Thursday, April 7, 2011

08/04/2011 સ્વસ્થ રહેવું હોય તો સેલફોનને સ્વિચ ઓફ કરી દો


આપણે કોઇને આપણો મોબાઇલ નંબર આપીએ ત્યારે તેઓ એવું માની લે છે કે તેમને આપણી પ્રાઇવસીમાં ગમે ત્યારે ભંગ પાડવાનો અધિકાર મળી ગયો છે
મોબાઇલ ફોનને એક સમયે મોભાનું પ્રતિક માનવામાં આવતું હતું. આજે તેેને ઉપાધિનું પોટલું માનવામાં આવે છે. શેઠ પોતાના ડ્રાઇવરને મોબાઇલ ફોન આપી રાખે છે. પછી આ મોબાઇલ ફોનની ઘંટડી વગાડીને તેને ઉંઘમાંથી ઉઠાડીને પણ કામે લગાડે છે. મોટી કંપનીના માલિકો પોતાના એક્ઝિક્યુટિવ્સનાં મોબાઇલ ફોનનાં બીલ ચૂકવે છે. પછી સ્ટાફ વેકેશનની મજા માણતો હોય ત્યારે પણ તેમને બોલાવીને કામ સોંપવામાં આવે છે. પત્નીઓ માટે આ મોબાઇલ ફોન શોક્ય જેવો થઇ ગયો છે. પતિ-પત્નિ માંડ સાથે સમય ગાળી રહ્યા હોય ત્યાં મોબાઇલની ઘંટડી વાગે છે અને પત્નિએ પતિનો વિરહ વેઠવો પડે છે. મોબાઇલના વિનાશક રેડિયેશનને કારણે મગજનું કેન્સર થઇ જાય છે એ વાત હવે સાબિત થતી જાય છે,પણ મોબાઇલને કારણે સંબંધોને કેન્સર લાગી જાય છે એ તો પ્રત્યક્ષ દેખાય છે. આ કારણે જ કેટલાક સમજદાર મહાનુભાવો દિવસના ઘણા કલાકો સુધી પોતાના મોબાઇલ ફોનને સ્વિચ ઓફ્ફ જ રાખવા લાગ્યા છે.
આજથી દસ વર્ષ પહેલા કોઇને આપણો કોન્ટેક્ટ કરવો હોય તો તેઓ પહેલા લેન્ડલાઇન નંબર ટ્રાય કરતા હતા અને જો લેન્ડલાઇન નંબર 'નો રિપ્લાય' આવે તો પછી સેલફોન લગાવતા હતા. આજે હવે લેન્ડલાઇનના નંબરો લગભગ ભૂલાઇ ગયા છે. લેન્ડલાઇન ઉપર ફોન કરીએ અને સામેથી રિસ્પોન્સ ન મળે તો કોઇને ખોટું ન લાગતું. સેલફોન ઉપર ફોન આવે અન જો આપણે રિસ્પોન્સ ન આપીએ તો ફોન કરનાર મિત્રને કે સ્વજનને ખોટું લાગી જાય છે. બોસનો ફોન હોય અને કર્મચારી જો ફોન એટેન્ડ ન કરે તોતે ગુનો ગણાય છે. મોબાઇલ ફોન દ્વારા એક બાજુએ આપણા મિત્રો અને સ્વજનો સાથે ૨૪ કલાક સંકળાયેલા રહેવાની સુવિધા મળે છે, પણ બીજી બાજુ આપણે ૨૪ કલાક લોકો માટે 'અવેઇલેબલ' બની જઇએ છીએ. જેની પાસે આપણો ૧૦ આંકડાનો નંબર હોય તે દિવસની કે રાતની કોઇ પણ ઘડીએ આપણને ફોન કરીને 'ડિસ્ટર્બ' કરી શકે છે. મોબાઇલ ફોનને કારણે આપણું એકાંત પણ ઝૂંટવાઇ ગયું છે.
મોબાઇલ ફોનની સંખ્યા હવે ભારતની કુલ વસતિના અડધા ભાગ સુધી પહોંચી ગઇ છે. આપણા સર્કલમાં કોઇ જ એવી વ્યક્તિ હશે કે જેની પાસે પોતાનો મોબાઇલ ફોન ન હોય. તેમ છતાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જેમની પાસે મોબાઇલ ફોન હોય તો પણ તેઓ દિવસનો મોટો ભાગ તેની સ્વિચ ઓફ્ફ રાખતા હોય છે. પુણેની એક ફાઇવ સ્ટાર હોટેલના મેનેજર જસવિંદર નારંગ પાસે મોબાઇલ ફોન છે, પણ તે ૯૫ ટકા સમય સ્વિચ ઓફફ જ મળે છે. નારંગ ઘરે હોય ત્યારે તેમના મિત્રો તેમને ઘરના લેન્ડલાઇન નંબર ઉપર ફોન કરે છે અને હોટેલ ઉપર હોય ત્યારે હોટેલના રિસેપ્શનિસ્ટ પાસે ગળાઇને તેમના ફોન તેમના સુધી પહોંચી છે. જસવિંદરની ગેરહાજરીમાં તેમને કોઇ ફોન કરીને સંદેશો આપે તો તેઓ રિટર્ન ફોન કરવાનું ચૂકતા નથી. સેલફોન વગર પણ તેઓ પોતાનો બિઝનેસ બરાબર સંભાળે છે.
એક સમયે મોબાઇલ ફોન રાખવો એ સ્ટેટસનું સિમ્બોલ ગણાતુ હતુ. હવે મોબાઇલ ફોન ન વાપરવો એ મોભાનું પ્રતિક બની રહ્યું છે. પંજાબ અને હરિયાણાના ભૂતપૂર્વ ચીફ આર્કિટેક્ટ એમ. એન. શર્મા આજે પણ સેલફોન વિના મહત્વની જવાબદારીઓ સંભાળે છે. લેન્ડલાઇનનો ઉપયોગ પણ તેઓ અમુક ચોક્કસ કલાકો દરમિયાન જ કરે છે. તેઓ માને છે કે તેમની પાસે સેલફોન ન હોવાથી તેમને કોઇ ગમે ત્યારે હેરાન કરી શકતું નથી. જો તમારી પાસે સેલફોન હોય તો લોકો એવું માની લે છે કે તમને કોઇપણ સમયે ફોન કરી શકાય છે. ચેન્નાઇમાં એક સેવાભાવી સંસ્થા ચલાવતા શેખર રાઘવન જ્યારે અમેરિકા પોતાના પુત્રને મળવા જાય ત્યારે જ પોતાની પાસે સેલફોન રાખે છે. ચેન્નાઇમાં તેમના ઘરે અને ઓફિસે લેન્ડલાઇન ફોન છે અને તેમાં કોલર આઇડી પણ છે. તેમને આ બંને ફોન ઉપર તેમની ગેરહાજરીમાં પરિચિત વ્યક્તિના ફોન આવે તો તેઓ રિટર્ન ફોન કરવાનું ચૂકતા નથી. રાઘવનની સંસ્થા વર્ષા જળના સંગ્રહનું કાર્ય કરે છે. તામિલનાડુની સરકારે પણ તેમને અનેક પ્રોજેક્ટો સોંપ્યા છે. ઘણી વખત સરકારી અમલદારો જ્યારે કામ હોય ત્યારે રાઘવનનો સંપર્ક ન સાધી શકાય ત્યારે અકળાઇ જાય છે. તેમણે રાઘવનને પોતાના ખર્ચે સેલફોન અપાવવાની દરખાસ્ત કરી પણ રાઘવન એ માટે તૈયાર નથી. રાઘવન માને છે કે આજના કાળમાં પણ લેન્ડલાઇન ફોન વડે તમામ કાર્યોનું સંચાલન સરળતાથી કરી શકાય છે.
સેલફોનથી કાર્યક્ષમતા વધે છે એ વાત પણ ભૂલભરેલી છે. જેમની પાસે સેલફોન આવી જાય છે તેઓ પોતાની પાસેનો મોટા ભાગનો સમય મિત્રો સાથે નકામી વાતો કરવામાં જ ગાળતા હોય છે, જેને કારણે હકીકતમાં સમયની બરબાદી વધે છે. ઘણાને ડર લાગે છે કે તેઓ જો સેલફોન નહીં ઉપાડે તો મિત્રો અને સંબંધીઓ નારાજ થઇ જશે. આ કારણે કાર ડ્રાઇવ કરતી વખતે પણ તેઓ સેલફોન ઉપાડે છે. અમારા એક મિત્ર કાર ડ્રાઇવ કરતાં હોય ત્યારે પોતાનો ફોન બાજુની સીટ ઉપર બેઠેલી પત્નીને જ આપી રાખે છે. ફોનની રીંગ વાગે તો પત્ની જ ફોન ઉપાડીને જવાબ આપી દે છે કે હમણાં તેઓ ફોન ઉપર વાત કરી શકશે નહીં. આ મિત્રે પોતાના બધા સંબંધીઓને કહી રાખ્યું છે કે તેમને જો કોઇ અર્જન્ટ અને મહત્વનું કામ હોય અને સેલફોન 'નો રિપ્લાય' આવતો હોય તો ટેક્સ્ટ મેસેજ મોકલી દેવો. જો કામ ખરેખર મહત્વનું હોય તો આ મિત્ર ઘરે પહોંચીને પોતાની લેન્ડલાઇન ઉપરથી ફોન કરીને વાત કરી લે છે.
આપણામાંના જેટલા પાસે સેલફોન છે, તેમણે પોતાની જાતને પૂછવું જોઇએ કે તેમણે ખરેખરી જરૃરિયાતને કારણે સેલફોન રાખ્યો છે કે માત્ર સ્પર્ધામાં પાછળ રહી જવાશે એવા ડરથી સેલફોન ખરીદ્યો છે? આ સ્પર્ધામાં પાછળ ન રહી જવાય એવા ડરથી દર છ મહિને સેલફોનનું ઇન્સ્ટ્રુમેન્ટ પણ બદલતાં રહેવું પડે છે. આજે બજારમાં સેલફોનની અઢળક એપ્લીકેશન્સ ધરાવતા ઇન્સ્ટ્રુમેન્ટ બજારમં આવવા લાગ્યા છે. આ કારણે છ મહિના પહેલાં ખરીદેલું આપણું ઇન્સ્ટ્રુમેન્ટ ભંગારમાં કાઢવા લાયક બની જાય છે. જૂનું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીએ તો મિત્રોની મજાકનો ભોગ બનવું પડે છે. જેઓ ફાયર બ્રિગેડમાં કામ કરતાં હોય તેમને માટે કદાચ સેલફોન અનિવાર્ય હશે. બાકીના બધા લોકો આજે પણ લેન્ડલાઇન ફોનથી પોતાનું કામ ચલાવી શકે તેમ છે. જેમ જેમ સેલફોનના રેડિએશનથી આરોગ્યને થતાં નુકસાન બાબતમાં લોકોમાં જાગૃતિ આવી રહી છે તેમ તેમ લેન્ડલાઇન ફોનનો ઉપયોગ વધી રહ્યો છે.
ઘણા લોકો હવે સેલફોનને ગુલામીની ધૂંસરી માનવા લાગ્યા છે. માલિકો કૂતરાના ગળામાં જેમ પટ્ટો બાંધી રાખે છે તેમ સેલફોન પણ માણસના ગળામાં બાંધવામાં આવેલો પટ્ટો છે. ઘણા લોકો તો સેલફોનને ગળામાં લટકાવીને જ ફરે છે. બેંગ્લોરમાં એક આલિશાન રેસ્ટોરાંના મેનેજર સતીશ એચ.એસ. આજની તારીખમાં પણ પોતાની પાસે સેલફોન રાખતા નથી. પોતાનો બધો વહેવાર તેઓ સેલફોન વગર આસાનીથી ચલાવે છે. તેઓ મહિનામાં લેન્ડલાઇનથી પણ વધુમાં વધુ ૧૦૦ ફોન કરે છે. ફોન ઉપર વાતો કરવાને બદલે તેઓ લોકોને રૃબરૃ મળવાનું વધુ પસંદ કરે છે. સેલફોનના બદલે તેઓ પોતાની સાથે ટેલિફોન ડાયરી રાખે છે. મુસાફરી દરમિયાન કોઇની સાથે વાત કરવાની અચાનક જરૃર ઉભી થાય તો તેઓ પબ્લિક ફોન શોધી કાઢે છે અને તેના ઉપરથી વાત કરી લે છે. તેમને લાગે છે કે સેલફોન તેમની પ્રાઇવસીની મજા બગાડી નાંખે છે. જો તમારી પાસે સેલફોન હોય અને તમે તેનો નંબર કોઇને આપવાનો ઇનકાર કરો તો તેમને ખોટું લાગી જાય છે. જો તમારી પાસે સેલફોન હોય અને તમે લોકોના કોલનો જવાબ ન આપો તો પણ તેમને ખોટું લાગી જાય છે. હકીકતમાં કોઇપણ વ્યક્તિને સેલફોન ઉપર કોલ કરનારે તેની પ્રાઇવસીનો આદર કરવો જોઇએ અને ફોન ન ઉપાડે તો માઠું ન લગાવવું જોઇએ.
હવે ઇન્ટરનેટ અને ફેસબુકનો ઉપયોગ વધી ગયો છે એટલે પણ ઘણા લોકો સેલફોનનો વપરાશ ઘટાડવા લાગ્યા છે. અમેરિકામાં રહેતા અનિલ પોલાટ સેલફોનના બદલે આઇપોડ ટચનો વાઇ-ફાઇ ડિવાઇસ તરીકે ઉપયોગ કરીને લોકોના સંપર્કમાં રહે છે. તેઓ ૨૪ કલાક ઓનલાઇન જ રહેતા હોય છે. તેમના મિત્રો ઇ-મેઇલ દ્વારા કોઇ સંદેશો મોકલે તો તેમને તરત જ રિસ્પોન્સ મળે છે. બેંગલોરમાં રહેતો ભૂતપૂર્વ રેડિયો જોકી રવી પોતાની સાથે સેલફોન નથી રાખતો પણ તેના ફેસબુક ઉપર ૧,૨૭૦ મિત્રો છે. તેમના કોઇ પણ મિત્ર ઇ-મેઇલ કરે તો તેનો અચૂક જવાબ મળે છે. ઇ-મેઇલ દ્વારા સંપર્ક રાખવામાં એક પ્રકારની સ્વતંત્રતા છે. તમે તમારી ફુરસદે જવાબ આપી શકો છો અને તમારી પ્રાઇવસીમાં કોઇ ઘૂસણખોરી પણ કરી શકતું નથી. ઇન્ટરનેટની ટેકનોલોજીના કારણે પણ સેલફોન બિનજરૃરી બની રહ્યા છે.
માણસ લાખો વર્ષોથી એકબીજાના સંપર્કમાં રહેવા માટે સંદેશવ્યવહારનાં સાધનો વાપરતો આવ્યો છે. પથ્થર યુગનો માણસ સંદેશાઓની આપલે કરવા માટે કબૂતરોનો ઉપયોગ કરતો હતો. રાજામહારાજાઓ પોતાના પત્રો મોકલવા માટે ખેપિયાઓ રાખતા હતા. આધુનિક કાળમાં સંદેશવ્યવહાર માટે તારની અને ટેલિફોનની શોધ થઇ છે. હવે ઇન્ટરનેટનો અને સેલફોનનો જમાનો છે. વિધિની વિચિત્રતા એ છે કે સંદેશવ્યવહારનાં સાધનો વધી રહ્યાં છે પણ લોકોની એકબીજા સાથે પ્રત્યાયન કરવાની ક્ષમતા ઘટી રહી છે. આ કારણે જ ફેસબુક ઉપર હજારો મિત્રો ધરાવનારાઓને એકલતા કોરી ખાતી હોય છે. મોબાઇલ ફોન આપણને દૂર રહેલા અજાણ્યા લોકોની નજીક લાવતો હોય છે પણ આપણા ઘરમાં રહેતા સ્વજનો સાથે ગાળવાનો સમય છીનવી લેતો હોય તો ચેતવા જેવું છે.

07/04/2011 નેતાઓ ભ્રષ્ટ છે માટે તેઓ લોકપાલનો વિરોધ કરી રહ્યા છે


લોકસેવક અન્ના હજારે ઈ.સ. ૧૯૯૧ની સાલથી અત્યાર સુધીમાં ભ્રષ્ટાચાર સામે આઠ વખત ઉપવાસનું શસ્ત્ર સફળતાથી અજમાવી ચૂક્યા છે
સમાજસેવક અને ગાંધીવાદી કાર્યકર અન્ના હજારે જે લોકપાલ બીલ માટે નવી દિલ્હીના જંતરમંતર ખાતે આમરણ અનશન ઉપર ઉતર્યા છે તે લોકપાલની સંસ્થા આપણા રાજકારણીઓને ધોળા ધર્મે પણ ખપતી નથી. ભારતનાં કોઈ રાજ્યમાં લોકપાલની સંસ્થા અસરકારક રીતે કામ કરી રહી હોય તો તે કર્ણાટક છે. કર્ણાટકના લોકપાલ સંતોષ હેગડેએ મુખ્યપ્રધાન યેદિયુરપ્પા સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધીને તેની તપાસ આદરી તેને પગલે કર્ણાટકમાં રાજકીય ભૂકંપ આવ્યો હતો. કેન્દ્રમાં પણ લોકપાલની માગણી આજકાલની નથી પણ છેલ્લાં ૪૨ વર્ષથી આ હિલચાલ ચાલી રહી છે. આપણા નેતાઓ હવે લોકપાલના કાયદાને લાંબો સમય સુધી હવામાં લટકતો રાખી શકે તેમ નથી એટલે તેમણે સંસદમાં કોઈ પણ જાતની સત્તા વિનાના લોકપાલનો ખરડો પસાર કરવાની કવાયત આદરી છે.
આજની તારીખમાં આપણે જો કોઈ પ્રધાન, મુખ્ય પ્રધાન અથવા વડા પ્રધાન સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા માંગીએ તો આપણે પોલીસમાં કે સીબીઆઈમાં તે ફરિયાદ કરવી પડે છે. પોલીસ અને સીબીઆઈ બંને સરકારના અંકુશમાં હોવાથી તેઓ કોઈ પ્રધાન સામેની ફરિયાદ લેતા જ નથી. અદાલતમાં ફરિયાદ કરવામાં પુષ્કળ સમયની અને ધનની બરબાદી થાય છે, માટે સામાન્ય માનવીનું તે ગજું નથી. વળી અદાલતમાં ચુકાદાઓ આવતાં વર્ષોનાં વર્ષો પસાર થઈ જાય છે. લોકપાલની સંસ્થા એવી હોવી જોઈએ કે તે વડા પ્રધાનથી માંડીને કોઈપણ સરકાર કર્મચારી સામેની ફરિયાદ સાંભળી શકે અને તે સરકારની મોહતાજ ન હોય. લોકપાલ તરીકે સુપ્રિમ કોર્ટના પ્રવર્તમાન અથવા નિવૃત્ત જસ્ટિસની નિમણુક કરવાની વાત છે. તેમની સાથે હાઈકોર્ટના બે જજો ઉપ-લોકપાલ તરીકે લેવાની વાત છે. જો ભારતમાં સ્વતંત્ર અનેેે સાર્વભૌમ લોકપાલની સંસ્થા અસ્તિત્વમાં આવે તો ભ્રષ્ટાચાર આચરનારા રાજકારણીઓની બૂરી વલે થાય તેમ છે.
ભારતની સંસદમાં લોકપાલનો પહેલવહેલો ખરડો ઇ.સ. ૧૯૬૮ની સાલમાં આવ્યો હતો. આ ખરડો ઇ.સ. ૧૯૬૯ની સાલમાં પસાર પણ થઈ ગયો હતો, પરંતુ તે કાયદો બને તે પહેલા સંસદનું વિસર્જન થયું હતું. તેને કારણે લોકપાલના ખરડાનું પહેલી વખત બાળ મરણ થયું હતું. ત્યાર બાદ ઈ.સ. ૧૯૭૧, ૧૯૭૭, ૧૯૮૫, ૧૯૮૯, ૧૯૯૬, ૧૯૯૮, ૨૦૦૧, ૨૦૦૫ અને ૨૦૦૮ એમ નવ વખત બાળ મરણ થયું હતું. તેનું મુખ્ય કારણ એ હતું કે ભારતના સત્તાધારી પક્ષના રાજકારણીઓની જેમ વિરોધપક્ષના રાજકારણીઓ પણ સત્તાયુક્ત લોકપાલને ઇચ્છતા નથી. આજે ભાજપ અન્ના હજારેના આંદોલનને ટેકો જાહેર કરે છે, પણ કેન્દ્રમાં જ્યારે એનડીએની સરકાર હતી ત્યારે લોકપાલનો કાયદો કરતા તેને કોઈ રોકતું નહોતું. ગુજરાતમાં તો લોકપાલનો કાયદો પણ પસાર થઈ ગયો છે તો પણ ગુજરાત સરકાર લોકપાલની નિમણુક કરવામાં ઢીલ કર્યા કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે જો લોકપાલનો કાયદો અમલમાં આવે તો રાજકારણીઓના ભ્રષ્ટાચાર ઉપર લગામ આવી જાય તેમ છે.
ઈ.સ. ૨૦૦૪ના સપ્ટેમ્બર મહિનામાં વડા પ્રધાન મનમોહનસિંહે જાહેર કર્યું હતું કે તેઓ લોકપાલના ખરડાને પસાર કરવામાં જરાય સમય નહીં ગુમાવે. આ જાહેરાતને સાડા છ વર્ષ વીતી ગયા પછી પણ સંસદમાં લોકપાલનો ખરડો પસાર થયો નથી. કેન્દ્ર સરકારે લોકપાલના ખરડાની સમીક્ષા કરવા માટે પ્રધાનોનું એક જૂથ બનાવ્યું છે, જેની આગેવાની કેન્દ્રના કૃષિ પ્રધાન શરદ પવારને સોંપવામાં આવી છે. અન્ના હજારે કહે છે કે ''શરદ પવાર પોતે જ ભ્રષ્ટ છે, તેઓ ભ્રષ્ટાચારને નાથવા માટેનો કાયદો કેવો બનાવશે?'' અન્ના હજારે શરદ પવાર ઉપર જાહેરમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરનારા અન્ના હઝારે પડકાર ફેંકે છે કે 'શરદ પવાર જો સાચા હોય તો મારી સામે અદાલતમાં બદનક્ષીનો દાવો કરી શકે છે.' ઈ.સ. ૧૯૯૦ના દાયકામાં શરદ પવાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાને કારણે ચમકી ગયેલા મુંબઈ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર ગોવિંદ રાધો ખૈરનાર પણ અન્ના હજારેના આંદોલનમાં સામેલ થઈ ગયા છે. જાંબાઝ પોલીસ ઓફિસર કિરણ બેદી, સ્વામી અગ્નિવેશ અને કપિલ દેવનો પણ ટેકો અન્ના હજારેના આંદોલનને મળી રહ્યો છે. ભારતની પ્રજા ભ્રષ્ટાચારથી એટલી બધી ત્રસ્ત થઈ ગઈ છે કે અન્ના હઝારેના આંદોલનને ભારતભરમાંથી સ્વયંભૂ પ્રતિસાદ મળી રહ્યો છે.
કેન્દ્ર સરકારે અત્યારે જે લોકપાલ બીલ ડ્રાફ્ટ કર્યું છે તેમાં લોકપાલને ભાગ્યે જ કોઈ સત્તા આપવામાં આવી છે. આ બીલ મુજબ જો લોકપાલ સમક્ષ ભારતના વડા પ્રધાન અથવા કોઈ પ્રધાન સામે ભ્રષ્ટાચારની ફરિયાદ આવે તો તેમણે આ ફરિયાદ સંસદના અધ્યક્ષને ફોરવર્ડ કરી દેવાની રહેશે. સંસદના અધ્યક્ષને યોગ્ય લાગશે તો તેઓ લોકપાલને આ ફરિયાદની તપાસ કરવાની અનુમતિ આપશે. હવે સ્વાભાવિક છે કે કોઈ સંસદસભ્ય અથવા પ્રધાન સામે ભ્રષ્ટાચારની ફરિયાદ આવે તો સંસદના સભાપતિ આ ફરિયાદની તપાસ કરવાની રજા ન આપે અથવા રજા આપવામાં વિલંબ કરીને ભ્રષ્ટાચારીને મદદ કરે. અન્ના હજારેની માંગણી છે કે લોકપાલને પોતાની જાતે કોઈ પણ રાજકારણી સામે ફરિયાદ નોંધવાની અને તેની તપાસ કરવાની સત્તા હોવી જોઈએ. એક્ટિવિસ્ટોની માંગણી છે કે લોકપાલને પોતાની જાતે એફઆઈઆર નોંધવાની અને આરોપીની ધરપકડ કરવાનો પોલીસને આદેશ આપવાની પણ સત્તા હોવી જોઈએ.
અન્ના હજારે અને તેમના સાથીદારો માગણી કરી રહ્યા છે કે અત્યારે લોકપાલના ખરડાની ચર્ચા કરવા માટે સંસદસભ્યોની કે સિલેક્ટ સમિતિ બનાવવામાં આવી છે તેમાં લોકપ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવે. અન્ના હજારેની માંગણી મેગ્સાયસાય એવોર્ડ વીનર કિરણ બેદીને અને આરટીઆઈના એક્ટિવિસ્ટ અરવિંદ કેજરીવાલને આ સમિતિમાં સામેલ કરવાની છે. અન્ના હજારેની માંગણી છે કે લોકપાલને સરકારના પ્રધાનો ઉપરાંત જજ સાહેબો અને સરકારી અમલદારો સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરવાની પણ સત્તા હોવી જોઈએ. તેમની માગણી મુજબ લોકપાલ સમક્ષ જે કોઈ ફરિયાદ લાવવામાં આવે તેનો નિકાલ છ મહિનામાં આવી જવો જોઈએ. જો કોઈ સરકારી અધિકારી કે પ્રધાન ભ્રષ્ટાચારના કેસમાં ગુનેગાર પુરવાર થાય તો તેને જન્મટીપની સજા કરવાની માંગણી પણ તેઓ કરી રહ્યા છે.
રાજકારણીઓના ભ્રષ્ટાચાર સામે જીવસટોસટની લડાઈ લડી રહેલા અન્ના હજારેનું અસલ નામ કિસન બાબુરાવ હજારે છે. તેઓ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાલેગાંવ સિંધી ગામના વતની છે. અન્ના હજારેએ ભારતના લશ્કરમાં ૧૫ વર્ષ નોકરી કરી છે. તેઓ લશ્કરમાં હતા ત્યારે હતાશાને કારણે તેમણે આપઘાત કરવાના વિચારો પણ કર્યા હતા. ઈ.સ. ૧૯૭૭માં તેઓ લશ્કરમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને પોતાના ગામ રાલેગાંવ સિંધીમાં પાછા ફર્યા હતા અને લોકોની સેવાનાં કાર્યો શરૃ કર્યાં હતાં. પાણીની અછતથી પીડાતા રાલેગાંવ સિંધીમાં તેમણે લોકફાળાથી સિંચાઈની નાની યોજનાઓ કરીને ગામને સ્વર્ગમાં ફેરવી નાંખ્યું હતું.
ઈ.સ. ૧૯૯૧માં અન્ના હજારેએ પોતાના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનનો પ્રારંભ કર્યો હતો. અત્યાર સુધીમાં તેઓ આઠ વખત અનશનનું આંદોલન ચલાવી ચૂક્યા છે. દરેક વખતે તેમને પોતાના આંદોલનમાં સફળતા મળી છે. ઈ.સ. ૧૯૯૧માં તેમણે જંગલ ખાતાંના ૪૨ ભ્રષ્ટ અધિકારીઓ સામે આંદોલન ચલાવ્યું હતું. જેઓ ગરીબોને લૂંટતા હતા. અન્ના હજારેના આંદોલનને કારણે સરકારે આ ૪૨ અધિકારીઓની બદલી કરવી પડી હતી. ઈ.સ. ૧૯૯૫-૯૬માં મહારાષ્ટ્રમાં જ્યારે શિવસેના-ભાજપ યુતિની સરકાર હતી ત્યારે અન્ના હજારે શશિકાંત સુતાર અને મહાદેવ શિવનકર નામના બે 'ભ્રષ્ટ' પ્રધાનો સામે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હતા. હજારેના આંદોલનને કારણે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન મનોહર જોષીને આ બે પ્રધાનોનાં ખાતાં બદલવાની ફરજ પડી હતી.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસની યુતિ સત્તા ઉપર આવી ત્યારે તેના ચાર પ્રધાનોના ભ્રષ્ટાચાર સામે અન્ના હજારેએ આંદોલન છેડી દીધું હતું. આ ચાર પ્રધાનોમાં પદ્મસિંહ પાટિલ, સુરેશ દાદા જૈન, નવાબ મલિક અને વિજયકુમાર ગાવિતનો સમાવેશ થતો હતો. આ માટે અન્ના હજારે ૧૦ દિવસના ઉપવાસ આંદોલન ઉપર ઉતરી ગયા હતા. આ કારણે મહારાષ્ટ્ર સરકારને આ ચાર પ્રધાનોના ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે જસ્ટિસ પી.બી. સાવંત કમિશન રચવું પડયું હતું. છેવટે આ ચારના ત્રણે ગાદી ગુમાવી હતી. ભારતમાં રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ માટે પણ અન્ના હજારેએ લાંબી ઝુંબેશ ચલાવી હતી.
ભારતમાં આંગળીના વેઢે ગણાય એટલા જ નિષ્ઠાવાન ગાંધીવાદીઓ છે તેમાં અન્ના હજારેનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં તો તેઓ ભ્રષ્ટાચારના વિરોધમાં અનેક આંદોલનનું નેતૃત્વ સફળતાથી લઈ ચૂક્યા છે. કેન્દ્રના સ્તરે જન લોકપાલ ખરડા માટેનું આ તેમનું પહેલું આંદોલન છે. તેમણે આ આંદોલન એવા તબક્કે છેડી દીધું છે કે જ્યારે દેશમાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યાં છે. આ કારણે જ અન્ના હજારેના આંદોલનને દેશભરમાંથી વ્યાપક ટેકો મળી રહ્યો છે. એક બાજુ બાબા રામદેવ તેમના ભ્રષ્ટાચારવિરોધી આંદોલન અંતર્ગત દરરોજ લાખોની મેદનીઓને સંબોધિત કરી રહ્યા છે તો બીજી બાજુ અન્ના હજારે દિલ્હીમાં અનશન ઉપર બેઠા છે. જો દેશની પ્રજા આ આંદોલનમાં પૂરી તાકાતથી સામેલ થશે તો ભારતના નેતાઓએ પોતાનું ભ્રષ્ટ આચરણ ભૂલી જવું પડશે.

Wednesday, April 6, 2011

6/4/11 અણુભઠ્ઠીઓની આયાતનું ૧૭૫ અબજ ડોલરનું કૌભાંડ આકાર લઈ રહ્યું છે


આપણી સરકાર ભારતના દરિયાકિનારે દર ૫૫ કિલોમીટરના અંતરે એક એવાં કુલ ૧૧૦ જૈતાપુર પ્રકારનાં અણુ ઊર્જા મથકો સ્થાપવા માંગે છે
ભારત કૌભાંડ પ્રધાન દેશ છે. બોફોર્સ કૌભાંડ ૬૪ કરોડ રૃપિયાનું હતું. કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડનું કદ વધીને ૮૦,૦૦૦ કરોડ રૃપિયાનું થઈ ગયું હતું. ૨-જી કૌભાંડ ૧.૭૬ લાખ કરોડ રૃપિયાનું ગણાવવામાં આવ્યું છે. આ બધાં કૌભાંડો થઈ ગયાં તે પછી પ્રજાને તેની જાણ થઈ હતી, પરંતુ આ બધા કૌભાંડોને ટપી જાય તેવું એક મહાકૌભાંડ વર્તમાનમાં આકાર ધારણ કરી રહ્યું છે. આ કૌભાંડ વિદેશમાંથી અણુભઠ્ઠીઓની આયાત કરવાનું કૌભાંડ છે. આપણા દેશમાં ઘરઆંગણે અણુભઠ્ઠીઓનું ઉત્પાદન સસ્તામાં કરી શકવાની આવડત છે. તેમ છતાં મલ્ટીનેશનલ કંપનીઓના દોરીસંચાર હેઠળ આગામી ૨૦ વર્ષમાં આશરે ૧૭૫ અબજ ડોલર (આશરે ૮ લાખ કરોડ રૃપિયા)ની અણુભઠ્ઠીઓની વિદેશમાંથી આયાત કરવામાં આવશે. આ કૌભાંડનો પ્રારંભ ફ્રેન્ચ કંપની અરેવા સાથે મહારાષ્ટ્રના જૈતાપુર ખાતે ૯.૩ અબજ ડોલરની અણુભઠ્ઠીઓની આયાતના કરારથી થઈ ગયો છે. આ કૌભાંડમાં હજી પાશેરામાં પહેલી પૂણીઓ મૂકાઈ રહી છે. જો આ બાબતમાં આપણી પ્રજા જાગૃત થાય અને વિરોધ કરે તો આ મહાકૌભાંડ અટકાવી શકાય તેવું છે.
ભારતમાં અત્યારે જેટલી પણ અણુભઠ્ઠીઓ કાર્યરત છે એ બધી હેવી વોટર રિએક્ટર પ્રકારની છે. આ પ્રકારની અણુભઠ્ઠીઓ આપણા વિજ્ઞાાનીઓ ઘરઆંગણે સસ્તામાં બનાવી શકે છે. ભારતમાં જો ેક મેગાવોટ ક્ષમતાનું પ્રેસરાઈઝડ હેવી વોટર રિએક્ટર બનાવવું હોય તો તેનો ખર્ચ આશરે આઠ કરોડ રૃપિયા આવે છે. તેને બદલે વિદેશમાંથી લાઈટ વોટર રિએક્ટરની આયાત કરવામાં આવે તો તેનો આશરે ત્રણ ઘણો ખર્ચ થાય છે. તેમ છતાં ભારતની સરકારે જૈતાપુરમાં ૧,૬૫૦ મેગાવોટની એક એવી છ અણુભઠ્ઠીઓની આયાત કરવાના કરાર ફ્રાન્સની કંપની સાથે કર્યા છે. આ એક જ કરારને કારણે ભારતને છ અબજ ડોલર (આશરે ૨૭,૦૦૦ કરોડ રૃપિયા)નું નુકસાન જવાની સંભાવના છે. જે કામ સ્વદેશી ટેકનોલેજી વડે આઠ કરોડ રૃપિયામાં થતું હોય તેની ૨૧ કરોડ રૃપિયામાં આયાત કરીને ખોટનો ધંધો કરવા જેટલા ભોટ આપણા રાજકારણીઓ નથી. આ રીતે વિદેશથી અણુભઠ્ઠીઓની આયાત કરનારા રાજકારણીઓના સ્વીસ બેન્કોના એકાઉન્ટમાં કેટલા ડોલર મલ્ટીનેશનલ કંપનીઓ જમા કરાવતી હશે તેની તો આપણે કલ્પના જ કરવી રહી.
અમેરિકા સાથે ભારતે અણુકરાર કર્યા તે પછી ભારત સાથે અણુભઠ્ઠીઓનો વેપાર કરવાના દરવાજા મલ્ટીનેશનલ કંપનીઓ માટે ખૂલી ગયા છે. ઈ.સ. ૧૯૭૯માં અમેરિકાના થ્રી માઈલ આઈલેન્ડના એટમિક પાવર પ્લાન્ટમાં અકસ્માત થયો તે પછી અમેરિકાએ પોતાના દેશમાં નવી અણુભઠ્ઠીઓના ઉત્પાદન ઉપર પાબંદી લગાવી દીધી હતી અને જૂની અણુભઠ્ઠીઓ પણ ક્રમે ક્રમે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ કારણે અણુભઠ્ઠીઓનું ઉત્પાદન કરતી અમેરિકન મલ્ટીનેશનલ કંપનીઓ મૃતપ્રાયઃ અવસ્થામાં મૂકાઈ ગઈ હતી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બુશે ભારત સાથે અણુકરાર કર્યા તે પછી આ મલ્ટીનેશનલ કંપનીઓમાં નવા પ્રાણનો સંચાર થયો છે, કારણ કે આગામી ૨૦ વર્ષમાં ભારત વિદેશમાંથી જેટલી પણ અણુભઠ્ઠીઓની આયાત કરવાનું છે તેમાં સિંહનો ફાળો અમેરિકાને મળવાનો છે. ભારત સરકારે આગામી ૨૦ વર્ષમાં કુલ ૪૦,૦૦૦ મેગાવોટ ક્ષમતાના લાઈટ વોટર રિએક્ટરની આયાત કરવાનું નક્કી કર્યું છે.
મહારાષ્ટ્રના જૈતાપુરમાં ફ્રાન્સની કંપની અરેવાને આપણે ૧,૬૫૦ મેગાવોટના એક એવા છ લાઈટ વોટર રિએક્ટર બાંધવાનો ઓર્ડર આપી દીધો છે. તેની સામે ભારતમાં અત્યારે ભારતની જ કંપનીઓ દ્વારા બાંધવામાં આવેલા ૧૭ પ્રેસરાઈઝડ હેવી વોટર રિએક્ટરો અસ્તિત્વમાં છે, જેની ક્ષમતા ૫૪૦ મેગાવોટની છે. આ ઉપરાંત ૭૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા બીજાં ચાર પ્રેસરાઈઝડ હેવી વોટર રિએક્ટરોનું બાંધકામ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી ચાલી રહ્યું છે. તેમ છતાં ભારત સરકારે જે ૪૦,૦૦૦ મેગાવોટ ક્ષમતાના રિએક્ટરોની વિદેશથી આયાત કરવાનો નિર્ણય કર્યો તેનો ભારતના અણુવિજ્ઞાાનીઓ જ વિરોધ કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે આ બાબતમાં ભારતની પ્રજાને અને સંસદને પણ અંધારામાં રાખવામાં આવી છે. મામૂલી બાબતોમાં સંસદની કાર્યવાહીને ખોરવી નાંખતા વિરોધ પક્ષો આ મહાકૌભાંડનો સંસદમાં વિરોધ કરવાની બાબતમાં કોઈ ભેદી કારણોસર મૌન સેવી રહ્યા છે.
આપણા દેશમાં જોખમી અને ખર્ચાળ ગણાતી અણુવીજળીના ઉત્પાદનને મંજૂરી આપવી જોઈએ કે નહીં તે એક મુદ્દો છે અને અણુવીજળીના ઉત્પાદન માટેની અણુભઠ્ઠીઓનું ઘરઆંગણે ઉત્પાદન કરવું જોઈએ કે તેની વિદેશથી આયાત કરવી જોઈએ કે નહીં તે અલગ મુદ્દો છે. પહેલા મુદ્દાની બાબતમાં તો સરકારે નિર્ણય કરી લીધો છે, પણ બીજો મુદ્દો હજી વિવાદાસ્પદ છે. ઈ.સ. ૨૦૦૪ની સાલ પહેલા ભારત સરકારની નીતિ અણુવીજળી માટે સ્વદેશી અણુભઠ્ઠીઓનું ઉત્પાદન કરવાની જ હતી. આ નીતિ મુજબ ઈ.સ. ૨૦૫૨ની સાલ સુધીમાં ૨,૦૮,૦૦૦ મેગાવોટ અણુવીજલીનું ઉત્પાદન સ્વદેશી ટેકનોલોજીથી કરવાની સરકારની યોજના હતી. આ માટે ભારતના દરિયાકાંઠે ૧,૦૦૦ મેગાવોટની ક્ષમતાના એક એવા ૨૦૮ અણુ ઉર્જા મથકો સ્વદેશી ટેકનોલોજીથી જ ઊભાં કરવાની સરકારની યોજના હતી. ઈ.સ. ૨૦૦૪માં અમેરિકા સાથે અણુકરારની પ્રક્રિયા શરૃ થઈ તેને પગલે આ નીતિનો ત્યાગ કરીને ભારતની સરકારે ૪૦,૦૦૦ મેગાવોટની ક્ષમતાની અણુભઠ્ઠીઓની વિદેશથી આયાત કરવાની યોજનાની રહસ્યમય રીતે જાહેરાત કરી દીધી હતી.
કોઈને થશે કે વિદેશથી અણુભઠ્ઠીઓની આયાત કરવાથી દેશને વધુ સારી ટેકનોલોજી મળવાની હશે અથવા આર્થિક ફાયદો થતો હશે, માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને ધારણાઓ ખોટી છે. ફ્રાન્સની કંપની અરેવા સાથે આપણે જે લાઈટ વોટર રિએક્ટરની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે તે તદ્દન નવી ટેકનોલોજી છે અને હજી સુધી દુનિયાના કોઈ દેશમાં આ ટેકનોલોજીની સલામતી બાબતમાં ચકાસણી કરવામાં આવી નથી. હકીકતમાં ફ્રાન્સ આ નવી ટેકનોલોજીની ચકાસણી માટે આપણા દેશની પ્રજાનો ઉપયોગ પ્રયોગશાળાના પ્રાણીઓના રૃપમાં કરી રહ્યું છે. તેની સામે ભારતમાં પ્રેસરાઈઝડ હેવી વોટરની ટેકનોલોજીથી ૧૭ અણુભઠ્ઠીઓ ચાલી રહી છે. આ ટેકનોલોજી આપણા પોતાના વિજ્ઞાાનીઓ દ્વારા વિકસિત કરવામાં આવી છે અને તે ફ્રાન્સની કંપનીની ટેકનોલોજી કરતાં વધુ ચડિયાતી છે. આપણા હેવી વોટર રિએક્ટરોમાં પ્લુટોનિયમ ધાતુ વધુ પ્રમાણમાં પેદા થાય છે, જેનો ઉપયોગ આપણે અણુબોમ્બ બનાવવા માટે પણ કરી શકીએ છીએ. વળી આપણા વિજ્ઞાાનીઓ અને ઈજનેરો આ પ્રકારની અણુભઠ્ઠીઓના સંચાલનમાં પણ કેળવાયેલા છે. જો આપણે વિદેશથી અણુભઠ્ઠીઓની આયાત કરીએ તો તેના સંચાલન માટે વિદેશી ઈજનેરોની પણ આયાત કરવી પડે તેમ છે. આટલી સરળ અને સસ્તી સ્વદેશી ટેકનોલોજીને પડતી મૂકીને ભારતની સરકારે મોંઘી અને જટિલ વિદેશી ટેકનોલોજી પસંદ કરી છે.
ઈ.સ. ૨૦૦૪માં યુપીએ-૧ની સરકાર સત્તા ઉપર આવી ત્યારે વડાપ્રધાન મનમોહનસિંહને જાળમાં ફસાવી અમેરિકાની સરકારે અને મલ્ટીનેશનલ કંપનીઓએ ભારતને અમેરિકન બનાવટની અણુભઠ્ઠીઓ વેચવાની યોજનાનો અમલ ચાલુ કરી દીધો હતો. ભારતના વિજ્ઞાાનીઓએ અને નેતાઓએ મળીને ઈ.સ. ૨૦૦૪ સુધી જે સ્વદેશી અણુભઠ્ઠીઓ બનાવવાની યોજનાનું ઘડતર કર્યું હતું તેને કચરા ટોપલીમાં પધરાવી દેવામાં આવી હતી. અમેરિકા સાથે અણુકરાર કરીને ભારતે પોતાનાં તમામ હેવી વોટર રિએક્ટરો ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીના નિરીક્ષણ હેઠળ મુકવાનું સ્વીકાર્યું હતું. આ કારણે અમેરિકન કંપનીઓ માટે ભારતમાં અણુભઠ્ઠીઓનો વેપાર કરવાના દરવાજાઓ ખૂલી ગયા હતા. ઈ.સ. ૨૦૦૭-૨૦૦૮ની સાલ સુધીમાં ભારતના વડાપ્રધાને પ્રજાને અને સંસદને અંધારામાં રાખીને અમેરિકાથી ૧૦,૦૦૦ મેગાવોટની ક્ષમતાની અણુભઠ્ઠીઓની આયાત કરવાનું લેખિત વચન અમેરિકાની સરકારને આપી દીધું હતું. આ અણુભઠ્ઠીઓની કિંમત આશરે ૨.૧ લાખ કરોડ રૃપિયા થતી હતી. ભારતના વડાપ્રધાને ફ્રાન્સની સરકારને પણ આવું વચન આપ્યું હોવાનું મનાય છે. આ બે સોદાઓ પાછળ જ દેશની તિજોરીના આશરે ૪ લાખ કરોડ રૃપિયાનો વ્યય થવાનો છે. જે વિદેશી કંપનીઓ પાસેથી આપણા નેતાઓ ૪ લાખ કરોડ રૃપિયાનો માલ ખરીદવાના હોય તેમને આ કંપનીઓ કેટલું કમિશન આપી શકે? આ કમિશન દેશની તિજોરીમાં જમા થશે કે આપણા નેતાઓના વિદેશી બેન્કનાં ખાતાંઓમાં? આ વિચાર પ્રજાએ કરવાનો છે.
ભારત સરકારની વર્તમાન નીતિ મુજબ ઈ.સ. ૨૦૫૦ની સાલ સુધીમાં આપણો દેશ ૬૫૫,૦૦૦ મેગાવોટ અણુવીજળીનું ઉત્પાદન કરતો હશે. તેનો અર્થ એ થયો કે ભારતમાં ઈ.સ. ૨૦૫૦ની સાલ સુધીમાં ૧,૦૦૦ મેગાવોટની ક્ષમતાના એક એવાં ૬૫૫ એટમિક રિએક્ટરો હશે. એક એટમિક પાવર સ્ટેશનમાં છ રિએક્ટરની સરેરાશ ગણીએ તો તે માટે ભારતમાં જૈતાપુર જેવાં ૧૧૦ અણુ ઉર્જા મથકો ઊભાં કરવામાં આવશે.
ભારતા દરિયાકિનારાની કુલ લંબાઈ જ આશરે ૬,૦૦૦ કિલોમીટર જેટલી છે. તેનો અર્થ એ થાય કે ભારતની સરકાર દરિયાકિનારે દર ૫૫ કિલોમીટરે એક અણુ ઉર્જા મથક ઊભું કરવામાં માંગે છે. પછી જો ભારતમાં સુનામી આવે અને આ અણુ ઉર્જા મથકોમાં ફુકુશિમા એટમિક પાવર પ્લાન્ટ જેવી દુર્ઘટના થાય તો આપણા બધાનું શું થાય? આપણી સરકાર આપણો આખો દેશ વિદેશીઓને ત્યાં ગિરવે મૂકી દે તે પહેલાં આપણે સૌએ જાગૃત થવાની જરૃર છે.

5/4/11 ટીમ ઇન્ડિયાને ઘણી ખમ્મા ઃ હવે નેતાઓ ચમત્કાર કરી બતાવે!


પાકિસ્તાન અને શ્રીલંકા સામેના ક્રિકેટ જંગમાં પ્રજાએ જે ઊર્જા બતાવી તે રાજકારણમાં પણ બતાવે તો ભારત ખરા અર્થમાં વિશ્વવિજેતા બની શકે છે
ભારતને વર્લ્ડ કપ અપાવી ક્રિકેટરોની ટીમ ઇન્ડિયાએ ઉત્કૃષ્ટ દેશભક્તિનું અને સંઘભાવનાનું ઉદાહરણ પુરું પાડયું છે. ભારતે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને બીજી એપ્રિલની મધરાતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે ભારતને જાણે બીજી આઝાદી મળી ગઇ હોય તેવો ઉન્માદ લોકોમાં પેદા થયો હતો. દિલ્હી, મુંબઇ અને કોલકાતા જેવા મહાનગરોથી લઇ નાનાં નગરના લોકોએ તદ્દન સ્વયંભૂ રીતે સરઘસો કાઢયા હતા અને 'લંકાવિજય'ની ઉજવણી કરી હતી. ઇ.સ. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટ પછી કદાચ પહેલી વખત પ્રજામાં આવો ઉન્માદ જોવા મળ્યો છે. ઇ.સ. ૧૯૬૫માં અને ૧૯૭૧માં પાકિસ્તાન સામે આપણે બે યુદ્ધો જીત્યા ત્યારે પણ પ્રજામાં આવો ઉજવણીનો માહોલ જોવા નહોતો મળ્યો. પ્રજામાં પેદા થયેલો આ ઉન્માદ સાબિત કરે છે કે ભારતની પ્રજા કૌભાંડોથી કંટાળી ગઇ છે અને આપણો દેશ માત્ર ક્રિકેટમાં જ નહીં પણ તમામ મોરચે વિશ્વવિજેતા બને તેવું અંતઃકરણથી ઝંખી રહી છે. ભારતની ક્રિકેટ ટીમમાં તમામ ક્ષમતા હતી પરંતુ યોગ્ય નેતૃત્વનો અભાવ હતો. મહેન્દ્રસિંહ ધોનીએ 'કૂલ કેપ્ટન' બનીને આ નેતૃત્વ આપ્યું એટલે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપી જીતી શકી છે. હવે રાજકારણના ક્ષેત્રમાં પણ ધોની જેવું 'કૂલ' નેતૃત્વ મળી જાય તો ભારતને મહાસત્તા બનતાં કોઇ રોકી શકે તેમ નથી. ટીમ ઇન્ડિયાએ જ્યારે વર્લ્ડ કપ જીત્યો તે રાતે એવી મતલબના એસએમએસ ફરતા થયા હતા કે, ''આવતી કાલથી ભારતની પ્રજાને બધી ચીજવસ્તુઓ અડધી કિંમતે મળશે, આવતી કાલથી બધા ભ્રષ્ટાચારી નેતાઓ લશ્કરને શરણે આવશે, આવતી કાલથી વેપારીઓ ભાવો વધારવાનું બંધ કરી દેશે, આવતી કાલથી આપણી પ્રજા શિસ્તમય જીવન જીવતાં શિખી જશે, આવતી કાલથી બધા સરકારી અમલદારો નિષ્ઠાથી પ્રજાની સેવામાં લાગી જશે, હવે અન્ના હઝારેએ ભ્રષ્ટાચાર સામે આમરણ ઉપવાસ નહીં કરવા પડે, કારણ કે ભારતે વર્લ્ડ કપ જીતી લીધો છે. આ કપથી ભારતની બધી જ સમસ્યાઓ હલ થઇ જવાની છે.'' આ સંદેશાનો ટોન નેગેટીવ હતો કે 'વર્લ્ડ કપથી દેશની કોઇ સળગતી સમસ્યા હલ થવાની નથી.' અમને આ નેગેટિવ ટોનમાં પણ પોઝિટીવ સંદેશો વંચાય છે કે પાકિસ્તાન અને શ્રીલંકા સામે મુકાબલા વખતે ભારતની પ્રજામાં દેશભક્તિનો જે જુવાળ પેદા થયો હતો તેવો જુવાળ હવે ભ્રષ્ટાચાર અને દુરાચાર સામે જોવા મળે તો ગણતરીની ક્ષણોમાં ભારતમાં સત્તાપલ્ટો થઇ શકે છે અને ભારતને વિશ્વ વિજેતા બનાવે તેવું નેનૃત્વ મળી શકે છે.
આજથી ચાર વર્ષ પહેલાં પણ ભારતની ટીમ વર્લ્ડ કપમાં રમી હતી, પણ ક્વાર્ટર ફાઇનલમાંથી જ બહાર ફેંકાઇ ગઇ હતી. એક સમયે ભારતની ટીમના સભ્યો મેચ ફિક્સીંગના આરોપોથી ઘેરાયેલા હતા. ટીમ ઇન્ડિયાના કેટલાક ક્રિકેટરો દેશ માટે રમવાને બદલે પોતાના અંગત સ્વાર્થ માટે રમતા હતા. તેઓ બૂકીઓ સાથે મળીને મેચો ફિકસ કરતા હતા અને ભારતને હરાવીને કરોડો રૃપિયાની કમાણી કરતા હતા. આ ખેલાડીઓની હકાલપટ્ટી કરવામાં આવી ત્યાર પછી ભારતની ટીમનો ચડતો સૂરજ જોવા મળ્યો છે. ભારતના રાજકારણમાં પણ આજે એવી જ પરિસ્થિતિ પ્રવર્તમાન છે દેશનું નેતૃત્વ જે નેતાઓના હાથમાં છે તેઓ પ્રજાનું હિત વિચારવાને બદલે પોતાનાં સ્વીસ બેંકનાં ખાતાંઓમાં ધન જમા કરાવવામાં પડયાં છે. આ નેતાઓની સત્તામાંથી હકાલપટ્ટી કરવામાં આવે તો રાજકીય અને આર્થિક મોરચે આપણો દેશ સડસડાટ પ્રગતિ કરીને અમેરિકા અને ચીન જેવી મહાસત્તાઓને પણ શિકસ્ત આપી શકે તેમ છે.
ભારતની ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો ત્યારે પ્રજામાં રહેલી ઉર્જા બહાર આવી ગઈ હતી. રાજકારણીઓને ચૂંટણી વખતે જે ટોળાંઓ ઊભાં કરવા માટે કરોડો રૃપિયાનો ખર્ચ કરવો પડે તેવાં ટોળાંઓ રાતના ૧૨ વાગ્યે એક પણ રૃપિયાના ખર્ચ વિના સ્વયંભૂ શેરીઓમાં ઉમટી પડયાં હતાં. તેમાં મોટા ભાગના યુવાનો અને ટીનએજરો હતા. હાથમાં રાષ્ટ્ર ધ્વજ લઇને તેઓ 'ભારત માતા કી જય' ના ગગનભેદી નારાઓ લગાવી રહ્યા હતા. આ ટોળાંઓને બરાબર ખબર હતી કે તેઓ માત્ર ક્રિકેટની મેચમાં મળેલા વિજયની ઉજવણી કરી રહ્યા છે, જેનાથી દેશની કોઇ સમસ્યા હલ થઇ જવાની નથી. તેમ છતાં તેમના નારાઓમાં ભારત સર્વ ક્ષેત્રમાં વિશ્વવિજેતા બને તેવી ઝંખના દેખાયા વિના રહેતી નહોતી. આ ઝંખનાને સાકાર કરે તેવી સક્ષમ નેતાગીરીની હવે ભારતને જરૃર છે.
ભારત ક્રિકેટનો વર્લ્ડ કપ જીત્યું તેને કારણે દેશના ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ નેતાઓને કામચલાઉ રાહત મળી ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતના રાજકીય મોરચે એક પછી એક કૌભાંડો બહાર આવવાથી રાજકારણીઓની લોકપ્રિયતા તળિયે પહોંચી ગઈ હતી અને પ્રજામાં ધૂંધવાઈ રહેલો ભારેલો અગ્નિ ગમે ત્યારે ભભૂકી ઉઠશે તેવો નેતાઓને ડર લાગતો હતો. હવે ભારતના ક્રિકેટરોએ વર્લ્ડ કપ જીત્યો એટલે પ્રજા તેના નશામાં ખોવાઇ ગઇ છે અને ૨-જી સ્પેકટ્રમ કૌભાંડથી માંડીને કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ અને મોંઘવારીથી માંડીને બેકારી જેવી સમસ્યાઓ ભૂલી ગઈ છે. આ સમસ્યાઓને કારણે પ્રજામાં પેદા થયેલા રોષની ઉર્જા વર્લ્ડ કપ જીતવાના ઉન્માદમાં ટ્રાન્સફર થઇ ગઇ છે. આ કારણે રાજકારણીઓ ઉપરથી દબાણ ઘટી ગયું છે અને તેઓ જબરદસ્ત હળવાશ અનુભવી રહ્યા છે. કદાચ એટલે જ પ્રજાની જેમ આપણા નેતાઓ પણ ભારતે વર્લ્ડ કપ જીત્યો તેની ઉજવણીમાં સામેલ થઇ ગયા હતા.
સમીક્ષકો ભલે કહેતા કે 'ભારતે જેટલી સહેલાઇથી વર્લ્ડ કપ જીત્યો એટલી સહેલાઇથી દેશની સમસ્યાઓ હલ થઇ જવાની નથી.' ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ જીતવા માટે જે વ્યૂહરચના અપનાવી તેવી વ્યૂહરચના જો ભારતની પ્રજા પણ અપનાવે તો ભારત આર્થિક અને રાજકીય મોરચે પણ વર્લ્ડ કપ જીતી શકે છે. ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ જીતવા માટે જેમ યોગ્ય કોચ શોધી કાઢ્યો હતો તેમ ભારતની પ્રજાની શક્તિઓનો સમન્વય કરે અને તેમની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરે કેવા કોચની જરૃર છે. આવા કોચ કદાચ બાબા રામદેવ જેવા સંતો અથવા અન્ના હઝારે જેવા સ્વચ્છ પ્રતિભા ધરાવતા ગાંધીવાદી નેતાઓ બની શકે તેમ છે. ભારતના કોચે તેના કેપ્ટન સાથે મળીને ખાઇ બદેલા જૂના જોગીઓની ટીમમાંથી હકાલપટ્ટી કરી હતી તેમ દેશના માર્ગદર્શકે પ્રજાનો સાથ લઇને પેધી ગયેલા ભ્રષ્ટ નેતાઓની સત્તાના સિંહાસન ઉપરથી હકાલપટ્ટી કરવાની જરૃર છે. આ માટે કોઇ હિંસક ક્રાંતિ કરવાની જરૃર નથી. આગામી લોકસભાની ચૂંટણીઓમાં ચારિત્ર્યવાન અને નીતિવાન ઉમેદવારોને જ ચૂંટવાનો સંકલ્પ કરીને પ્રજા અહિંસક સત્તાપરિવર્તન લાવી શકે છે.
છેલ્લાં ચાર વર્ષથી ભારતની ટીમના ક્રિકેટરોનું એક સપનું હતું કે ૨૧ વર્ષથી ભારત માટે ક્રિકેટ રમી રહેલા મહાન બેટસમેન સચિન તેંડુલકર માટે વર્લ્ડ કપ જીતવો. આ સપનાંને કારણે ટીમના દરેક સભ્યમાં જબરદસ્ત ઉત્સાહનો અને આશાનો સંચાર થયો હતો. ટીમ સામે એક ગોલ હતો, જેને સાકાર કરવા માટે ટીમના દરેક સભ્યે પોતાની શ્રેષ્ઠ શક્તિઓને કામે લગાવવાની હતી અને અંગત સ્વાર્થને બાજુએ મૂકી દેવાનો હતો. આ કોમન ગોલમાં જબરદસ્ત ટીમ સ્પિરિટ પેદા થયો હતો. ભારતની પ્રજા સચિન તેંડુલકરના સ્થાને ભારત માતાને અથવા માતૃભૂમિને મૂકી શકે છે. માભારતીનું સૌભાગ્ય ચમકાવવા માટે અને તેના ચહેરા ઉપર સ્મિત લાવવાની ભાવનાથી જો ભારતની પ્રજા પણ પોતાના અંગત સ્વાર્થને કોરાણે મૂકીને પોતાની તાકાત કામે લગાવે તો દેશનો જીર્ણોદ્ધાર કરી શકાય તેમ છે. રાજકારણીઓ દ્વારા પ્રજાને હિન્દુ-મુસ્લિમ, દલિત-સવર્ણ, સામ્યવાદી- મૂડીવાદી વગેરે જે વિભાગોમાં વહેંચી દેવામાં આવી છે તે ભેદભાવો ભૂલીને ભારતની પ્રજા જો સંઘ ભાવના પેદા કરે અને દેશના દુશ્મનો સામે સંગઠિત થઇને લડે તો દેશમાં પણ ક્રાંતિ થઇ શકે તેમ છે.
ટીમ ઇન્ડિયાએ ૨૮ વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યો તેમાં મહેન્દ્રસિંહ ધોનીની ગંભીર અને આત્મવિશ્વાસથી છલકાતી કેપ્ટનશિપની પણ બહુ મહત્વની ભૂમિકા હતી. પહેલા અફલાતૂન વ્યૂહરચના કરવાની અને પછી ગમે તેટલી કટોકટીની ક્ષણોમાં પણ મગજનું સંતુલન ન ગુમાવવાની કળા ધોનીએ ગજબની આત્મસાત કરેલી છે. આ કળા ત્યારે જ કામ આવે જયારે શરીરની દરેક નસોમાં દેશપ્રેમ ધબકતો હોય. ભારતની ટીમે ૩૧ રનના સ્કોરે સહેવાગની અને સચિનની વિકેટ ગુમાવી દીધી ત્યારે પણ ધોનીનો આત્મવિશ્વાસ ડગ્યો નહોતો, જે તેણે વિજયી છક્કો મારીને સાબિત કરી આપ્યું હતું. ભારતે જો દેશ તરીકે મહાસત્તા બનવું હશે તો પહેલા તો માત્ર આપણા દેશ માટે જ રમે તેવો કેપ્ટન અને દેશપ્રેમથી છલકાતા નેતાઓ શોધી કાઢવા પડશે. ભારતના વડાપ્રધાન જો દેશપ્રેમી હોય, ગંભીર હોય, આત્મવિશ્વાસથી છલકાતા હોય અને કટોકટીમાં પણ ધીરજ ન ગુમાવે તેવા હોય તો આપણા દેશને મહાસત્તા બનતા કોઇ રોકી શકે તેમ નથી.
ક્રિકેટમાં અને રાજકારણમાં ઘણો ફરક છે. ક્રિકેટમાં તો આપણે યોગ્ય ટીમ પસંદ કરીને પછી બધી જવાબદારી ટીમના ૧૧ ખેલાડીઓ ઉપર છોડી દેવાની હોય છે. ક્રિકેટના રણમેદાનમાં તેઓ લડવા ઉતરે ત્યારે આપણે તો તેમની માટે દુઆઓ માંગી શકીએ છીએ અને પ્રાર્થનાઓ જ કરી શકીએ છીએ. ક્રિકેટરો જયારે મેદાન ઉપર રમતા હોય છે ત્યારે દેશનું ભવિષ્ય અને દેશની ઇજ્જત તેમના હાથમાં હોય છે અને આપણે લાચાર હોઈએ છીએ. રાજકારણમાં તો રમતનું સુકાન પ્રત્યેક તબક્કે પ્રજાના હાથમાં હોય છે. પ્રજા ધારે તો રાજકારણીને સિંહાસન ઉપર બેસાડી શકે છે અને ધારે તેને સિંહાસન ઉપરથી નીચે ઉતારી પણ શકે છે. રાજકારણમાં ખરી રમત પ્રજાએ રમવાની હોય છે. શું આપણી પ્રજા ક્રિકેટ પછી રાજકારણમાં પણ ભારત વિશ્વવિજેતા બને તેવું ઇચ્છે છે ખરી ? તો પ્રજાએ સક્રિય બનવાની જરૃર છે. જે દિવસે પ્રજાની વિરાટ તાકાત જાગૃત થશે ત્યારે ભારત પણ વિશ્વની સૌથી મહાન મહાસત્તા બનશે, તેમાં કોઇ શંકા નથી.

Monday, April 4, 2011

1/4/11 અણુ ઊર્જા મથકને કારણે ફુકુશિમાના બે લાખ લોકો બેઘર બની ગયા છે


ભારતના કોઈ અણુ ઊર્જા મથકમાં આવી દુર્ઘટના થાય તો આ પ્લાન્ટ બાંધનારી કંપની દુર્ઘટનાગ્રસ્તોને પર્યાપ્ત વળતર આપે તેવી કોઈ ગેરન્ટી નથી
જપાનના ફુકુશિમા એટમિક પાવર પ્લાન્ટને કારણે પેદા થયેલી કટોકટી હજી દૂર નથી થઈ. હજી પણ આ પ્લાન્ટમાં પ્રચંડ ધડાકો થાય અને ચેર્નોબિલમાં બન્યું હતું એમ રેડિયેશનનું વિરાટ વાદળું બહાર આવીને આખી દુનિયામાં છવાઈ જાય તેવું બની શકે છે. જપાનમાં ત્રણ અઠવાડિયા પહેલા ભૂકંપ અને સુનામી આવ્યા તેને પગલે ફુકુશિમા અણુ ઊર્જા મથકમાં કટોકટી ઉભી થઈ હતી. આ પ્લાન્ટનું સંચાલન કરી રહેલી ટોકિયો પાવર કોર્પોરેશન (ટેપકો) નામની આ કંપની વારંવાર સબ-સલામતની જાહેરાતો કર્યા કરે છે, પણ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીના હેવાલને પગલે 'ટેપકો'નાં જૂઠાણાઓ ખુલ્લા પડી ગયા છે. આ હેવાલ મુજબ ફુકુશિમા પ્લાન્ટની ૨૦ કિલોમીટરની ત્રિજયામાં રહેતા જે બે લાખ લોકો પોતાના ઘરબાર છોડીને ગયા છે તેમના માટે પાછા ફરવાની આશા ધુંધળી બની ગઈ છે.
મહારાષ્ટ્રમાં જૈતાપુર ખાતે ૯,૯૯૦ મેગાવોટ અને સૌરાષ્ટ્રમાં મીઠી વીરડી ખાતે ૮,૦૦૦ મેગાવોટની ક્ષમતના અણુ ઉર્જા મથકો ઊભા કરવાની યોજના સ્થાનિક રહેવાસીઓના વિરોધને અવગણીને પણ ચાલી રહી છે. આ બંને પ્લાન્ટ માટે કિસાનોની એક- એક હજાર હેક્ટર જમીનની જરૃર પડશે. આ જમીનો સરકાર અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા જમીન સંપાદનના કાયદાઓની મદદ લઈને બળજબરીથી ખાલી કરાવી રહી છે, જેની સામે કિસાનોનું આંદોલન ચાલી રહ્યું છે. જૈતાપુર અને મીઠી વીરડીના આજુબાજુના વિસ્તારમાં રહેતી લાખોની વસતિએ કોઈ પણ દુર્ઘટના થાય તો ફુકુશિમાના રહેવાસીઓની જેમ બેઘર થવાની તૈયારી રાખવી પડશે. મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અણુ ઊર્જા મથકોનું સંચાલન કરનારા ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ પ્લાન્ટની સલામતીની ગેરન્ટી આપવામાં આવે છે તેવી ગેરન્ટી ટેપકો કંપની દ્વારા ફુકુશિમાની આજુબાજુ વસતા લોકોને પણ આપવામાં આવી હતી. આ બધી જ ગેરન્ટીઓ છેતરામણી સાબિત થઈ હતી એમ ફુકુશિમાની ૨૦ કિલોમીટરની ત્રિજયમાં વસતા લોકોનો અનુભવ કહે છે.
ફુકુશિમા પ્લાન્ટમાં જ્યારે ઉપરાછાપરી ધડાકાઓ થવા લાગ્યા ત્યારે જ જપાની સરકારે આ પ્લાન્ટની ૨૦ કિલોમીટરની ત્રિજયામાં વસતા બે લાખ લોકોને પોતાના ઘરબાર છોડીને 'સલામત' સ્થળે ચાલ્યા જવાની સૂચના આપી હતી. આ સાથે જપાનની સરકારે ભલામણ કરી હતી કે આ પ્લાન્ટથી ૩૦ કિલોમીટરની ત્રિજયામાં જેઓ રહેતા હોય તેમણે પોતાનાં ઘરના બારી-બારણા બંધ રાખવાં અને ખાસ કારણ સિવાય ઘરની બહાર નીકળવું નહીં. હવે ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીએ જાહેર કર્યુ છે કે ફુકુશિમા પ્લાન્ટની ૪૦ કિલોમીટરની ત્રિજયામાં આવેલા પ્રદેશોમાં જોખમી રેડિયેશન ફેલાઈ ગયું છે; માટે તેમને પણ ખાલી કરાવવાની આવશ્યકતા છે.
જપાનના લોકોને હવે ખ્યાલ આવ્યો છે કે તેમની બધી મુશ્કેલીઓના મુળમાં 'ટેપકો' કંપની છે, જેણે પ્રજાને એવી બાંયધારી આપી હતી કે ભૂકંપ કે સુનામી આવશે તો પણ ફુકુશિમાના પ્લાન્ટને કોઈ મુશ્કેલી નડશે નહીં. હવે લોકોને લાગે છે કે આ કંપનીએ તેમની સાથે મોટી છેતરપીડી કરી હતી, જેને કારણે તેઓ આજની તારીખમાં બેઘર બની ગયા છે. આવા બેઘર બનેલા હજારો લોકો બુધવારે ટોકિયોમાં 'ટેપકો' કંપનીની ઓફિસની બહાર ભેગા થયા હતા અને તેમણે અણુ ઉર્જાના વિરોધમાં નારાઓ પોકાર્યા હતા.
ફુકુશિમા પ્લાન્ટમાં જ્યારે ધડાકાઓ થવા લાગ્યા અને રેડિયેશન બહાર આવવા લાગ્યું ત્યારે જપાનની સરકારે ૨૦ કિલોમીટરની ત્રિજયામાં રહેતા લોકોને 'સલામત' સ્થળે ચાલ્યા જવાની સૂચના આપી હતી; પણ તેમણે ક્યાં જવું એ બાબતમાં કોઈ માર્ગદર્શન આપ્યું નહોતું ત્યારે ગભરાટમાં લોકો જ્યાં મન પડે ત્યાં નાસીને પહોંચી ગયા હતા. હવે આવા લાખો લોકો શરણાર્થીઓ માટેની છાવણીઓમાં નર્કની યાતનાઓ ભોગવી રહ્યા છે. આ છાવણીઓમાં સરકાર દ્વારા તેમને પાયાની કોઈ સુવિધાઓ આપવામાં આવી નથી. કડકડતી ઠંડીમાં તેમણે ખુલ્લા આકાશમાં સૂઈ રહેવું પડે છે. અત્યારે તેમની પાસે સંપત્તિમાં એક ખાટલો અને એક ધાબળો છે. પોતાની બાકીની બધી જ સંપત્તિ તેઓ પોતાના મૂળ વતનમાં મૂકીને જીવ બચાવવા નાસી છૂટયા છે.
જપાનમાં ભૂકંપ સુનામીના કારણે પોતાનાં ઘરો છોડીને ભાગી ગયેલા લાખો લોકો હવે પોતાના વતનમાં પાછા ફર્યા છે અને તેમને પોતાની જિંદગીને ફરીથી પાટા ઉપર ચડાવવાનો પુરુષાર્થ આદરી દીધો છે. પરંતુ ફુકુશિમા પ્લાન્ટને કારણે બેઘર બનેલા લોકો આજે નિરાશ્રીતોની છાવણીમાં કફોડી હાલતમાં જીવી રહ્યા છે. તેમાંના કોઈને ખબર નથી કે તેમને તેમના વતનમાં પાછા ફરવાની રજા ક્યારે આપવામાં આવશે. ઘણાને ભય છે કે તેમની જમીનો અને પાણીના સ્રોતો જો રેડિયેશનથી ખરડાઈ ગયા હશે તો તેઓ ક્યારેય પોતાના વતનમાં પાછા ફરી નહીં શકે અને કાયમ માટે તેમણે નિરાશ્રીતોની જેમ જ પોતાની જિંદગી પસાર કરવી પડશે. આ લોકો હવે કહી રહ્યા છે કે તેઓ માનવસર્જીત દુર્ઘટનાનો ભોગ બન્યા છે, જેના માટે ફુકુશિમાનો પ્લાન્ટ બાંધનારી 'ટેપકો' કંપની જવાબદાર છે.
ફુકુશિમાની ૨૦ કિલોમીટરની ત્રિજયામાં રહેતા જે લોકો પોતાના ઘરબાર છોડીને ચાલી નીકળ્યા હતા તેમને આશરે ૨૦૦ કિલોમીટર દૂર આવેલા યોકોટાની રાહત છાવણીમાં આશરો આપવામાં આવ્યો છે. બીજા આશરે ૨,૦૦૦ લોકો ટોકિયોની ઉત્તરે આવેલા સાઇતામા સુપર એરેના વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમમાં આશરો લઈ રહ્યા છે. આવા લાખો લોકોને ફુકુશિમાના એટમિક પાવર પ્લાન્ટને કારણે જે હાડમારીઓ ભોગવવી પડી તે બદલ આર્થિક વળતર આપવાની કોઈ તૈયારી 'ટેપકો' કંપનીની હોય તેવું લાગતું નથી. આ બાબતની ચર્ચા વિચારણા હજી ચાલુ કરવામાં આવી નથી. ભારતમાં પણ જે વિદેશી કંપનીઓ અણુભઠ્ઠીઓ ઉભી કરવા માંગે છે તેઓ દુર્ઘટનાના પ્રસંગમાં જરૃરી વળતર આપવા તૈયાર નહોતી. આવી કંપનીઓને ભવિષ્યના સૂચિત નુકસાનમાંથી બચાવી લેવા માટે કેન્દ્ર સરકારે સંસદમાં ન્યુક્લિયર લાયેબલિટી બિલ પસાર કર્યું છે. આ બીલ કાયદો બને તે પછી ભારતના કોઈ પણ અણુ ઊર્જા મથકમાં અકસ્માત થાય તો તેનું સંચાલન કરનારી કંપનીની બહુ મર્યાદિત જવાબદારી જ રહે છે. આ કંપની પ્રજાના જાનમાલને અબજો રૃપિયાનું નુકસાન કર્યા પછી થોડા કરોડ રૃપિયાનું વળતર આપીને છટકી જઈ શકે છે.
ફુકુશિમા એટમિક પાવર પ્લાન્ટની દુર્ઘટનાને કારણે બેઘર થયેલા લોકો કહે છે કે, 'અમને વારંવાર કહેવામાં આવ્યું હતું કે, આ પ્લાન્ટ એકદમ સલામત છે. હવે અમને ખ્યાલ આવે છે કે અમને છેતરવામાં આવ્યા છે. જો અમે માત્ર ભૂકંપ અને સુનામીનો જ ભોગ બન્યા હોત તો અમારી જિંદગી બહુ ઝડપથી નવેસરથી શરુ કરી શક્યા હોત. આ માનવસર્જીત આફત છે, જેના માટે જપાનની સરકાર અને 'ટેપકો' કંપની જવાબદાર છે. 'ટેપકો' કંપનીએ અમને જુઠા વચનો આપ્યા હતા અને જપાનની સરકારે તેની કોઈ ચકાસણી કરી નહોતી.' હવે 'ટેપકો'ના અધ્યક્ષે નિરાશ્રિત થયેલા લોકોની માફી માગી છે, પણ તેમને વળતર આપવાની બાબતમાં કોઈ ફોડ પાડયો નથી.
ફુકુશિમા એટમિક પાવર પ્લાન્ટની ૨૦ કિલોમીટરની ત્રિજયામાં રહેતા લાખો લોકો ઉપરાંત ૩૦ કિલોમીટરની ત્રિજયામાં રહેતા હજારો લોકો પણ સાવધાની રાખવા માટે પોતાના ઘરબાર છોડીને ચાલી નીકળ્યા હતા. આ લોકો પણ નિરાશ્રિતોની છાવણીમાં વસવાટ કરી રહ્યા છે, જ્યાં આજે પણ પાયાની કોઈ સુવિધાઓ આપવામાં આવી નથી. આ લોકો ક્યારે ઘરે પાછા ફરવા મળશે એ બાબતમાં એકદમ અંધારામાં છે આ વાત તેમના હાથમાં નથી, સરકાર એટમિક પાવર પ્લાન્ટની કટોકટી ક્યારે દૂર કરી શકશે તેની પણ કોઈને ખબર નથી તેમને એવો પણ ભય છે કે જ્યારે તેઓ ઘરે પાછા ફરશે ત્યારે જો તેમના ખેતરોમાં રેડિયેશન ફેલાઈ ચૂક્યું હશે તો તેઓ ખેતી કેવી રીતે કરશે ? આ લોકો હવે ફુકુશિમા દાઇચી એટમિક પાવર પ્લાન્ટને ત્યાંથી કાયમ માટે દૂર કરવાની માંગણી પણ કરી રહ્યા છે. જપાનની સરકારને મોટી ચિંતા ચેર્નોબિલ પ્રકારની દુર્ઘટના ટાળવાની છે. એક વખત આ પ્લાન્ટ તેના અંકુશમાં આવી જાય અને ખતરો ટળી જાય તે પછી જ આ એટમિક પાવર પ્લાન્ટનું શું કરવું ? તેનો વિચાર જપાનની સરકાર કરી શકે છે.
જપાનના અણુ ઉર્જા મથકને કારણે ઊભી થયેલી આ અભૂતપૂર્વ કટોકટીમાંથી ભારતની પ્રજાએ બોધપાઠ લેવાની જરૃર છે. ભારતમાં જ્યાં ક્યાંય પણ નવા અણુ ઊર્જા મથકો ઉભા થઈ રહ્યા હોય તેના આજુબાજુના ૫૦ કિલોમીટરની ત્રિજયામાં વસતી પ્રજાએ સમજી લેવાની જરૃર છે કે સરકારની અને કંપનીઓની ગમે તેટલી ગેરન્ટી છતાં કુદરતી આપત્તિ આવે ત્યારે આ પ્લાન્ટમાં દુર્ઘટના ઘટી શકે છે. આ દુર્ઘટનાને પહોંચી વળવાની કોઈ યંત્રણા આ પ્લાન્ટના સંચાલકો પાસે નહીં હોય, જેને કારણે આજુબાજુ વસતા લોકોના મોત થઈ શકે છે અને લાખો લોકો બેઘર બની શકે છે. આ બેઘર બનેલા લોકોને ફરીથી વસાવવાની અથવા આર્થિક વળતર આપવાની પર્યાપ્ત જવાબદારીમાંથી આ પ્લાન્ટનું સંચાલન કરનારી કંપનીને સંસદના કાયદા દ્વારા મુક્તિ આપવામાં આવી છે. આ નિરાશ્રીતોને સરકાર જરૃરી મદદ કરશે, એવી પણ કોઈ ગેરન્ટી નથી. માટે જ ભારતના જે કોઈ પ્રદેશોમાં આવા જોખમી અને વિનાશક અણુ ઊર્જા મથકોની સ્થાપના થવાની હોય ત્યાં પ્રજાએ પોતાની તમામ તાકાત લગાવીને પણ અટકાવવા જોઈએ.

30/3/11 ભારત-પાકિસ્તાનની મેચમાં ખરી કમાણી બુકીઓ કરવાના છે


ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનો સાથે બેસીને મેચ નિહાળશે તેને કારણે બે દેશો વચ્ચેની સળગતી સમસ્યાઓ હલ થઇ જવાની નથી
મોહાલીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની સેમી ફાઇનલની તૈયારી જોઇને લાગે છે કે આ બે દેશ વચ્ચે જાણે રીતસરના રણસંગ્રામની તૈયારીઓ ચાલી રહી છે. ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે લાગ જોઇને પાકિસ્તાન સાથે મૈત્રીનું તીર ફેંક્યું છે અને પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ મનમોહનના આમંત્રણનો સ્વીકાર કરીને મુત્સદ્દીગીરીનું પ્રદર્શન કર્યું છે. મોહાલીના મુકાબલાની રાતે ભારતના વડાપ્રધાન તરફથી મહેમાન વડાપ્રધાનના માનમાં ડીનરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ડીનર વખતે ક્રિકેટ અને વર્લ્ડ કપ ઉપરાંત ત્રાસવાદ અને કાશ્મીર જેવા મુદ્દાઓની ચર્ચા પણ થઇ શકે છે. જોકે મોહાલીની આ મેચને કારણે ભારત- પાકિસ્તાન વચ્ચે નવેસરથી મૈત્રી ફાટી નીકળશે એવું કોઇ માનતું હોય તો તે મૂર્ખાઓના સ્વર્ગમાં વસે છે. ભારત- પાકિસ્તાનની મેચના બે દિવસ અગાઉ જ પાકિસ્તાનના ગૃહ પ્રધાન રહેમાન મલિકે પાકની ટીમને મેચ ફિક્સીંગ કરવા સામે ચેતવણી આપીને ટીમનો કચરો કરી નાંખ્યો છે. હવે વિવાદને શાંત કરવા મલિકે ફેરવી તોળ્યું છે કે તેમનાં વિધાનોને સંદર્ભ વગર ટાંકવામાં આવ્યાં હતાં. ભૂતકાળમાં મેચ ફિક્સીંગના આક્ષેપોનો સામનો કરી રહેલા પાકિસ્તાની ક્રિકેટરો જો આ ખરાખરીના જંગમાં પણ મેચ ફિક્સીંગ કરવાના પ્રલોભનનો શિકાર બનવાના હોય તો પાકિસ્તાને ક્રિકેટ રમવાનું જ છોડી દેવું જોઇએ. હકીકતમાં ભારત- પાકિસ્તાનની સેમી ફાઇનલમાં સૌથી વધુ કમાણી ટીવીની ચેનલો અને સટ્ટાબજારના બુકીઓને થવાની છે. આ બુકીઓ મેચનું પરિણામ પોતાના ફાયદામાં આવે તે માટે ક્રિકેટરોને ખરીદવાની પણ તાકાત ધરાવે છે.
ક્રિકેટના સટ્ટાબજારમાં ભારતની જોરદાર ડિમાન્ડ છે. મોટા ભાગના ક્રિકેટરસિકો માત્ર સેમી ફાઇનલમાં જ નહી પણ બીજી એપ્રિલે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલમાં પણ ભારતના વિજય ઉપર દાવ લગાવી રહ્યા છે. સટોડિયાઓના મતે ફાઇનલમાં ભારત અને શ્રીલંકા ટકરાય તેવી પૂરેપૂરી સંભાવના છે. મોહાલીની ભારત-પાકિસ્તાનની સેમી ફાઇનલ ઉપર બુકીઓને દરરોજ હજારોની સંખ્યામાં દાવ મળી રહ્યા છે. બુકીઓના મતે ફાઇનલ મેચમાં જેટલું ટર્નઓવર નહીં થાય એટલું ટર્નઓવર આ સેમી ફાઇનલમાં થવાની વકી છે. ભારત-પાકિસ્તાનની મેચમાં કોણ જીતશે તે ઉપરાંત સચિનની ૧૦૦મી સદી, ટોસ, દરેક ખેલાડીઓના રન, વીરેન્દ્ર સહેવાગની પહેલા બોલે બાઉન્ડરી વગેરે બાબતમાં પણ દાવ લગાવવામાં આવી રહ્યા છે.
બૂકીઓના મતે ભારત જીતવા માટે હોટ ફેવરિટ છે. આ કારણે તેમણે ભારતની જીતનો ભાવ ૬૨ પૈસા અને પાકિસ્તાનની જીતનો ભાવ ૧.૫૮ રૃપિયા રાખ્યો છે. અર્થાત પાકિસ્તાન જીતે તો એક રૃપિયાનો દાવ લગાવનારને બૂકીઓ ૧.૫૮ રૃપિયા આપવા તૈયાર છે. જો ભારત જીતે તો બૂકીઓ તેમને માત્ર ૬૨ પૈસા જ આપવા તૈયાર છે. ભારતના અનેક ક્રિકેટરસિયાઓએ મોહાલીની મેચ દરમિયાન સચિનની ૧૦૦મી સદી ઉપર દાવ લગાવ્યો છે. સચિન જો સદી કરશે તો દાવ લગાવનારને એક રૃપિયા સામે ૪.૫૦ રૃપિયા મળશે. સચિન જો અડધી સદી કરશે તો દાવ લગાવનારને એક રૃપિયા સામે ૧.૫૦ રૃપિયા મળશે. સચિનની ઉપર જ આશરે ૧૦૦ કરોડ રૃપિયાનો સટ્ટો રમવામાં આવ્યો છે. મોહાલીની મેચ ઉપર આશરે ૬,૦૦૦ કરોડ રૃપિયાનો સટ્ટો રમાવાની ધારણા છે.
ટીવી ઉપર વર્લ્ડ કપનું પ્રસારણ કરવાના હક્કો ઈએસપીએન સ્ટાર સ્પોર્ટ્સ (ઈએસએસ) કંપનીએ મેળવ્યા છે. સેમી ફાઇનલમાં ભારત-પાકિસ્તાનની ટક્કર થતાં આ કંપનીને જાહેરખબરના રૃપમાં લોટરી લાગી ગઇ છે. વર્લ્ડ કપ સિવાયની વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં આ ચેનલ ઉપર ૧૦ સેકન્ડની જાહેરખબરનો ભાવ ૩.૫થી ૪ લાખ રૃપિયા હોય છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્વાર્ટર ફાઇનલમાં આ ભાવ વધારીને આઠથી નવ લાખ રૃપિયા કરવામાં આવ્યો હતો. હવે ભારત-પાકિસ્તાનની આ સેમી ફાઇનલ મેચ માટે ટીવી ઉપર ૧૦ સેકન્ડની જાહેરખબરનો ભાવ વધારીને ૧૭થી ૧૮ લાખ રૃપિયા કરવામાં આવ્યો છે. આટલા ઊંચા ભાવ છતાં મોટા ભાગના સ્લોટ બુક થઇ ગયા છે. જાહેરખબરો આપનારાને પણ લાગે છે કે આ મેચમાં તેમને રૃપિયાનું મહત્તમ વળતર મળવાનું છે.
ભારતમાં વર્લ્ડ કપની મેચો દરમિયાન જે રીતે ગેરકાયદે સટ્ટાનું બજાર ધમધમે છે તે જોતાં આ કાર્યમાં પોલીસ તંત્રની સંડોવણીની શંકા ગયા વિના રહેતી નથી. વર્લ્ડ કપ દરમિયાન બૂકીઓ દ્વારા હજારોની સંખ્યામાં મોબાઇલ ફોન ઉપર બેટીંગ લેવામાં આવે છે, જેની પાકી નોંધ લેપટોપમાં રાખવામાં આવે છે. મેચો રમાતી હોય ત્યારે રોજે રોજ વલણની ચૂકવણી થઇ જતી હોય છે. આ માટે રોજના અબજો રૃપિયાની રોકડ રકમની હેરાફેરી કરવામાં આવે છે. આ કાર્યમાં હજારો કર્મચારીઓ સંકળાયેલા હોય છે. તેઓ લાખોની ચલણી નોટોના બંડલો લઇને દોડાદોડી કરતા હોય છે. આંગડિયાઓ દ્વારા પણ રોજના અબજો રૃપિયાની લેવડદેવડ ચાલતી હોય છે. તેમ છતાં આપણી પોલીસ નેટવર્કને પકડી પાડવામાં સફળ નથી થતી એ અજાયબીની વાત છે. હકીકતમાં વર્લ્ડ કપની મેચો દરમિયાન બૂકીઓ તરફથી રાજકારણીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને કરોડો રૃપિયા પહોંચાડાતા હોવાની તમામ સંભાવનાઓ છે. મોહાલીમાં ભારત-પાકિસ્તાનની મેચ શરૃ થાય તે પહેલા સોશિયલ નેટવર્કીંગ સાઈટો ઉપર ભારત-પાકિસ્તાનના ક્રિકેટચાહકો વચ્ચેની મેચ શરૃ થઇ ગઇ છે. દરેક સાઇટ ઉપર લાખોની સંખ્યામાં સેમી ફાઇનલને લગતા સંદેશાઓ વહેતા મૂકવામાં આવ્યા છે. રવી રાવત નામના રમતપ્રેમીએ લખ્યું છે કે ''પહેલા રિકી પોન્ટીંગ અને તેના સાથીદારો બિસ્તરા-પોટલાં બાંધીને રવાના થઇ ગયા. હવે શાહીદ આફ્રિદીનો અને તેના સાથીદારોનો વારો છે. બાય-બાય પાકિસ્તાન! તમારો સામાન પેક કરવા લાગો!'' સ્વાતિ શર્મા નામની યુવતીએ જરા આવેશમાં આવીને લખ્યું છે કે ''મુંબઇ ટેરર એટેક કા બદલા હમ મોહાલી મેં લે લેંગે.'' આ યુદ્ધમાં પાકિસ્તાનીઓ પણ પાછળ નથી. ડેનિશ અહમદ નામના પાકિસ્તાનીએ લખ્યું છે કે ''મોહાલીમાં લીલા રંગનું તોફાન આવી રહ્યું છે.'' ભારત-પાકિસ્તાનની મેચને કારણે ટિકિટોના કાળા બજાર કરનારાઓને પણ કમાણી કરવાનો ચાન્સ મળી ગયો છે. અગાઉ સિનેમા હોલની બહાર ટિકિટોના કાળા બજાર ચાલતા હતા; પણ મલ્ટીપ્લેક્ષના જમાનામાં આ કાળા બજાર બિલકુલ બંધ થઇ ગયા હતા. હવે કાળા બજારિયાઓ કમાણી માટે ક્રિકેટ તરફ વળ્યા છે. મોહાલીની મેચની ૨૫૦ રૃપિયાની ટિકિટ અત્યારે કાળા બજારમાં ૨,૦૦૦ રૃપિયામાં વેચાઇ રહી છે. ૫૦૦ રૃપિયાની ટિકિટ ૪,૦૦૦ રૃપિયામાં વેચાઇ રહી છે તો ૧,૦૦૦ રૃપિયાવાળી ટિકિટના પૂરા ૭,૦૦૦ રૃપિયા ચૂકવવા પડે છે. મેચના દિવસે આ ભાવ હજી પણ વધી શકે છે. મોહાલીમાં ટિકિટ ખરીદવા માટે છ-છ કલાક લાઇનમાં ઊભા રહેનારાઓની ફરિયાદ છે કે તેમને ટિકિટો નહોતી મળી પણ બ્લેક કરનારાઓ એક સાથે ૧૦૦-૧૦૦ ટિકિટો ખરીદી શક્યા હતા. ક્રિકેટરસિકોનો આક્ષેપ છે એ પંજાબ ક્રિકેટ એસોસિયેશનના કેટલાક અધિકારીઓ બ્લેક કરનારાઓ સાથે ભળી ગયા છે.
ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન રસ્તાઓ ઉપર કર્ફ્યૂ જેવું વાતાવરણ હશે અને મોટા ભાગની ઓફિસોમાં રજા જેવો માહોલ હશે. મોટા ભાગના વિદ્યાર્થીઓએ સેમી ફાઇનલ જોવા માટે ક્લાસ બન્ક કરવાની તૈયારી કરી લીધી છે. રાજધાની દિલ્હીમાં ઉચ્ચ સરકારી અધિકારીઓએ બુધવારે સિક લિવ મૂકી દીધી છે. ઓફિસોમાં એક બાજુ માર્ચ એન્ડીંગના કારણે કામનું સખત દબાણ છે અને બીજી બાજુ વર્લ્ડ કપની સેમી ફાઇનલ છે. અનેક કંપનીઓ દ્વારા પોતાના કર્મચારીઓને રજા લેતા અટકાવવા ઓફિસોમાં જ ટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે. જે હોટેલોમાં અને ક્લબોમાં મોટા સ્કીન ઉપર ભારત-પાકિસ્તાનની મેચ જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં આ દિવસે જોરદાર વકરો થવાની ધારણા રાખવામાં આવી રહી છે. ઘણી કંપનીના કર્મચારીઓ બુધવારે બ્લુ રંગના વસ્ત્રો પહેરીને મેચ જોવા આવવાના છે. ઘણી કંપનીઓમાં બુધવારે રજા જાહેર કરીને શનિવારે કામ ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અગાઉ પણ ક્રિકેટના બહાને મુત્સદ્દીગીરીની રમત રમવામાં આવી છે, પણ તેનું કોઇ હકારાત્મક પરિણામ આવ્યું નથી. ઈ.સ. ૧૯૮૭માં જયપુર ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ ભારતના ત્યારના વડાપ્રધાન રાજીવ ગાંધીએ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ ઝિલા-ઉલ-હકે સાથે બેસીને જોઇ હતી. પણ તેનાથી ભારત-પાકિસ્તાનના રાજદ્વારી સંબંધોમાં કોઇ ચમત્કાર નોંધાયો નહોતો. ઈ.સ. ૨૦૦૫ની સાલમાં દિલ્હીના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડમાં યોજાયેલી વન-ડે મેચ ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે સાથે બેસીને જોઇ હતી. તેમ છતાં ભારતના પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં કોઇ પ્રગતિ થઇ નહોતી. મોહાલીમાં પણ ભારતના અને પાકિસ્તાનના વડાપ્રધાનો સાથે મળીને વાતુ કરશે અને સાથે બેસીને ક્રિકેટ નિહાળશે એટલે બે દેશ વચ્ચેની સળગતી સમસ્યાઓ હલ થઇ જવાની નથી.