Monday, March 28, 2011

૨૮/૩/૧૧ અણુભઠ્ઠીમાંથી બહાર પડતા કિરણોત્સર્ગથી શું નુકસાન થાય ?


 
અણુભઠ્ઠીમાંથી બહાર પડતી કિરણોત્સર્ગી આયોડિન અને સેસિયમ ધાતુ જો શરીરમાં પ્રવેશે તો તેનાથી કેન્સર થાય છે અને મોત પણ થઈ શકે છે
જપાનના કુકુશિમા એટમિક પાવર પ્લાન્ટમાં ધડાકાઓ થાય તેના પગલે ભારે માત્રામાં કિરણોત્સર્ગ બહાર ફેલાઈ રહ્યો છે. આ કિરણોત્સર્ગ હવા ઉપરાંત પીવાનાં પાણીમાં, દરિયાઈ પ્રાણીઓમાં, દૂધમાં, શાકભાજીમાં અને અનાજમાં પણ પ્રવેશ કરી રહ્યો છે. જપાનના સત્તાવાળાઓ કુકુશિમા પ્લાન્ટમાંથી હકીકતમાં કેટલો કિરણોત્સર્ગ બહાર પડી રહ્યો છે અને તેનાથી માનવશરીરને શું નુકસાન થાય એ બાબતમાં સાચી માહિતી લોકોને આપતા નથી. કદાચ તેમને ભય છે કે જો કિરણોત્સર્ગના પ્રમાણ બાબતમાં લોકોને સાચી માહિતી આપવામાં આવશે તો તેમનામાં ગભરાટ ફેલાશે અને તેઓ જપાન છોડીને નાસી જવાના વિચારો કરવા લાગશે. હકીકતમાં તેઓ કિરણોત્સર્ગના પ્રમાણ બાબતમાં સાચી માહિતી જાહેર નથી કરતાં તેને કારણે પ્રજામાં ગભરાત વધી રહ્યો છે.
જપાનના લોકોનો મુખ્ય ખોરાક સી ફૂડ છે. દરિયામાંથી પકડવામાં આવેલી કરોડો માછલીઓ અને બીજાં જળચરો જપાનીઓ ઓહિયા કરી જાય છે. જપાનના સી ફૂડની દુનિયાના અનેક દેશોમાં નિકાસ પણ કરવામાં આવે છે. કુકુશિમા પ્લાન્ટમાં ધડાકો થયો તેના પગલે તેની આજુબાજુના દરિયામાંથી માછલાંઓ પકડવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમ છતાં દુનિયાના અનેક દેશોએ કિરણોત્સર્ગના ભયથી જપાનના સી ફૂડની આયાત ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. જપાનના વિજ્ઞાાનીઓ કહે છે કે સી ફૂડ કરતાં પણ શાકભાજીમાં કિરણોત્સર્ગનો ખતરો વધુ છે. ટોકિયોના વિજ્ઞાાનીઓ દ્વારા તેમની પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતાં લીલાં શાકભાજીનું પરીક્ષણ કર્યું ત્યારે તેમાં કિરણોત્સર્ગી સેસિયમ ધાતુની માત્રા સામાન્ય કરતાં ૮૦ ટકા વધુ જોવા મળી હતી. આ કારણે જપાનની સરકારે બાળકોને પાંદડાંવાળાં શાકભાજી ન ખવડાવવાની સલાહ લોકોને આપી છે.
૧૧ માર્ચે જપાનમાં ભૂકંપ અને સુનામી આવ્યા તે પછી કુકુશિમાની દક્ષિણે ૧૪૫ માઈલના અંતરે આવેલા ટોકિયો શહેરના દૂધ, પાણી અને શાકભાજીમાં પણ કિરણોત્સર્ગની ભારે માત્રા જોવા મળી હતી. યુરોપના દેશોમાં જપાનમાંથી સી ફૂડની અને પશુ આહારની મોટા પાયે આયાત કરવામાં આવે છે. ભૂકંપ અને સુનામી પછી યુરોપિયન યુનિયનના સત્તાવાળાઓએ જપાનની સરકારને જણાવી દીધું છે કે જપાનથી જે આહારની નિકાસ કરવામાં આવે તે કિરણોત્સર્ગથી મુક્ત છે એવું પ્રમાણપત્ર પણ તેની સાથે મોકલવું પડશે. આ ખોરાક જ્યારે યુરોપ પહોંચશે ત્યારે પણ તેમાંના ૧૦ ટકાનું ચેકિંગ કરવામાં આવશે. જો એકાદ સેમ્પલમાં પણ કિરણોત્સર્ગ જોવા મળ્યો તો આખું કન્સાઈનમેન્ટ પાછું મોકલવામાં આવશે.
દુનિયાના અનેક દેશોએ જપાનથી આવતા ખાદ્ય પદાર્થોનું કડક ચેકિંગ શરૃ કરી દીધું છે. સિંગાપોરના સત્તાવાળાઓ દ્વારા જપાનથી આયાત કરવામાં આવેલાં શાકભાજીનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેમાં થોડા પ્રમાણમાં કિરણોત્સર્ગ મળી આવ્યો હતો. આ કારણે સિંગાપોરે કુકુશિમા અને તેની આજુબાજુના પ્રદેશોમાં બનાવવામાં આવતા અનાજ, શાકભાજી, દૂધ, ફળો અને માંસ ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. સિંગાપોરમાં જપાનનું કૂડ પીરસતી હોટેલો અને રેસ્ટોરાંઓમાં મંદી વ્યાપી ગઈ છે. તેમાંની કેટલીક હોટેલોએ દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાની વાનગીઓ પીરસવાની શરૃઆત કરી દીધી છે.
ટોકિયો શહેરમાં નળ દ્વારા જે પીવાનું પાણી આપવામાં આવે છે તેમાં કિરણોત્સર્ગી આયોડિનનું પ્રમાણ આરોગ્યને નુકસાન કરે એટલી હદે પહોંચી ગયું છે. ટોકિયોના સત્તાવાળાઓ દ્વારા માતાઓને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ભૂલેચૂકે પોતાનાં બાળકોને નળનું પાણી પિવડાવે નહીં. આ જાહેરાતને કારણે ટોકિયોના નાગરિકોએ દુકાનોમાં પેકેજડ ડ્રિન્કીંગ વોટરની બોટલો ખરીદવા ઘસારો કર્યો હતો. દુકાનોમાં રહેલી તમામ પાણીની બોટલો જોતજોતામાં વેચાઈ ગઈ હતી. હવે ટોકિયો મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ શહેરમાં ઘરે ઘરે ફરીને લોકોને પીવાના પાણીની બોટલો પહોંચાડી રહ્યા છે. આ બોટલો માત્ર ત્રણ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે જ છે. જે ઘરમાં એક બાળક હોય તેને અડધા લિટરની ત્રણ બોટલો પ્રતિદિન આપવામાં આવે છે.
અણુભઠ્ઠીમાંથી જે કિરણોત્સર્ગ બહાર પડે છે તે આપણા શરીરમાં રહેલા કોષોના રાસાયણિક બંધનોને તોડી નાંખતું હોવાથી આરોગ્ય માટે તે બહુ જોખમી છે. આપણા શરીરમાં જેટલો વધુ કિરણોત્સર્ગ પ્રવેશ કરે છે એટલું જોખમ વધે છે. કોઈ પણ વ્યક્તિ કિરણોત્સર્ગના સંપર્કમાં આવે ત્યારે તેને તાત્કાલિક ઊલટી થવાની અને ચક્કર આવવાની તેમજ માથામાં દુઃખાવાની તકલીફ થવા લાગે છે. જો કિરણોત્સર્ગનું પ્રમાણ વધુ હોય તો માણસના વાળ ખરી પડે છે, તેને ઝાડા થવા લાગે છે, તે બેભાન થઈ જાય છે અને મોત પણ થાય છે. કિરણોત્સર્ગને કારણે જો મોત ન થાય તો પણ લાંબા ગાળે કેન્સર થવાની સંભાવના તો ઊભી જ રહે છે. કિરણોત્સર્ગની હાનિકારક અસરોનો તાત્કાલિક ખ્યાલ નથી આવતો પણ લાંબા ગાળે ખ્યાલ આવે છે. ચેર્નોબિલમાં ઈ.સ. ૧૯૮૬ની સાલમાં દુર્ઘટના થઈ હતી તેની આજે પણ અસર વર્તાઇ રહી છે. આજે પણ ચેર્નોબિલની આજુબાજુના પ્રદેશોમાં ખોડખાંપણ ધરાવતાં બાળકો જન્મે છે.
એટમિક પાવર પ્લાન્ટમાંથી જે પદાર્થો બહાર પડે છે તેમાં સેસિયમ નામની ધાતુ અને કિરણોત્સર્ગી આયોડિન-૧૩૧ હોય છે. આ આયોડિન આપણી થાયરોઇડ નામની ગ્રંથિમાં શોષાઇ જાય છે, જેને કારણે થાયરોઇડમાં સોજો આવે છે અને કેન્સરની ગાંઠ પણ થાય છે. જ્યારે હવામાં આવું કિરણોત્સર્ગી આયોડિન વધુ પ્રમાણમાં હોય ત્યારે સરકાર દ્વારા લોકોને આયોડિનની ટેબલેટ લેવાની સલાહ આપવામાં આવે છે, જે કિરણોત્સર્ગી આયોડિનને દૂર રાખે છે. જોકે આયોડિન પણ વધુ પ્રમાણમાં લેવાથી નુકસાન થાય છે.
કિરણોત્સર્ગી આયોડિન કરતાં પણ કિરણોત્સર્ગી સેસિયમ-૧૩૭ ધાતુ વધુ હાનિકારક છે. આ ધાતુ શરીરમાં ક્યાંય પણ શોષાઇ જાય છે અને કોઇ પણ અવયવમાં પહોંચી જાય છે. તેને કારણે જાતજાતની બીમારીઓ થાય છે. આ ધાતુની મુશ્કેલી એ છે કે તે ખોરાક, પાણી, જમીન વગેરેમાં પણ શોષાઈ જાય છે. જે જમીનમાં સેસિયમ-૧૩૭ ધાતુ ભળેલી હોય તે ખેતી માટે પણ નકામી થઈ જાય છે. આ જમીનમાં જે અનાજ વગેરે ઉગાડવામાં આવે તે પણ ઝેરી બની જાય છે.
કુકુશિમા દાઈચી પ્લાન્ટમાં જે ધડાકો થયો તેના કારણે ૪૦૦,૦૦૦ માઈક્રોસિવેર્ટ જેટલો કિરણોત્સર્ગ પેદા થયો હતો. જો આટલો કિરણોત્સર્ગ માત્ર એક કલાક માટે પણ સહન કરવામાં આવે તો તેને કારણે ચક્કર અને ઊલટીની તકલીફ શરૃ થઈ જાય છે. જો આ કિરણોત્સર્ગ બે કલાક માટે સહન કરવામાં આવે તો માણસ બેભાન બની જાય છે અને ત્રણ અઠવાડિયામાં તેનું મોત થઈ જાય છે. જોકે અણુભઠ્ઠીમાં કામ કરતા કર્મચારીઓ સંરક્ષક સાધનો પહેરતાં હોવાથી તેમની ઉપર કિરણોત્સર્ગની અસર ઓછી થાય છે.
જપાનના કુકુશિમા પ્લાન્ટમાંથી નીકળેલો કિરણોત્સર્ગ અત્યારે રશિયા અને કેલિફોર્નિયા સુધી પહોંચી ગયો છે. હજી તો મુખ્ય પ્લાન્ટમાં ધડાકો નથી થયો ત્યાં દુનિયાભરમાં આ કિરણોત્સર્ગ પ્રસરી ગયો છે. જો ચેર્નોબિલની જેમ મુખ્ય અણુભઠ્ઠીમાં ધડાકો થયો હોત તો આખું ટોકિયો શહેર તાત્કાલિક ખાલી કરાવવું પડત. જોકે આ જોખમ હજી પૂરેપૂરું ટળી નથી ગયું. કુકુશિમા પ્લાન્ટમાંથી તાજેતરમાં જે કાળા ધુમાડાઓ નીકળતા જોવા મળ્યા હતા તે સૂચવે છે કે હજી પણ પરિસ્થિતિ અંકુશ હેઠળ નથી આવી.
અણુભઠ્ઠીમાંથી બહાર પડતા કિરણોત્સર્ગને કારણે અનુવાંશિક ફેરફારો પણ જોવા મળે છે. આ ફેરફારોની અસર માનવ જાતની આવનારી પેઢીઓ ઉપર પડવાની સંભાવના છે. જપાનમાં આજથી ૫૦ વર્ષ પછી અમુક સ્ત્રીઓની કુખે ઠીંગુજી બાળકો જન્મવા લાગે તો તે કુકુશિમા પ્લાન્ટમાંથી નીકળતા કિરણોત્સર્ગની અસર હોઈ શકે છે. કિરણોત્સર્ગની અમુક હાનિકારક અસરોની આજની તારીખમાં વિજ્ઞાાનીઓને પણ જાણ નથી. કિરણોત્સર્ગ હજાર માથાળા રાક્ષસ જેવો ખતરનાક છે.
આજે દુનિયા નાની થઇ ગઈ છે. એક દેશના નાગરિકો હવાઈ જહાજોના માધ્યમથી સતત બીજા દેશોમાં મુસાફરી કરતા હોય છે. આ કારણે જેમ ચેપી રોગના વિષાણુઓ જલદી ફેલાવાનો ભય રહે છે તેમ કિરણોત્સર્ગ પણ ઝડપથી ફેલાઈ રહે છે. જપાનની દુર્ઘટનાને પગલે જપાનમાં વસવાટ કરતા અનેક દેશોના નાગરિોકએ પોતપોતાના દેશો તરફ દોટ મૂકી છે. આ નાગરિકોના શરીરમાં રહેલો કિરણોત્સર્ગ તેઓ બીજા લોકોના શરીરમાં પણ સંક્રમિત કરી શકે છે. આ કારણે એર-પોર્ટ ઉપર મેટલ ડિરેકટરની જેમ કિરણોત્સર્ગ ડિટેક્ટ કરે તેવાં યંત્રો પણ ગોઠવવા જરૃરી બની રહે છે.
ભારત જેવા દેશોમાં તો આવાં યંત્રની જરૃર પડશે તેવી કલ્પના પણ સત્તાવાળાઓએ કરી નહીં હોય. જે દેશો આપણને અણુભઠ્ઠી જેવા મોતના સામાનની સપ્લાય કરે છે તેમણે આ સાધનો પણ સપ્લાય કરવાની જવાબદારી નિભાવવી જોઈએ. જપાનમાં જે બન્યું છે તેના પરથી બોધપાઠ લઈને આપણે અણુવીજળીના વિકલ્પો શોધી કાઢવા જોઈએ.

No comments:

Post a Comment