Monday, March 21, 2011

19/3/2011 અણુ ઊર્જાનો સલામત વિકલ્પ શોધવાનો સમય પાકી ગયો છે


વીજળી વિના મોજથી જીવી શકતી પ્રજાને પછાત માનવામાં અને વીજળીના અભાવમાં લાચારી અનુભવતી પ્રજાને ગતિશીલ માનવામાં ભૂલ નથી થતી ?

અમેરિકા સાથેના અણુ કરારને સફળ બનાવવા માટે જો કેન્દ્રની યુપીએ-૧ સરકાર સંસદસભ્યોને આટલી મોટી લાંચ આપવા તૈયાર થઈ ગઈ હોય તો આ કરાર કરવા માટે અમેરિકાની અણુભઠ્ઠીઓ બનાવતી કંપનીઓ દ્વારા ભારતના રાજકારણીઓને કેટલી મોટી લાંચ આપવામાં આવી હશે તે સંશોધનનો વિષય છે. અમેરિકાએ છેલ્લા ૩૦ વર્ષથી નવી અણુભઠ્ઠીઓ બનાવવાનું બંધ કર્યું છે, પણ ભારતના ગળામાં જોખમી અણુભઠ્ઠીઓ પહેરાવી દેવા તે કેમ આટલું આતુર છે, તેનો વિચાર પણ આપણા સ્વાર્થી રાજકારણીઓ કરતા નથી. અમેરિકા સાથેના અણુકરારની બાબતમાં જે નાણાંની લેવડદેવડ થઈ હશે તેની તપાસ કરવામાં આવે તો ૨-જી કરતા પણ મોટું કૌભાંડ બહાર આવી શકે છે. ભારતે અમેરિકા સાથે જે અણુકરારની બાબતમાં જે નાણાંની લેવડદેવડ થઈ હશે તેની તપાસ કરવામાં આવે તો ૨-જી કરતાં પણ મોટું કૌભાંડ બહાર આવી શકે છે. ભારતે અમેરિકા સાથે જે અણુકરાર કર્યા તે ભારતને ૧૭૫ અબજ ડોલરની અણુભઠ્ઠીઓ વેચવા માંગતી મલ્ટીનેશનલ કંપનીઓના લાભાર્થે કર્યા હતા અને તેમાં પ્રજાની સલામતીની બિલકુલ ચિંતા કરવામાં આવી નહોતી.
જપાનમાં ભૂકંપ અને સુનામીના પગલે જગતભરમાં અણુ ઊર્જાની સલામતી બાબતમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ બાબતમાં પ્રજાની સલામતી માટે યોગ્ય અને ઝડપી પગલા લેવામાં જર્મનીએ આગેવાની લીધી છે. જર્મનીમાં ચાન્સેલર એન્જેલા માર્કેલે જાહેરાત કરી છે કે ઇ.સ. ૧૯૮૦ની સાલ પહેલાના સાત અણુ ઊર્જા મથકો તેઓ સલામતીની ચકાસણી માટે ત્રણ મહિના પહેલા બંધ કરી રહ્યા છે. જર્મનીમાં કુલ ૧૭ અણુ ઊર્જા મથકો છે. તે પૈકી સાત મથકો જૂના છે. ભુકંપ અને સુનામીની વર્તમાન સંભાવનાઓને જોતાં આ મથકો સલામત જણાશે તો જ તેમને ફરીથી ચાલુ કરવામાં આવશે. જર્મનીની પ્રજા જ અણુ ઊર્જાની વિરોધી બની ગઈ છે. જપાનના ફુકુશિમા પ્લાન્ટમાં અણુધડાકાઓ થયા તેના પગલે જર્મનીમાં આશરે એક લાખ લોકો શેરીઓમાં ઉતરી આવ્યા હતા અને તેમણે અણુકેન્દ્રો બંધ કરવા સરકાર ઉપર દબાણ કર્યું હતું. પ્રજાના દબાણને કારણે જર્મનીની સરકારે ઇ.સ. ૨૦૨૦ સુધીમાં તમામ અણુ ઊર્જા મથકો બંધ કરવાની જાહેરાત કરી છે.
સ્વિટઝર્લેન્ડમાં અત્યારે પાંચ અણુ ઊર્જા મથકો કામ કરી રહ્યાં છે. તેમાંના અમુક ઇ.સ. ૨૦૧૨ સુધીમાં જૂના થવાને કારણે બંધ કરવાની યોજના હતી. તેનું સ્થાન લેવા માટે ત્રણ નવા અણુ ઊર્જા મથકો બાંધવાની આપેલી પરવાનગી પાછી ખેંચી લીધી છે અને તેના માટે ચાલતી તમામ પ્રક્રિયાઓ અટકાવી દીધી છે. યુરોપિયન સંઘના એનર્જી કમિશને જાહેરાત કરી છે કે નજીકના ભવિષ્યમાં અણુ ઊર્જા સિવાય ચલાવી લેવાની બાબતમાં અમે વિચારી રહ્યા છીએ. સામ્યવાદી ચીને પણ તેમના દેશમાં ૨૭ નવા અણુ ઊર્જા મથકો સ્થાપવાની પ્રક્રિયા જપાનની દુર્ઘટનાને પગલે અટકાવી દીધી છે. ભારતમાં પણ અત્યારે પાંચ નવા અણુ ઊર્જા મથકોનું બાંધકામ ચાલી રહ્યું છે. આ કામકાજ અટકાવવાને બદલે ભારતના વડાપ્રધાને સંસદમાં જાહેરાત કરી છે કે ભારતના બધા અણુ ઊર્જામથકો સલામત છે. જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડ સ્વતંત્ર અને સાર્વભૌમ દેશો છે. તેમની સરકારને પ્રજાના હિતમાં કોઈ પણ નિર્ણય લેવો હોય તો તેમને અમેરિકા કે બીજી કોઈ મહાસત્તાની પરવાનગી લેવાની જરૃર પડતી નથી. ભારતની સરકાર અમેરિકાને પૂછ્યા વિના આવો કોઈ નિર્ણય લઈ શકે તેમ નથી. ભારતની પ્રજામાં પણ અણુખતરાની બાબતમાં એવી જાગૃતિ નથી કે સરકારને તેવો નિર્ણય લેવાની ફરજ પાડે.
ભારત અને ચીન વિકસતા દેશો છે. આપણું અર્થતંત્ર અત્યારે નવ ટકાના દરે વિકસી રહ્યું છે. પશ્ચિમી પદ્ધતિના વિકાસમાં એક સૂત્ર સ્થાપિત થઈ ગયું છે કે ઝડપી વિકાસ સાધવા માટે વધુ વીજળીની જરૃર પડે છે. વીજળી ઉત્પન્ન કરવા માટેના કોલસો, ગેસ વગેરે પરંપરાગત સાધનો મર્યાદિત છે અને ખૂટી જવાના છે. જળ ઊર્જા પેદા કરવા માટે વિરાટ બંધો બાંધવા પડે છે, કરોડો વૃક્ષોનો સંહાર કરવો પડે છે અને લાખો લોકોને બેઘર બનાવવા પડે છે. સૌર ઊર્જા અને પવનઊર્જા માટે અબજો ડોલરનું રોકાણ કરવું પડે છે. આ સંયોગોમાં અણુ ઊર્જાનો પ્રચાર સસ્તા તેમજ પર્યાવરણરક્ષક ઊર્જાના સાધન તરીકે કરવામાં આવતો હતો. જપાનના ફુકુશિમા પ્લાન્ટમાં થયેલા અકસ્માતને કારણે સલામતીની બાબતમાં આવી અણુ ઊર્જા જોખમી સાબિત થઈ છે. જો અણુ ઊર્જા મથકમાં અકસ્માત થાય તો લાખો લોકો બેઘર બની જાય છે અને હજારોના જીવ જોખમમાં આવી જાય છે. માટે હવે અણુ ઊર્જાના વિકલ્પની શોધ ચાલી રહી છે. અમેરિકામાં ઇ.સ. ૧૯૭૯ની સાલમાં ્થ્રી માઇલ આઇલેન્ડના અણુ ઊર્જા મથકમાં ધડાકો થયો તે પછી નવા અણુ ઊર્જા મથકોના બાંધકામ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ ૩૦ વર્ષ ચાલ્યા પછી અમેરિકાએ તાજેતરમાં બે નવાં અણુ ઊર્જા મથકો સ્થાપવાની બાબતમાં સૈદ્ધાંતિક સંમતિ આપી હતી. હવે જપાનની દુર્ઘટનાને પગલે અમેરિકામાં પણ નવા અણુ ઊર્જા મથકો બાબતમાં વિરોધ પ્રબળ બની રહ્યો છે. મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં જૈતાપુર અણુ ઊર્જા મથક સામે લડી રહેલા લોક આગેવાનોના હાથમાં જપાનની દુર્ઘટનાને કારણે નવું હથિયાર આવી ગયું છે. આ અણુભઠ્ઠીઓ બાંધનારી ફ્રાન્સની કંપની અરેવાના શેરોમાં ૧૦ ટકા જેટલું ગાબડું પડી ગયું છે. જર્મનીની જે બેન્કે આ પ્લાન્ટ માટે ૧૦ ટકા મુડીરોકાણ આપવાનું વચન આપ્યું હતું તેણે પણ ફેરવી તોળ્યું છે.
અત્યારે આખી દુનિયા અણુ ઊર્જાની બાબતમાં ઝડપથી આગેકૂચ કરી રહી છે. ભારતે અમેરિકા સાથે અણુ કરાર કર્યા તેના પગલે ભારતમાં નવા અણુ ઊર્જા મથકો સ્થાપવાનો માર્ગ મોકળો થયો હતો. ભારતની યોજના ઇ.સ. ૨૦૩૦ની સાલ સુધીમાં અત્યાર કરતા ૧૩ ગણી અણુ વીજળીનું ઉત્પાદન કરવાનો છે. ચીન અને ભારત ઉપરાંત ઇરાન અને સાઉદી અરેબિયા જેવા તેલસમૃદ્ધ દેશો પણ અણુ ઊર્જા મથકો બાંધવાનું વિચારી રહ્યા છે. ઇન્ડોનેશિયા, મલેશિયા અને વિયેટનામ જેવા વિકાસશીલ દેશોમાં પણ અનેક અણુ ઊર્જા મથકો આકાર ધારણ કરી રહ્યા છે. એક અંદાજ મુજબ માત્ર એશિયા ખંડમાં ૧૦૦ નવા અણુ ઊર્જા મથકોનું બાંધકામ ચાલી રહ્યું છે. ફુકુશિમાની દુર્ઘટનાને કારણે અણુ ઊર્જાની બાબતમાં સમગ્ર વિશ્વનું ચિત્ર બદલાઈ ગયું છે. જો ફુકુશિમાની દુર્ઘટના વધુ ગમખ્વાર સ્વરૃપ ધારણ કરશે તો દુનિયાના ઘણા દેશોની પ્રજાઓ અણુ ઊર્જા મથકોનો વિરોધ કરવા શેરીઓમાં ઉતરી આવશે.
જપાનની સરકાર અને પ્રજા માનતી હતી કે તેના તમામ અણુ ઊર્જા મથકોમાં સલામતી માટેની અદ્યતન સિસ્ટમ ગોઠવવામાં આવી હોવાથી તેઓ સંપૂર્ણ સલામત છે. જપાન માટે ભૂકંપ કોઈ નવાઈની વાત નથી. જપાનની પ્રજા ભૂકંપ અને સુનામી માટે તૈયાર જ હોય છે. પરંતુ જપાનના એટમિક પાવર પ્લાન્ટની ડિઝાઇન બનાવનારા ઇજનેરો પણ કદાચ ૯ની તીવ્રતાના ભૂકંપની અને તેને પગલે આવનારા સુનામીની કલ્પના નહી કરી હોય. ભારતમાં તારાપુર અને કલ્પક્કમ જેવા એટમિક પાવર પ્લાન્ટો દરિયાકિનારે આવેલા છે. તેનું બાંધકામ કરતા ઇજનેરોએ પણ ૯ની તીવ્રતાના ભૂકંપની કલ્પના નહી કરી હોય. આ સંયોગોમાં આપણા એટમિક પાવર પ્લાન્ટો ભૂકંપ અને સુનામી સામે સલામત છે એમ કહેવું એ નરી આત્મવંચના છે. ભારતના એક અણુ વિશેષજ્ઞો તો ત્યાં સુધી કહી દીધું હતું કે ભારતમાં નવની તીવ્રતાનો ભૂકંપ આવવાની કોઈ સંભાવના નથી. આ વિજ્ઞાાની શું પોતાની જાતને સર્વજ્ઞા માની રહ્યા છે ? અહીં સરકારે અને પ્રજાએ વિચારવાનો મુદ્દો એ છે કે શું ભારતના અણુ ઊર્જા મથકો નવની તીવ્રતા ધરાવતા ભૂકંપ સામે ટકી શકે તેમ છે ? આ સવાલનો જવાબ જો 'ના'માં હોય તો પ્રજા માટે ગમે ત્યારે ફાંસીના ફંદા બની રહેનારા આવા તમામ અણુ ઊર્જા મથકો તાત્કાલિક બંધ કરાવવા જોઈએ.
વીજળીના ઉત્પાદન માટે અણુ ઊર્જા મથકોનો વિરોધ કરવામાં આવે ત્યારે તાત્કાલીક એ સવાલ પૂછવામાં આવે છે કે તો પછી વિકસતા અર્થતંત્રની વીજળીની જરૃરિયાતો કેવી રીતે પૂરી પાડવી ? તેનો જવાબ એ છે કે જો યોગ્ય આયોજન કરવામાં આવે તો વીજળીનો વધુ વપરાશ કર્યા વિના પણ વિકાસ સાધી શકાય છે. ભારતમાં વિપુલ માત્રામાં સૌર ઊર્જા અને પવન ઊર્જા મળી શકે તેમ છે. આ ઉપરાંત ભારત પાસે પશુઓની ઊર્જા પણ છે, જેને કારણે પર્યાવરણ કે સલામતીના કોઈ સવાલો પેદા થતા નથી. જે કામ અણુ ઊર્જાથી કરી શકાય છે એ તમામ કામ પશુઓની ઊર્જાથી પણ કરી શકાય છે. પશુની ઊર્જાથી ઓઇલ મિલો ચાલી શકે છે, વાહનો ચાલી શકે છે, યંત્રો ચાલી શકે છે, પાણીના પમ્પો ચાલી શકે છે અને ઘરના ચૂલાઓ પણ ચાલી શકે છે. વળી આ ઊર્જા રિન્યુએબલ છે. તે વારંવાર ઉત્પન્ન કરી શકાય તેવી હોવાથી ક્યારેય ખૂટતી નથી. વળી તે વિકેન્દ્રિત હોવાથી ટ્રાન્સપોર્ટનો ખર્ચો પણ ઓછો આવે છે. આપણી સરકારને અર્થતંત્રના નિષ્ણાતોની જરૃર છે, જેઓ જોખમી અણુ ઊર્જાને બદલે સલામત પશુ ઊર્જાના ઉપયોગ બાબતમાં સલાહ આપે.
અત્યારે એવું માનવામાં આવે છે કે, જે દેશ વીજળીનો વધુ વપરાશ કરે તે વધુ વિકસીત ગણાય. આ કારણે આપણે આપણા જીવનની તમામ આવશ્યક પ્રવૃત્તિઓમાં વીજળીના વપરાશને એટલું મહત્ત્વ આપી દીધુ છે કે, વીજળી વિનાના જીવનની કલ્પના પણ કરી શકાય નહીં. આ કારણે જ્યારે પણ કોઈ કુદરતી આફત આવે અને વીજળી રીસાઈ જાય ત્યારે નાગરિકોને નર્કાગારનો અનુભવ થાય છે. વીજળીનો પુરવઠો ખોરવાઈ જતાં જ પાણીનો પુરવઠો ખોરવાઈ જાય છે, મકાનોની લિફ્ટો બંધ થઈ જાય છે, કોમ્પ્યુટરો બંધ થઈ જાય છે, ટ્રેનો બંધ થઈ જાય છે અને સંદેશા વ્યવહારની પદ્ધતિઓ પણ ખોરવાઈ જાય છે. જપાનના કરોડો લોકો અત્યારે વીજળી વગરની આ લાચાર જિંદગીનો અનુભવ કરી રહ્યા છે. આપણા શહેરોની રચના જ એવી રીતે કરવામાં આવી હોય છે કે વીજળી વિના શહેરો સ્મશાન બની જાય છે પરંતુ વીજળીનું ઉત્પાદન અને વિતરણ કરવાની સિસ્ટમ એવી નથી હોતી કે તે કુદરતી આફતના સમયે અટકી ન જાય. આજથી ૧૫૦ વર્ષ અગાઉ જ્યારે વીજળી નહોતી ત્યારે પણ વિશ્વની અબજોની વસતિ પોતાની જિંદગીની તમામ પ્રવૃત્તિઓ મોજથી કરી શકતી હતી. ભારતના લાખો ગામડાના કરોડો લોકો આજે પણ વારંવાર રિસાઈ જતી વીજલી ઉપર મદાર રાખ્યા વિના મજેથી જીવે છે. જે પ્રજા વીજળીના ઉપયોગ વિના મોજથી જીવી શકે છે તેને પછાત કહેવી કે જે પ્રજા વીજળી ડૂલ થઈ જતા લાચાર પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે તેને પ્રગતિશીલ કહેવી તેનો વિચાર કરવા જેવો છે. જપાનના ભૂકંપે અને સુનામીએ તો યંત્રયુગની ઘણી બધી થિયરીઓ બાબતમાં ઘરમૂળથી ફેરવિચારણા કરવાની તક આપણને પૂરી પાડી છે.

No comments:

Post a Comment