Thursday, March 17, 2011

૧૬/૩/૧૧ કેન્દ્રના સંસદીય બાબતોના પ્રધાન ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો


મનમોહન સિંહ જો બધા ભ્રષ્ટાચારી પ્રધાનોનાં રાજીનામાં લઇ લેશે તો તેઓ પ્રધાન મંડળમાં એકલા જ રહી જશે
આપણા રાજકારણીઓ અને પ્રધાનો બંને હાથે જેટલું ઉસેડી લેવાય એટલું ઉસેડી લેવામાં જ વ્યસ્ત છે. દેશમાં ૨-જી, કોમનવેલ્થ ગેમ્સ અને આદર્શ સોસાયટી જેવા કૌભાંડો ઓછા હતા તો હવે 'ચંડીગઢ શોપ કૌભાંડ' સંસદમાં ગાજી રહ્યું છે. સત્તાસ્થાને રહેલા નેતાઓ પોતપોતાની ક્ષમતા અને હેસિયત મુજબનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. ચંડીગઢના સંસદસભ્ય અને કેન્દ્રના સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલનું નામ આ કૌભાંડમાં ખરડાયું છે. વિપક્ષો હવે તેમનાં રાજીનામાંની માંગણી કરી રહ્યા છે.
પવનકુમાર બંસલ ઉપર જે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે તે ચંડીગઢમાં દુકાનોની ફાળવણીના કૌભાંડમાં થયો છે. ચંડીગઢ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તેનો વહીવટ કેન્દ્ર સરકાર દ્વારા નિમવામાં આવેલા એડમિનિસ્ટ્રેટર દ્વારા થાય છે. ચંડીગઢ પંજાબ અને હરિયાણા બંને રાજ્યોની રાજધાની હોવાથી ત્યાં રિયલ એસ્ટેટના ભાવો આસમાનને અડી રહ્યા છે. ઈ.સ. ૧૯૮૯ની સાલમાં ચંડીગઢના સેકટર ૨૨-ડીમાં આવેલી એક માર્કેટ આગમાં બળીને ખાક થઇ ગઇ હતી. આગમાં જેમની દુકાનો બળી ગઇ હતી તે માલિકોને સેકટર-૪૧માં નવી દુકાન ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નવી માર્કેટમાં ૧૮૦ દુકાનોની ફાળવણી કરવામાં આવીતેમાં જબરદસ્ત ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. આગમાં જેમની દુકાનો બળીને ખાક થઇ ગઇ તેને બદલે ભળતા જ લોકોએ સરકારી તંત્રમાં લાંચ આપીને દુકાનો મેળવી લીધી હતી. આ કૌભાંડમાં ચંડીગઢના મેયર પ્રદીપ છાબરા અને સંસદસભ્ય પવનકુમાર બંસલે કરોડ રૃપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હતો.
ચંડીગઢના સેકટર-૨૨-ડીના જે દુકાનદારોને નવી માર્કેટમાં દુકાન ન મળી તેમણે ચંડીગઢના વહીવટદાર શિવરાજ પાટિલ સમક્ષ ફરિયાદ કરી હતી. શિવરાજ પાટિલે આ કૌભાંડની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને તેના માટ પી.એસ. શેરગીલ નામના એડિશનલ ડેપ્યુટી કમિશનરને જવાબદારી સોંપી હતી. શેરગીલે પોતાના હેવાલમાં આ કૌભાંડમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સ્વીકારી હતી. આ ભ્રષ્ટાચાર તેમણે ચંડીગઢ પોલીસના છ અધિકારીઓ અને કેન્દ્રશાશિત પ્રદેશના આઠ અધિકારીઓ ઉપરાંત ચંડીગઢના મેયર પ્રદીપ છાબરાને અને સંસદસભ્ય પવનકુમાર બંસલને પણ જવાબદાર ઠેરવ્યા હતા અને તેમની સામે સીબીઆઇ તપાસની ભલામણ કરી હતી. આ હેવાલમાં પવનકુમાર બંસલના નામનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે શોપ માફિયાઓને તેમનો ટેકો છે. આ હેવાલના પગલે વિપક્ષો કેન્દ્રના સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલનું રાજીનામું માંગી રહ્યા છે.
ભારતના વડાપ્રધાન મનમોહન સિંહની હાલત અત્યારે ૪૦ ચોરોના સરદાર અલી બાબા જેવી છે. મનમોહન સિંહના ટેેેકેદારો એવો દાવો કરી રહ્યા છે કે તેઓ મિસ્ટર ક્લિન છે અને પોતે ભ્રષ્ટાચાર આચરતા નથી. મનમોહન સિંહ ભલે પોતે ભ્રષ્ટાચાર આચરતા ન હોય પણ તેમના હાથ નીચેના પ્રધાનો જો ભ્રષ્ટાચાર આચરતા હોય અને મનમોહન સિંહ આ ભ્રષ્ટાચારને ચલાવી લેતા હોય તો તેઓ પણ દેશમાં વધી રહેલા ભ્રષ્ટાચાર માટે જવાબદાર બને છે. મનમોહન સિંહ એવો બચાવ કરે છે કે ગઠબંધન સરકાર ચલાવવામાં મજબૂરીને કારણે તેમણે ભ્રષ્ટાચાર સહન કરી લેવો પડે છે. જો તેઓ ભ્રષ્ટાચારીઓને કાઢી મૂકે તો સરકાર ભાંગી પડે તેમ છે. સરકારને બચાવવા માટે ભ્રષ્ટાચારીઓને છૂટો દોર આપવો તે પણ એક જાતનો ભ્રષ્ટાચાર છે, જે આપણા વડાપ્રધાન જાણી જોઇને આચરી રહ્યા છે.
ચંડીગઢમાં દુકાનોના કૌભાંડ બાબતમાં શેરગીલે જે હેવાલ તૈયાર કર્યો તે ૭૦૦ પાનાંનો વિસ્તૃત હેવાલ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ઈ.સ. ૧૯૮૯ની આગમાં જેમની દુકાનો સ્વાહા થઇ ગઇ હતી તેમના બદલે ભળતા માણસોએ કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટી તંત્રને ફોડીને ફેરિયાના લાઇસન્સ બનાવી લીદા હતા. જેમની દુકાનો બળીને ખાક થઇ ગઇ હતી તેમણે ફરિયાદ કરી ત્યારે આ બનાવટી દુકાનદારોએ કોર્ટમાં ખોટી એફિડેવિટો કરી હતી. આવા બનાવટી દુકાનદારોએ નવી માર્કેટમાં દુકાનોની ફાળવણી કરવામાં આવે તેના માટે સંસદસભ્ય પવનકુમાર બંસલે અનેક પત્રો પણ લખી આપ્યા હતા. શેરગીલના હેવાલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે પવનકુમાર બંસલના સંરણથી અનેક બોગસ દુકાનદારોને નવી માર્કેટમાં દુકાનો ફાળવવામાં આવી હતી.
૨-જી કૌભાંડના મામલે જેપીસીની રચના કરવામાં આવી એટલે સંસદમાં ભાજપના હાથમાંથી લડવા માટેનો એક મુદ્દો ઓછો થઇ ગયો છે. આ સંયોગોમાં ભાજપ કોઇ નવા મુદ્દાની તલાશમાં હતો. ત્યાં જ તેને ચંડીગઢના દુકાન કૌભાંડનો મુદ્દો મળી ગયો છે. કેન્દ્રમાં અગાઉ પૃથ્વીરાજ ચૌહાણ સંસદીય બાબતોનું ખાતું સંભાળતા હતા. પૃથ્વીરાજ ચૌહાણ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા તેને પગલે આ ખાતું પવનકુમાર બંસલને ફાળવવામાં આવ્યું હતું. કેન્દ્રના લગભગ બધા પ્રધાનો કોઇ ને કોઇ કૌભાંડમાં તો સંડોવાયેલા જ હોય છે. કૌભાંડ આચર્યા વિના તો કોઇ રાજકારણમાં આગળ વધી શકતું નથી. મનમોહન સિંહ જો કૌભાંડમાં સંડોવાયેલા તમામ પ્રધાનોનાં રાજીનામાં માંગી લે તો બધા પ્રધાનોને ઘરે બેસવાનો વારો આવે અને પ્રધાનમંડળમાં મનમોહન સિંહ એકલા જ રહી જાય તેવી પરિસ્થિતિ છે.
આપણા દેશમાં તમામ સરકારી ખાતાંઓમાં કૌભાંડ ચાલી રહ્યા હોવાથી પ્રજા અનેક વિટંબણાઓનો ભોગ બની રહી છે. ચંડીગઢમાં ઈ.સ. ૧૯૮૯ની સાલમાં આગ લાગી તેમાં આશરે ૨૦૦ દુકાનો ખાક થઇ ગઇ હતી. આ ગરીબ દુકાનદારોના લાભાર્થે સરકાર દ્વારા સેકટર-૪૧માં નવી માર્કેટ બનાવવાની યોજના જાહેર કરવામાં આવી હતી. આ માર્કેટમાં કુલ ૧૮૦ દુકાનો બાંધવામાં આવી હતી. આગમાં જેમની દુકાનો બળી ગઇ હતી તેમને શોધી કાઢવાનું અને તેમને દુકાનોની ફાળવણી કરવાનું કામ કેન્દ્રશાસિત પ્રદેશના સરકારી અમલદારોને સોંપવામાં આવ્યું હતું. આ દુકાનોની બજારભાવ મુજબ કિંમત આશરે ૯૦ લાખ રૃપિયા થતી હતી. સરકારી ઓફિસરોએ દુકાનદીઠ ૧૦ લાખ રૃપિયા અથવા વધુની લાંચ લઇને બોગસ માણસોને દુકાનો ફાળવી દીધી હતી. આ કારણે જેમના લાભાર્થે નવી માર્કેટ બાંધવામાં આવી તેઓ રખડી પડયા હતા. જે બોગસ દુકાનદારો હતા તેમણે રાજકીય પક્ષોના નેતાઓને સાધી લીધા હતા. આમ આદમીને લાભ અપાવવા માટેની તમામ સરકારી યોજનાઓનો લાભ ભ્રષ્ટાચાર આચરીને બોગસ લોકો જ લઇ જતા હોય છે.
મહારાષ્ટ્રમાં ઘરવિહોણાઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ અને સમાજસેવકોને સસ્તામાં ફ્લેટ મળી રહે તે માટે મુખ્યપ્રધાનને ફ્લેટ ફાળવવાની સત્તા આપવામાં આવી છે. દરેક સરકારી આવાસ યોજનામાં ૧૦ ટકા ફ્લેટો મુક્યપ્રધાનના ક્વોટા માટે અનામત રાખવામાં આવે છે. આ ક્વોટામાંથી ખરેખરી પાત્રતા ધરાવતા લોકોને ફ્લેટો નથી મળતાં પણ લાગવગ ધરાવતા લોકો ફ્લેટો પચાવી પાડે છે. આ ફ્લેટો લાંચ લઇને કાળા બજારમાં વેચવાનું કામ પણ કેટલાક એજન્ટો કરે છે. મુખ્યપ્રધાનની ઓફિસ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ આ ફ્લેટોની કાળા બજારમાં હરરાજી બોલાવે છે. મહારાષ્ટ્રના તાજેતરના મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે સંસદસભ્ય હતા ત્યારે તેમને પણ આ મુખ્યપ્રધાનના ક્વોટામાંથી વડાલા ખાતે ફ્લેટની ફાળવણી કરવામાં આવી છે. જે રહેઠાણ સમાજસેવકો માટે અનામત રાખવામાં આવ્યા હોય તેના ઉપર પણ વગદાર રાજકારણીઓ કબજો જમાવી દેતા હોય છે.
ભ્રષ્ટાચાર એક રીતે પ્રજા ઉપરનો જુલમ છે. આપણે રેલવેમાં પ્રવાસ કરતા હોઇએ ત્યારે ફેરિયો આપણને ચાના નાનકડા કપ હાથમાં પકડાવી જાય છે અને પાંચ રૃપિયા પડાવી જાય છે. હકીકતમાં ફેરિયા પાસે ચાલુ ટ્રેને ચાની ફેરી કરવા માટેનું લાઇસન્સ જ નથી હોતું. રેલવે તંત્ર દ્વારા જે દુકાનોને અને ફેરિયાઓને ચાનું લાઇસન્સ આપવામાં આવ્યું છે તેમના માટે ૧૫૦ મિલિલિટરના કપનો ભાવ ત્રણ રૃપિયા બાંધી આપવામાં આવ્યો છે. ફેરિયાઓ આપણને પાંચ રૃપિયામાં ૫૦ મિલિલિટર ચા આપે છે. તેઓ આપણી પાસેથી ચાની પાંચગણી કિંમત વસૂલે છે. છતાં તેમને ટ્રેનમાં ધંધો કરવા દેવાની છૂટ આપવામાં આવે છે, કારણ કે તેઓ રેલવે પોલીસને અને ટીસીઓને વર્ષે કરોડો રૃપિયાની લાંચ આપતા હોય છે. પ્રજા ભ્રષ્ટાચારને કારણે ડગલે ને પગલે લૂંટાય છે.
આપણા દેશમાં સરકારી તંત્રના ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા માટે જે એજન્સીઓની રચના કરવામાં આવી છે તેઓ પણ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. દરેક રાજ્યના પોલીસતંત્રમાં એન્ટી કરપ્શન બ્યૂરો હોય છે. આ એન્ટી કરપ્શન બ્યુરોને પણ ભ્રષ્ટાચારી સામે પગલાં લેવા માટે લાંચ આપવી પડે છે. પ્રજાને આ વાતની જાણ હોય છે. માટે તેઓ તેનાં પગથિયાં જ ચડતા નથી. દરેક સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારીઓને પકડવા માટે વિજીલન્સ ખાતું હોય છે. આ ખાતું જ સૌથી વધુ ભ્રષ્ટાચારી હોય છે. અદાલતમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવે તો તેમાં ન્યાય મળતાં વર્ષો નીકળી જાય છે. આ કારણે આપણા દેશમાં ભ્રષ્ટાચારીઓ બિનધાસ્ત બની ગયા છે. જે દેશના પ્રધાનો જ પ્રજાને લૂંટવામાંથી ઊંચા ન આવતા હોય તેના સરકારી અમલદારોને લાંચ લેવામાં ડર ન લાગે તે સ્વાભાવિક છે. હવે તો દેશમાં એવા કાયદાઓ કરવાની જરૃર છે કે ભ્રષ્ટાચારીને ફાંસીએ ચડાવી દેવામાં આવે. આ કાયદાઓ ઘડવાની સત્તા જેમની પાસે છે તેઓ પોતે જ ભ્રષ્ટ છે. હવે તો આપણા દેશને ભગવાન જ બચાવી શકે તેમ છે.

No comments:

Post a Comment