમેરિકાના સત્તાવાળાઓ દ્વારા ઓસામા બિન લાદેનને જીવતો પકડવાને બદલે તેને ઠાર કરવામાં આવ્યો તેને પણ શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે. સીઆઈએ સંસ્થાએ પહેલા જાહેર કર્યું છે કે તેમને ઓસામાને ઠાર મારવાનો આદેશ જ આપવામાં આવ્યો હતો. પછીથી તેમણે ઉમેર્યું હતું કે અમને ઓસામાને જીવતો પકડવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. જો ઓસામા પાસે શસ્ત્રો નહોતાં અને તેણે અમેરિકન દળોનો સામનો નહોતો કર્યો તો તેને શા માટે ઇરાકના પ્રમુખ સદ્દામ હુસૈનની જેમ જીવતો પકડવામાં ન આવ્યો ? શું અમેરિકાના કાયદાઓ અથવા આંતરરાષ્ટ્રીય કાયદાઓ નિઃશસ્ત્ર આરોપી ઉપર ગોળીબાર કરીને તેને ઠાર મારવાની છૂટ આપે છે ? જો ઓસામાને જીવતો પકડવામાં આવ્યો હોત તો તેની પૂછપરછમાં અલ-કાયદાના વિશ્વભરના નેટવર્ક અને આગામી યોજનાઓ બાબતમાં મહત્ત્વની માહિતી મળી શકી હોત. અમેરિકાએ આ તક કેમ જતી કરી ? અમેરિકાએ જ્યારે સદ્દામ હુસૈનના પુત્રોને ઠાર કર્યા ત્યારે તેમના મૃતદેહોની જાહેરમાં પરેડ કરી હતી. તેમણે સદ્દામ હુસૈનને જીવતો પકડયો હતો અને તેની ઉપર ખટલો ચલાવી તેને ફાંસીની સજા કરી હતી. ઓસામા ઉપર ખટલો ચલાવ્યા વિના તેને ઠાર કરવાની અમેરિકાને કોણે છૂટ આપી હતી ? સંભવ છે કે ઓસામાને જીવતો પકડવાથી અમેરિકાનો ભાંડો ફૂટી જાય તેમ હોવાથી જ તેને ઠાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઓસામા બિન લાદેનને ઠાર માર્યા પછી તેના મૃતદેહને રાખી મૂકવાને બદલે અમેરિકાએ જે ઝડપથી અરબી સમુદ્રમાં તેને પધરાવી દીધો હોવાની જાહેરાત કરી તે પણ શંકા પ્રેરે તેવી હરકત છે. અમેરિકાએ એવી જાહેરાત કરી હતી કે ઓસામાના મૃતદેહને અરબી સમુદ્રમાં 'દફનાવતા' પહેલા તેની ડીએનએ ટેસ્ટ કરવામાં આવી હતી, જે ૯૯ ટકા ખરી પડી હતી. જોકે હજી સુધી અમેરિકા ડીએનએ પરીક્ષણનું પરિણામ પણ જાહેર કરી શક્યું નથી. અમેરિકાએ એવી જાહેરાત પણ કરી હતી કે ઓસામાના મૃતદેહને ઇસ્લામિક વિધિ મુજબ દફનાવવામાં આવ્યો હતો. ઇસ્લામમાં મૃતદેહને જમીનમાં દફનાવવાનું કહેવામાં આવ્યું છે. તેને સમુદ્રમાં દફનાવવાની વાત ઇસ્લામમાં ક્યાંય લખવામાં આવી નથી. અમેરિકાને કદાચ ડર હતો કે ઓસામાના મૃતદેહને જમીનમાં દફનાવવામાં આવે તો તેને ખોદી કાઢીને તેની ડીએનએ ટેસ્ટ કરવાની માંગણી થઈ શકે છે. જે અમેરિકા પુરાવા તરીકે મૃતદેહની તસવીર પણ પ્રગટ કરવાની સ્થિતિમાં નથી તે કેવી રીતે નકલી મૃતદેહને અસલી પુરવાર કરી શકે ? આ કારણે જ તેને સમુદ્રમાં પધરાવી દેવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઇન્ટરનેટની એક વેબ્સાઈટ ઉપર ઓસામા બિન લાદેનનું સિલસિલાબંધ જીવનચરિત્ર મૂકવામાં આવ્યું છે, જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે ઈ.સ. ૧૯૭૯થી ૧૯૯૭ દરમિયાન ઓસામા બિન લાદેને સીઆઈએના એજન્ટ તરીકે કામ કર્યું હતું અને તેનું સાંકેતિક નામ ''ટીમ ઓસ્માન'' રાખવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનમાં રહેલા રશિયન સૈન્ય સામે લડવા માટે સીઆઈએ દ્વારા ઓસામાને અને તેના સાગરીતોને લશ્કરી તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન ઓસામાએ અમેરિકાના લશ્કરી થાણાંઓની પણ મુલાકાત લીધી હતી અને તેને વ્હાઈટ હાઉસની મુલાકાતે પણ લઈ જવામાં આવ્યો હતો. અમેરિકાના લશ્કરે કુવૈતની લડાઈ માટે સાઉદી અરેબિયામાં ઘૂસણખોરી કરી ત્યારથી ઓસામા અમેરિકાનો દુશ્મન બની ગયો હતો.
ઓસામા બિન લાદેનનો પરિવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશના પરિવાર સાથે સાઉદી અરેબિયામાં ધંધાદારી ભાગીદારી ધરાવતો હતો એવો ચોંકાવનારો ઘટસ્ફોટ અમેરિકન લેખક પિટર બુ્રટને ''ધ માફિયા, સીઆઈએ એન્ડ જ્યોર્જ બુશ'' નામના પુસ્તકમાં કર્યો છે. ઓસામા બિન લાદેનના ભાઈ સાલેમે અમેરિકામાં પોતાના પ્રતિનિધિ તરીકે હ્યુસ્ટનના ઇન્વેસ્ટમેન્ટ બ્રોકર જેમ્સ બાથની નિમણૂંક કરી હતી. આ જેમ્સ બાથે જુનિયર બુશને ઈ.સ. ૧૯૭૭ની સાલમાં પોતાની પહેલી કંપની 'આરબસ્ટો એનર્જી'ની સ્થાપના કરવા માટે ૫૦,૦૦૦ ડોલરની મદદ કરી હતી. તે વખતે જ્યોર્જ બુશના પિતાશ્રી સીઆઈએના ડીરેક્ટર હતા. તેમણે પોતાના પુત્રના ભાગીદાર બનેલા સાલેમ બિન લાદેનના ભાઈ ઓસામાની ભરતી સીઆઈએના જાસૂસ તરીકે કરી હતી.
અમેરિકાના પ્રોફેસર ડેવિડ ગ્રિફિને 'ઓસામા બિન લાદેન ઃ ડેડ ઓર અલાઈવ ?' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ઓસામાનું મૃત્યુ ઈ.સ. ૨૦૦૧ની ૧૩મી ડિસેમ્બરે અફઘાનિસ્તાનમાં કિડનીની બીમારીને કારણે થયું હતું પણ પોતાની 'આતંકવાદ સામેની લડાઈ' ચાલુ રાખવા અમેરિકાએ આ હકીકત છૂપાવી રાખી હતી. ત્યાર બાદ ઓસામા બિન લાદેનની જેટલી પણ ટેપો બહાર પાડવામાં આવી એ તમામ બનાવટી હતી. હવે જ્યારે અમેરિકા અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈ સમેટી લેવા માંગે છે ત્યારે પ્રમુખ ઓબામા માટે ઓસામાને મારવો જરૃરી હતો, માટે તેને 'મારી' નાંખવામાં આવ્યો છે. એટલું નક્કી છે કે આ પ્રકરણમાં જે કાંઈ જાહેર કરવામાં આવ્યું છે એ બધું સાચું હોય તેવું લાગતું નથી. સાચું શું છે તેની જાણ કદાચ દુનિયાને ક્યારેય નહીં થાય.
- સુપાર્શ્વ મહેતા

No comments:

Post a Comment